Chhota Udepur: હાંફેશ્વર ગામના લોકો માટે ચોમાસુ બને છે દુશ્મન, ભારે મુશ્કેલીઓ સાથે લઇને આવે છે ચોમાસુ
છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લાના કવાંટથી હાફેશ્વર ડુંગર વિસ્તારોમાંથી પસાર થતાં રસ્તા પર ચાર જેટલા નાના પૂલોનું ધોવાણ થયેલુ છે. ચોમાસાના (Monsoon) સમયે અહીંથી લોકોને અવર જવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ગુજરાતમાં (Gujarat) વરસાદની જમાવટ થઇ ચુકી છે. ચોમાસુ ધીમે ધીમે આગળ વધી રહ્યુ છે. ત્યારે છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લાના કવાંટથી હાફેશ્વર ડુંગર વિસ્તારોમાંથી પસાર થતાં રસ્તા પર ચાર જેટલા નાના પૂલોનું ધોવાણ થયેલુ છે. ચોમાસાના (Monsoon) સમયે અહીંથી લોકોને અવર જવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છેલ્લા ત્રણ વર્ષથી આ સ્થિતિનો સ્થાનિકો સામનો કરી રહ્યાં છે. પરંતુ તંત્ર સમસ્યાનું નિરાકરણ કરવાને બદલે આંખ આડા કાન કરી રહ્યું છે. જેના કારણે સ્થાનિકો રોષે ભરાયા છે.
ચોમાસાના ચાર મહિના ગામ લોકોની અવરજવર બંધ
મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત આ ત્રણ રાજ્યનું જ્યા સંગમ થાય છે તે છેવાડાનું અને ગુજરાતનું છેલ્લું ગામ છે હાફેશ્વર. ચોમાસાના ચાર મહિનામાં આ ગામમાં પહોંચવુ અશક્ય બને છે. કારણ છે ચારો તરફ ડુંગરો, ઊંડી ખીણો અને વચ્ચેથી પસાર થતા માર્ગ પર તુટી ગયેલા પુલો. થોડા વર્ષ પહેલા જ 4 કરોડના ખર્ચે બનાવેલા ચાર જેટલા પૂલોનું નિર્માણ કરાયું હતું. જો કે પૂલ બનાવ્યાના બીજા જ વર્ષે તેનું વરસાદી પાણીથી ધોવાણ થયું હતું. જેને લઈ છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી ચોમાસાના ચાર માસ હાફેશ્વર ગામના લોકોની અવર જવર બંધ થઈ જાય છે.
સતત રજૂઆત છતા નિરાશા
કોતરોમાં પાણી ઓછું થાય ત્યારે લોકો પાણીમાં થઈ પસાર થાય છે, તે પણ જીવના જોખમે. ચોમાસુ પૂરું થતા ફરી આર.એન.બી. વિભાગ દ્વારા ડાયવર્ઝન બનાવી દેવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ આ ગામના લોકોએ ફરી મુસીબતનો સામનો કરવો પડશે. કારણ આખું વર્ષ લોકોએ વારંવારની રજુઆત બાદ પણ તેમની વાતને ઘ્યાને લેવામાં આવી નથી. જેથી ફરી ચોમાસુ અહીંના લોકો માટે મુસીબત લઇને આવશે.
બીમારી સાથે લાવે છે મુશ્કેલીઓ
ચોમાસાના સમયગાળ દરમિયાન અહીં કોઈ બીમાર પડે તો પરિવાર જાણો ભારે મુશ્કેલીમાં મુકાઇ જાય છે. બાળકોને પણ સ્કૂલમાં કેવી રીતે મુકવા જવા તે સવાલ ઊભો થાય છે. દર વર્ષે હાફેશ્વરના લોકો તંત્ર તેમની ક્યારેત તો સાંભળશે કેવી આશા રાખ્યા કરે છે. જો કે દર વર્ષે તેમની આ આશા ઠગારી નીવડે છે. ગામના લોકો અને સરપંચની વારંવારની રજુઆત બાદ પણ તેમની વાત કોઈ સાંભળવા તૈયાર નથી.
ઇમરજન્સીની સ્થિતિમાં કેટલાક વિસ્તારોમાં લોકો ચોમાસામાં ડુંગરોના ઢોળાવો, ખીણો, કાચા રસ્તા અને કોતરોમાંથી પસાર થવા મજબૂર બને છે. બીજી તરફ ગામની શાળાની વાત કરીએ તો ત્યાં એક તરફ નર્મદા નદી વહે છે. જેમાં ચોમાસામાં ભારે પૂર આવે છે. તો શાળાની બીજી તરફ મોટી કોતર છે અને ત્રીજી બાજુ તૂટેલા પૂલો છે. જેના કારણે ચોમાસામાં બાળકો માટે પણ શિક્ષણ લેવા જવુ કે કેમ તે મુંજવણ સતાવે છે. ત્યારે હવે આ ગામના લોકો જલ્દી જ તેમની આ સમસ્યાનું નિવારણ આવે તેવી રાહ જોઇ રહ્યા છે.
(ઇનપુટ-મકબૂલ મન્સૂરી, છોટાઉદેપુર)