Botad: વાવણીના સમયે ખેતરમાં જોતરાવાના સ્થાને ખેડૂતો કેનાલમાં બેસી રામધૂન કરવા મજબૂર, જાણો શું છે કારણ
બોટાદમાં (Botad) ભર બપોરે ખેડૂતોએ તૂટેલા પથ્થરો વચ્ચે ભજન બોલાવવા પડ્યા. જેનું કારણ છે બોટાદના રાણપુર તાલુકાના હડમતાળા ગામે તૂટેલી બ્રાંચ કેનાલ. આ કેનાલમાં આખે આખી ટ્રક ગરકાવ થઈ જાય એવા મોટા ગાબડાઓ પડી ગયા છે.
ચોમાસાનું (Monsoon) ગુજરાતમાં (Gujarat) આગમન થવાની તૈયારીમાં છે. ચોમાસુ આવતા પહેલા ખેડૂતો (Farmers) વાવણી કરવાના કામમાં જોતરાઇ જતા હતા. જો કે બોટાદ જિલ્લામાં પરિસ્થિતિ કઇક અલગ જોવા મળી રહી છે. બોટાદના (Botad) 7 ગામના ખેડૂતો આજકાલ ખેતરમાં વાવણી કરવાને બદલે તૂટેલી કેનાલમાં જઈને ઢોલ મંજીરા સાથે રામધૂન બોલાવે છે. કારણ કે મોટા ગાબડાંવાળી કેનાલ ગમે ત્યારે તૂટી પડે એવી છે અને અધિકારીઓને કેનાલ રીપેર કરાવવામાં કોઈ રસ નથી.
કેનાલમાં મોટા મોટા ગાબડા
બોટાદમાં ભર બપોરે ખેડૂતોએ તૂટેલા પથ્થરો વચ્ચે ભજન બોલવા પડ્યા. જેનું કારણ છે બોટાદના રાણપુર તાલુકાના હડમતાળા ગામે તૂટેલી બ્રાંચ કેનાલ. આ કેનાલમાં આખે આખી ટ્રક ગરકાવ થઈ જાય એવા મોટા ગાબડાઓ પડી ગયા છે. જેના માટે ખેડૂતોએ અધિકારીઓને અનેક રજૂઆતો પણ કરી છે. પરંતુ બે મહિનાથી કેનાલના ગાબડાનું કોઈ નિરાકરણ ન આવતા કંટાળેલા ખેડૂતોએ રામધૂન બોલાવી. ઢોલ-મંજીરા સાથે આસપાસના સાત ગામના ખેડૂતો કેનાલની અંદર ઉતર્યા અને ગાબડાની નજીકમાં જ બેસીને વહીવટી તંત્રની સદબુદ્ધિ આવે અને કેનાલનું તાત્કાલિક સમારકામ થાય તેવી માગણી સાથે રામધૂન બોલાવી.
ચોમાસામાં કેનાલ તૂટવાનું જોખમ
જો કેનાલનું તાકીદે રિપેરિંગ નહીં થાય તો ચોમાસામા પાણી આવતાં જ કેનાલ તૂટવાનું જોખમ રહેલુ છે અને જો એમ થાય તો આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળે, જેમાં મંદિર, ગૌ-શાળાને મોટી નુકસાની થશે. આ ઉપરાંત આસપાસના ખેતરોમાં પાણી ફરી વળે તો વાવણી ધોવાઈ જવાની પણ ફિકર આ ખેડૂતોને સતાવી રહી છે. સુરેન્દ્રનગર, ધોળીધજા બ્રાંચ કેનાલમાં હડમતાળા ગામ પાસે આવેલી આ કેનાલમાંથી રાણપુર, ખોકરનેશ, હડમતાળા, મોટી વાવડી ગામને સિંચાઈનું પાણી મળે છે. આ જીવાદોરી સમાન કેનાલ જ હવે ગાબડાને કારણે નુકસાની સર્જશે તેવો ખેડૂતોને ભય છે.
આ વિસ્તારના ખેડૂત આગેવાનો અને ખેડૂતોએ મોટી સંખ્યામાં એકઠા થઈ અધિકારીઓને સમારકામ કરવા વારંવાર અરજી કરી. પરંતુ સરખો જવાબ ખેડૂતોને મળતો જ નથી. વિચાર કરો કે વાવણીના સમયે ખેડૂતોએ ખેતર છોડીને, બધું જ કામકાજ મુકીને આવા આકરા તાપમાં કેનાલના પથ્થરો પર આવીને બેસવું પડે. રામધૂન કરવી પડે. એ જ કેવી કરૂણતા છે. જેમનું કામ જ આ કેનાલોનું સંચાલન કરવાનું છે, ખેડૂતોને રાહત આપવાનું છે, એ અધિકારીઓ સમસ્યામાં રસ લઈને ધરતીપૂત્રોની તકલીફ કેમ નથી ઉકેલતા એ એક મોટો સવાલ છે..
(વીથ ઇનપુટ્સ- મોહસીન પરમાર, ટીવી નાઈન, બોટાદ)