Botad : કોરોના કહેર નાથવા સંપૂર્ણ બરવાળા શહેર 3 દિવસ સ્વેચ્છાએ બંધ, અભૂતપૂર્વ સહકાર આપી અને વેપારીઓ બંધમાં જોડાયા
પ્રથમ દિવસે બરવાળા શહેર ઈમર્જન્સી અને દૂધની દુકાનો સિવાય તમામ ધંધા રોજગાર સંપૂર્ણ 100% બંધ રહ્યા હતા.સમગ્ર ગામમા સજ્જડ બંધ પાળી લોકો ઘરમા રહી સ્વેચ્છાએ લોકડાઉન (Lockdown) પાળી કોરોના નાથવામા સહકાર આપ્યો હતો.
Botad : બરવાળા (Barvada) નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ વેપારીઓ અને ગામના અગ્રણીઓ દ્વારા 3 દિવસ શનિવાર રવિવાર અને સોમવાર 17, 18 અને 19 એપ્રિલ સંપૂર્ણ દિવસ બંધ પાળવાના સ્વેચ્છાએ નિર્ણયને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આજે પ્રથમ દિવસે બરવાળા શહેર ઈમર્જન્સી અને દૂધની દુકાનો સિવાય તમામ ધંધા રોજગાર સંપૂર્ણ 100% બંધ રહ્યા હતા.સમગ્ર ગામમા સજ્જડ બંધ પાળી લોકો ઘરમા રહી સ્વેચ્છાએ લોકડાઉન (Lockdown) પાળી કોરોના નાથવામા સહકાર આપ્યો હતો.
હાલની કોરોના વાયરસની વૈશ્વિક મહામારીની ગંભીર બીમારીથી લોકો સંક્રમિત થઈ રહ્યા છે. કોરોના વાયરસના પોઝીટીવ કેસોમા દિન પ્રતિદિન સંખ્યામા સતત વધારો થઈ રહ્યો છે ત્યારે બરવાળા શહેરી વિસ્તારમા કોરોના વાયરસની તકેદારીના ભાગરૂપે તેમજ જાહેરહિતને ધ્યાનમાં રાખી, બરવાળા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વેપારીઓ તેમજ ગામના આગેવાનો દ્વારા ગત 15 એપ્રિલના રોજ ખાસ બેઠક કરી અને કોરોના કહેર નાથવા સંક્રમણ ચેઇન અટકાવવા માટે શનિવાર રવિવાર અને સોમવાર એટલે કે તારીખ 17 18 અને 19 એપ્રિલ 2021 સ્વેચ્છાએ સંપૂર્ણ બંધ પાળી લોકડાઉન કરવા અંગે નિર્ણય કર્યો હતો. જેને લઈ આજે પ્રથમ દિવસે તારીખ 17 એપ્રિલ 2021ને શનિવારના રોજ આખો દિવસ મેડીકલ, દવાખાના અને દૂધના વ્યવસાય સાથે જોડાયેલ લોકો સવારે 7 થી 9 અને સાંજે 6 થી 8 સવાર સાંજ 2 2 કલાક ખુલ્લી રહ્યા, જ્યારે તે સિવાયના તમામ નાના મોટા વેપારીઓએ ધંધા રોજગાર દુકાનો બંધ પાળી સ્વેચ્છાએ લોકડાઉનમાં જોડાઈ અને અભૂતપૂર્વ સહકાર આપી અને વેપારીઓ બંધમાં જોડાયા હતા. જ્યારે લોકો પણ ઘરોમા રહી અને લોકડાઉનના નિર્ણયને માન્ય રાખી અને સહયોગમાં જોડાયા છે.
બરવાળા શહેર ખાતેના તમામ મુખ્ય ત્રણ પ્રવેશદ્વાર પર નગરપાલિકા પ્રશાસન દ્વારા કર્મચારીઓને બેસાડી ખાસ પ્રકારે કેમ્પ તૈયાર કરવામાં આવ્યો હતો જ્યાંથી શહેરમાં પ્રવેશ કરતા તમામ લોકોને માસ્ક વિતરણ કરી અને સેનેટાઈઝેશન કરી અને માસ્ક ફરજિયાત પહેરાવ્યા બાદ જ પ્રવેશ આપવાની વિશેષ કામગીરી કરી હતી, જ્યારે વેપારીઓ દ્વારા પણ સંપૂર્ણ સાથ સહકાર સાથે સજ્જડ બંધ પાળી સ્વેચ્છાએ લોકડાઉન નિર્ણયમાં સહયોગ આપવામાં આવ્યો હતો અને સાથે જ કોરોના કહેરને નાથવામાં આગામી સમયમાં પણ કોઈપણ પ્રકારના ઈમર્જન્સી નિર્ણયમાં સહયોગી થવા સમર્થન જાહેર કર્યું હતું. ત્યારે આજે બરવાળા શહેર આજે કોરોના સંક્રમણ અટકાવવા માટે લેવાયેલ સામૂહિક સ્વેચ્છાએ લોકડાઉનના નિર્ણયને સંપૂર્ણ સો ટકા સમર્થન આપી અને સજ્જડ બંધ રહ્યું હતું જેને લઈ નગરપાલિકા પદાધિકારીઓ દ્વારા વેપારીઓ અને ગ્રામજનોનો સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને ગ્રામજનોએ પણ આ નિર્ણયને હાલની પરિસ્થિતિમાં યોગ્ય ગણી અને હાલ તેમજ આગામી સમયમાં જરૂરી લાગતા તમામ નિર્ણયોમાં સહકાર આપવા માટે બાંહેધરી સાથે સંમતિ દર્શાવી હતી.