Chhotaudepur : સનાડા ગામ વચ્ચેથી પસાર થતો કોઝ-વે ધોવાયો, ગામલોકોને અવરજવર માટે પડી રહી છે હાલાકી
સનાડા ગામ વચ્ચેનો કોજવે તૂટી જતાં 4000ની વસ્તી ધરાવતા ગામના બે ભાગ પડી ગયા છે. હાલ ચોમાસાનો સમય હોય પગદંડી રસ્તાનો ઉપયોગ પણ ગામ લોકો કરી શકતા નથી.
છોટાઉદેપુર જિલ્લાનું સનાડા ગામ કે જે ગામની વચ્ચો વચ્ચથી કોતર પસાર થાય છે. લોકોને અવર જવર કરવા માટે હાલાકી ના પડે તે માટે 10 વર્ષ પહેલા નાળુ બનાવવામાં આવ્યું હતું. જેના પરથી લોકો પસાર થઈ રહ્યા હતા. પરંતુ આ બે દિવસ પહેલા પડેલ વરસાદને લઈ કોઝ-વે સદંતર રીતે ધોવાયો છે. જેના પગલે લોકોને કોઝ-વે પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે.
કોઝ-વેની બંને બાજુના પિલર પરથી લોકોને જીવના જોખમે પસાર થવાનો વારો આવ્યો છે. પણ ખાસ ચિંતા ગામના લોકોને એ છે કે જો આ કોઝ-વે પરથી પાણી ઉપર થઈને વહેશે તો ગામના બે ભાગ સંપર્ક વિહોણા બનશે જ. સાથોસાથ કડૂલીયા અને ધનયા ફળિયા સહિતના બે ગામ અને મધ્યપ્રદેશના ઠામળકા ગામના લોકો પણ કોજવેથી જોડાયેલ છે તેઓને પણ આ રસ્તા પરથી અવર જવર કરવું મુશ્કેલ બનશે.
ગામ લોકોનું કહેવું છે કે આ વિસ્તાર જંગલ અને ડુંગર વિસ્તાર છે જેને લઈ જે કોતર છે તેમાં ચોમાસાનું પાણી પૂષ્કળ આવે છે જેને લઈ નાળા ઉપરથી પણ પાણી પસાર થાય છે. જેને લઈ સામે કિનારાના બેથી ત્રણ ગામના લોકો અવર જવર કરી શકતા નથી. ફોર વ્હીલ તો ઠીક પણ બાઇક પણ આ રસ્તેથી પસાર થાય તેવી સ્થિતી પણ રહી નથી.
સનાડા ગામ વચ્ચેનો કોજવે તૂટી જતાં 4000ની વસ્તી ધરાવતા ગામના બે ભાગ પડી ગયા છે. હાલ ચોમાસાનો સમય હોય પગદંડી રસ્તાનો ઉપયોગ પણ ગામ લોકો કરી શકતા નથી. સામે કિનારે જવાનો બીજો કોઈ પાકો માર્ગ પણ ના હોય લોકો જીવનું જોખમ ખેડીને કોઝવે ઉપરથી પસાર થાય છે. કોઝવે ઉપર તંત્ર દ્વારા ભયજનક હોવાનું કોઈ બોર્ડ નથી મારવામાં આવ્યું.
તો ગામના કેટલાક લોકોનું કહેવું છે કે દિવસે તો રાહદારીને ભંગાણ થયેલ કોઝવેનો ખ્યાલ આવી જાય પણ રાત્રીના સમયે કોઈ અજાણ રાહદારી પસાર થાય તેને માટે જીવનું જોખમ રહેલ છે. કોઝવેમાં કેટલાક પડી ગયા હોવાનું પણ ગામલોકોનું કહેવું છે. ગામના લોકોના ખેતરો સામેની બાજુએ આવેલા હોય ખેડૂતોને ખેતરોમાં જવા માટે પણ મુશ્કેલી પડી રહી છે. તો કેટલાક પશુપાલકો પોતાના પશુઓને પાણીમાથી પસાર કરવા મજબૂર બન્યા છે .
ગામ લોકોને આમ તો આ લો લેવલના કોઝવેને લઈ કાયમ માટેની મુશ્કેલી હતી, હવે જ્યારે તે તૂટી જવા પામ્યો છે ત્યારે ગામ લોકો આ કોઝવે જલ્દી બને તેવી માંગ કરી રહ્યાં છે.