ઝેરી દારૂકાંડ : 12 ગ્રામજન ગુમાવ્યા બાદ રોજિદ ગામના લોકો જાગ્યા, દારૂ ન પીવાના લીધા શપથ
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda) અને ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલની ઉપસ્થિતિમાં ગામલોકોએ દારુ ન પીવાની પ્રતિજ્ઞા લીધી.
કહેવાય છે કે જાગ્યા ત્યારથી સવાર….બરવાળાના રોજિદ ગામના (Rojid village) લોકો પણ જાણે હવે જાગ્યા છે.તેમની નવી સવારનો આજથી પ્રારંભ થયો છે.કારણ કે ઝેરી દારૂકાંડમાં (hooch tragedy) 12 ગ્રામજનો ગુમાવ્યા બાદ રોજિદ ગામના લોકોએ દારૂ ન પીવાના શપથ લીધા છે.ગત રાત્રે રોજિદ ગામે પ્રાથમિક શાળામાં બરવાળા, રાણપુર અને ધંધુકાના મૃતકો માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો.મહત્વનુ છે કે,કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda) અને ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલની ઉપસ્થિતિમાં ગામલોકોએ દારુ ન પીવાની પ્રતિજ્ઞા લીધી.
12 પરિવારો વિખેરાઈ ગયા બાદ ગ્રામજનો જાગ્યા
ગામના સરપંચે લોકોને દારૂ ન પીવાની પ્રતિજ્ઞા લેવડાવી.ઝેરી દારૂકાંડથી (Barvala Hooch Tragedy) 12 પરિવારો વિખેરાઈ ગયા બાદ આખરે ગ્રામજનો જાગ્યા છે. તેમણે નિર્ધાર કર્યો છે કે તેઓ પોતે દારૂ નહીં પીવે અને ગામમાંથી કોઈને વેચવા પણ નહીં દે.સાથે જ આસપાસના ગામોને પણ આવી પ્રતિજ્ઞા લેવા ગ્રામજનોએ અપીલ કરી છે.
અમિત ચાવડાએ સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા
બીજીતરફ કૉંગ્રેસના(Congress) પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા.તેમણે કહ્યું કે જે લોકોમાં જાગૃતિ લાવવાનું કામ સરકારનું છે. પરંતુ સરકારનું (Gujarat Govt) કામ રોજિદ ગામના લોકોએ ઉપાડ્યું છે.રોજિદ ગામના લોકોએ દારૂ ન પીવાની પ્રતિજ્ઞા લઈને એક દાખલો બેસાડ્યો છે.