Chhota Udepur: નર્મદા નદી નજીક હોવા છતા ટીપા ટીપા માટે તરસતા ક્વાંટના લોકો, પાણી માટે ચુકવવા પડે છે નાણાં
નર્મદા ડેમથી (Narmada Dam) 25 કિમી દૂર આવેલ સીહાદા ગામના લોકો આજે પાણીનું ટીપુ મેળવવા મહિલાઓને સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ગામમાં 40 જેટલા હેન્ડપંપ છે પણ પાણી મળતુ નથી.
દીવા તળે અંધારું અને નદી કિનારે તરસ્યા તેવો ઘાટ છોટાઉદેપુર (Chhota udepur) જિલ્લા કેટલાક વિસ્તારનો બન્યો છે. છોટાઉદેપુર જિલ્લાની નજીક જ નર્મદાનો (Narmada) સરદાર સરદાર સરોવર ડેમ (Sardar Sardar Sarovar Dam) આવેલો છે. છતાં નજીકના જ વિસ્તારના લોકો આજે પાણીના ટીપા ટીપા માટે તરસી (Water crisis) રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાની નજીક જ નર્મદા નદી કે જે ગુજરાતની જીવા દોરી સમાન છે. જેના દ્વારા સમગ્ર ગુજરાતને પીવાનું અને સિંચાઇ માટે પૂરું પાડવામાં આવે છે. પરંતુ નવાઈની વાત એ છે કે નર્મદા નદી નજીક જ હોવા છતાં કેટલાક ગામના લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે.
પાણીના માટે મહિલાઓનો સંઘર્ષ
નર્મદા નદીથી 25 કિમી દૂર આવેલ સીહાદા ગામના લોકો આજે પાણીનું ટીપુ ટીપુ મેળવવા મહિલાઓને સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ગામમાં 40 જેટલા હેન્ડપંપ છે. પાણીની ટાંકી આવેલી છે. વર્ષો પહેલા નળના સ્ટેન્ડ પોજ પણ મૂકવામાં આવ્યા છે, પણ ઉનાળાના સમયે તેમણે પાણી નથી મળતું. લગભગ 4 હજારથી વધુની વસ્તી ધરાવતા આ ગામની મહિલાઓને ગામથી દૂર પ્રાઈવેટ બોર પર વહેલી સવારે ઉઠીને અને સાંજે જવું પડતું હોય છે. જ્યાં પાણી મેળવવા મહિલાઓને સંઘર્ષ કરવો પડે છે. જેને પાણી મળે તો ઠીક નહીં તો તેમણે ઘરે પાછા પણ આવવું પડે છે. આ વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતા જ જળ સ્તર નીચા જતાં રહેતા હોય છે. ગામના લોકોની આ સમસ્યાનો ઉકેલ માત્ર નર્મદાના નીરથી જ થાય તેમ છે.
બાળકોના અભ્યાસ પર થાય છે અસર
સીહાદા ગામની તમામ મહિલાઓ ગામથી દૂર આવેલા નદી કિનારેના બોરમાં પાણી મેળવવા જતી હોય છે. તેમણે તેમના પશુઓ માટે પણ પાણીની ચિંતા કરવાની હોય છે. મોટી સંખ્યામાં ગામની મહિલાઓ પાણી મેળવવા જતી હોવાથી સમયનો પણ વ્યય થાય છે. ગામની મહિલાઓની સાથે તેમની નાની દીકરીઓને પણ પાણી લેવા સાથે લઇ જવુ પડતુ હોય છે. જેના કારણે તેમના અભ્યાસ પર પણ સીધી અસર પડતી હોય છે. ગામની મહિલાઓની પાણીની સમસ્યા મહિલા સરપંચ ખુદ સમજે છે. સરપંચ રશ્મિબેન રાઠવાએ પણ તંત્રમાં વારંવાર રજૂઆત કરી છે પણ તેમનું કહેવું છે કે તેમની વાત સાભાળવામાં આવતી નથી.
પાણી માટે ચુકવવા પડે છે રુપિયા
સરકારે ગામના લોકોને પીવાના પાણી માટે મીની ટાંકીઓ બનાવીને આપી પણ કૂવામાં હોય તો હવાડામાં આવે તેવી સ્થિતિ જોવાઈ રહી છે. ટાંકી જયારથી મૂકવામાં આવી છે ત્યારથી ટાંકીમાં પાણી આવ્યું જ નથી તેવું ગામના લોકોનું કહેવું છે. જો કે મહિલાઓને પોતાના પરિવારને પાણી મળે તે માટે ગામની બહાર આવેલા ખેતરોના પ્રાઈવેટ બોર પર જાય છે જ્યાં બોર માલિકને લાઇટ બિલના માસિક રુ. 100 થી 150 ચૂકવવા પડતાં હોય છે.
નવાઈની વાત એ છે કે નર્મદાના નીર અહીથી 500 કિમી દૂર સૌરાષ્ટ્ર સુધી અને અહીથી 150 કિમી દાહોદ સુધી પહોચ્યું હોય તો નર્મદા નદીની નજીકમાં જ પાણી કેમ આપવામાં આવતું નથી. ગામથી લગભગ 2 જ કિમીના અંતરેથી પાણી પુરવઠા યોજનાની લાઇન પસાર થાય છે. જેમાંથી પીવાના પાણી મળે તેવી ગામ લોકોની માગ છે.