Chhota Udepur: નસવાડી તાલુકામાં આઝાદીના વર્ષો પછી રોડ બનતો હોવા છતા ગ્રામજનો કરી રહ્યા છે વિરોધ, જાણો શું છે કારણ
રોડની કામગીરી (Road Work) કરવામાં આવી રહી છે. તેમાં ગુણવત્તાનો (Quality) અભાવ જોવાઈ રહયો છે. રોડ પર ફક્ત કપચી જ જોવા મળી રહી છે.
છોટા ઉદેપુરના (Chhota Udepur) નસવાડી (Nasvadi) તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલા વાડીયાથી ડબ્બા ગામ વચ્ચેના બે કિમીનું પાકા રસ્તાનું કામ ચાલી રહ્યું છે. ગામ લોકો જે રોડની કામગીરી ચાલી રહી છે તેનો વિરોધ કરી રહ્યા છે. તેનું એક જ કારણ ગામ લોકો બતાવી રહ્યા છે કે, જે રોડની કામગીરી કરવામાં આવી રહી છે. તેમાં ગુણવત્તાનો અભાવ જોવાઈ રહયો છે. રોડ પર ફક્ત કપચી જ જોવા મળી રહી છે. ડામર નામ માત્રનો છે અને ખાસ વાત એ છે કે રોડ નીચેના લેયરનું પિચિંગ કરવાનું હોય તે કરવામાં આવ્યું નથી. જે રોડ(Road Quality) બનાવ્યો છે તેને હાથ લગાડતા જ પોપડીઓ ઉખડે તેમ ઉખડવા લાગે છે. રોડ જોતા જ કોઇને પણ ગુણવત્તાનો ખ્યાલ આવી જાય. જેથી હલકી ગુણવત્તાનું કામ થતુ હોવાનો ગ્રામજનોએ વિરોધ ઉઠાવ્યો છે.
નસવાડીમાં જે સ્થળે કામ ચાલી રહ્યુ છે ત્યાં TV9 ગુજરાતીની ટીમ પહોંચી હતી. જો કે આ સ્થળે કોઇ અધિકારી જોવા મળ્યા ન હતા. સ્થળ પર કામ કરાવી રહેલા વ્યક્તિને તેમના અધિકારી વિશે પુછવામાં આવ્યુ તો તેણે તે બાબતની જાણકારી ન હોવાનું જણાવ્યુ હતુ.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કર્યા આક્ષેપ
બીજી તરફ સંખેડા બેઠકના કોંગ્રેસના માજી ધારાસભ્ય ધીરુભાઇ ભીલે આ મામલે આક્ષેપ કરતા જણાવ્યુ કે, જે રોડ બનાવવામાં આવ્યો છે તે પહેલા જ વરસાદમાં ધોવાઈ જશે. ચૂંટણી નજીક આવે છે ત્યારે રાતો રાત કામો કરી દેવામાં આવી રહ્યા છે, તેમણે એમ પણ જણાવ્યુ કે વિકાસના કામો અમે અનેક કર્યા છે, પણ આવા ભ્રષ્ટાચાર અમે નથી કર્યા. પહેલા જ્યારે રોડ બનાવવામાં આવતા હતા, ત્યારે યોગ્ય તપાસ થતી હતી હવે મન ફાવે તેમ રોડ બનાવી દેવામાં આવે છે.
ધારાસભ્ય અભેસિંગ તડવીએ આપી ખાતરી
તો ભાજપના હાલના સંખેડા બેઠક ના ધારાસભ્ય અભેસિંગ તડવીએ કહ્યુ કે, આ વિસ્તારની વિકટ સ્થિતિને ધ્યાને લઈ આ વિસ્તારમાં રોડ બનાવવાની મંજૂરી લીધી હતી અને રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે કેટલાક ગામના લોકોએ આ રોડના કામમાં ખરાબ ગુણવત્તાની ફરિયાદ મને કરી છે. ત્યારે આ મામલે હું વિજિલન્સની તપાસ માગવાનો છું. હું ખોટું નહીં થવા દઉં. ધારાસભ્યએ હાલ તો ગ્રામજનોને રસ્તાની કામગીરી બાબતે તપાસની બાંહેધરી આપી છે. ત્યારે હવે જોવુ રહ્યુ કે આ બાબતે શું નિરાકરણ આવે છે.