Chhota Udepur : પાણી માટે ગાંધીનગરની મહિલાઓનો રઝળપાટ, અનેક રજૂઆતો પણ ઉકેલ નહીં
ગાંધીનગર ગામમાં (Gandhinagar village) પાણીની સમસ્યા એવી છે કે ગામ નજીક આવેલી નદી પાસે બોર બનાવવામાં આવ્યો છે, ત્યાંથી પણ પાણી માંડ માંડ મળે છે. તેના દ્વારા પાણીની ટાંકી 24 કલાકે ભરાય છે.
છોટા ઉદેપુર (Chhota udepur) જિલ્લાના બોડેલી તાલુકાના ગાંધીનગર ગામના લોકો પીવાના પાણીની સમસ્યા વર્ષોથી ભોગવી રહ્યા છે. ઉનાળાની (Summer 2022) શરૂઆત થતા જ ગામની મહિલાઓને પાણીની શોધમાં દૂર દૂર સુધી જવું પડે છે. ગાંધીનગર ગામની ભૌગોલિક સ્થિતિ એ છે કે ઉનાળાની શરૂઆત થતાં જ આ વિસ્તારમાં જળ સ્તર નીચે જતાં રહે છે. આ ગામમાં પીવાના પાણીના (Drinking water) તમામ સ્ત્રોત સુકાઈ ગયા છે. પાણી માટે વિકટ સમસ્યા ભોગવતા લોકોએ વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.
પાણી માટે મહિલાઓને કરવો પડે છે રઝળપાટ
ગાંધીનગર ગામમાં પાણીની સમસ્યા એવી છે કે ગામ નજીક આવેલી નદી પાસે બોર બનાવવામાં આવ્યો છે, ત્યાંથી પણ પાણી માંડ માંડ મળે છે. તેના દ્વારા પાણીની ટાંકી 24 કલાકે ભરાય છે. ટાંકી દ્વારા માંડ 10 મિનિટ ગામના લોકોને પાણી આપવામાં આવે છે. આ પાણી 800 લોકોની વસ્તી ધરાવતા ગામ માટે પૂરતું નથી. ગામમાં બનાવેલા બોરમાં પાણી નથી. ગામની બહાર આવેલ બોર પર થોડું ગણું પાણી મેળવવા ગામની મહિલાઑ બેડા લઈ પહોંચે છે. ત્યાં પણ પાણી મળ્યું તો ઠીક નહીં તો તેમણે અન્ય બોર પર જવું પડે છે. ત્યાં પણ પાણી ના મળે તો મહિલાોને પાણી મેળવવા બે બે કિલોમીટર સુધી પણ જવું પડે છે.
આ ગામમાં મોટે ભાગે મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાણ ચલાવતા લોકો રહે છે. વહેલી સવારે અને સાંજે મજૂરી કામેથી આવી મોટી સંખ્યામાં આ મહિલાઓ પાણીની શોધમાં નીકળે છે. હાલ ઉનાળો ચરમસીમાએ છે અને તેવામાં પીવાના પાણીના માટે મહિલાઓ વલખાં મારવા પડે છે. ગામની મહિલાઓનું કહેવું છે કે નાહવા ધોવા માટે પાણી વગર ચલાવી લેવાય પણ પીવાના પાણીનું શું? તેમના પશુનું શું ? જેને લઈ તંત્રમાં વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી છે
એવું પણ નથી કે ગામના લોકોને પીવાના પાણીની વ્યવસ્થા ન કરવામાં આવી હોય. પાણી પુરવઠા વિભાગ દ્વારા સંપ બનાવ્યા છે. નળ બેસાડયા છે પણ પાણી નથી આવ્યુ. જોકે નળ સે જળ યોજનાનો લાભ આ ગામના લોકોને નથી મળ્યો. પાણી પુરવઠાના અધિકારીનું કહેવું છે કે જૂની યોજના ગામમાં હોવાથી નવી યોજનાનો લાભ આપવામાં આવ્યો નથી. અધિકારીનું એ પણ કહેવું છે કે આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ એવી છે કે ઉનાળાના સમયે પાણીના જળ સ્તર નીચે જતાં રહે છે. પરંતુ ભૂસ્તર વિભાગની મદદ લઈ નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.
ગાંધીનગર ગામના લોકો આશા રાખી રહ્યા છે કે તેમની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. ત્યારે હવે જોવાનું એ છે કે આ ગામની વર્ષોની સમસ્યાનો ઉકેલ આવે છે કે કેમ ?
(વીથ ઇનપુટ્સ-મકબુલ મન્સૂરી, છોટા ઉદેપુર)