BJP સાંસદ મનસુખ વસાવાએ શિક્ષણમંત્રીને શિક્ષણનું સ્તર કથળી રહ્યું હોવાનો પત્ર લખ્યો, ગુજરાતી IAS, IPS અને Class -1 ઓફિસરોની જૂજ સંખ્યા અંગે વ્યક્ત કરી ચિંતા
મનસુખ વસાવાએ પત્રમાં કહ્યું છે કે કેટલાક સરકારી એકમોમાં શિક્ષકોને કોન્ટ્રાક્ટરો તથા કારકુનો બનાવી દેવામાં આવ્યા છે, જેના કારણે પ્રાથમિકથી કોલેજ સુધીનું શિક્ષણ ગુણવત્તાવાળુ મળતું નથી. તેના કારણે આજે ગુજરાતમાં IAS અધિકારી , IPS અધિકારી તથા મોટા ઉધોગોમાં કી - પોસ્ટની ( મહત્વની જગ્યા પર ) ગુજરાતીઓ નોકરી મેળવી શકતા નથી.
ગુજરાતી વિધાર્થીઓ IAS, IPS કે નિગમોમાં MD સહીત ઉચ્ચ હોદ્દાઓ હાંસલ કરવામાં પાછળ પડવા માટે ભાજપના ભરૂચના વરિષ્ઠ સાંસદ MP મનસુખ વસાવાએ રાજ્યની શિક્ષણ રીતિનીતિને જવાબદાર ઠેરવી તેમાં જરૂરી સુધારા વધારા કરવા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સણસણતો પત્ર લખ્યો છે. ભારૂચના સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતની શિક્ષણ પદ્ધતિ સામે પ્રશ્નો ઉઠાવી તેમાં ફેરફાર કરવા રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહને પત્ર પાઠવ્યો છે.
ભરૂચના સંસદે શિક્ષણમંત્રીને પત્રમાં જણાવ્યું છે કે ગુજરાતના શિક્ષણ જગતમાં નિમ્ન કક્ષાની ઘટનાઓ ઘટી રહી છે. આશરે 15 દિવસ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા થયેલ માટી કૌભાંડ બહાર આવ્યું અને માટી કૌભાંડ કરતાં પણ શરમથી માથું મૂકી જાય તેવી ઘટના દક્ષિણ ગુજરાતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ રૂપિયા 7500 માં દિલ્હીની ખાનગી સંસ્થા પાસેથી બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ ખરીદીયો હોવાનું સામે આવ્યું છે.
વસાવા એ કહ્યું કે કેટલાક ઉધોગપતિઓ તથા ધનાઢય લોકો મૂળ બિઝનેસની સાથે શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી રહ્યા છે. તેમને શિક્ષણ માટેનો પ્રેમ નથી, પરંતુ માત્રને માત્ર તેઓની બે નંબરી આવકમાંથી બચવા તથા CSR ફંડ સરકારમાં આપવાને બદલે જાતે જ શૈક્ષણિક સંસ્થાઓ તથા હોસ્પિટલો ઊભી કરી રહ્યા છે.
મનસુખ વસાવાએ પત્રમાં કહ્યું છે કે કેટલાક સરકારી એકમોમાં શિક્ષકોને કોન્ટ્રાક્ટરો તથા કારકુનો બનાવી દેવામાં આવ્યા છે, જેના કારણે પ્રાથમિકથી કોલેજ સુધીનું શિક્ષણ ગુણવત્તાવાળુ મળતું નથી. તેના કારણે આજે ગુજરાતમાં IAS અધિકારી , IPS અધિકારી તથા મોટા ઉધોગોમાં કી – પોસ્ટની ( મહત્વની જગ્યા પર ) ગુજરાતીઓ નોકરી મેળવી શકતા નથી.
ગુજરાતમાં બેંકો તથા કેન્દ્ર સરકારના ઘણા એકમોમાં ગુજરાતીઓ નહિવત સંખ્યામાં જોવા મળે છે. ગુજરાતમાં IAS , IPS , કંપનીના MD , GM , રાષ્ટ્રીયકૃત બેંકોના મેનેજરો , ONGC , રેલવે તથા ટેલિકોમ એકમો જેવા અન્ય કેન્દ્ર સરકારના સાહસોમાં માંડ 1 થી 5 ટકા ગુજરાતીઓ જોવા મળે છે. રાજ્યના વિદ્યાર્થીઓમાં અનેક પ્રકારની શક્તિઓ પડેલી છે પરંતુ વર્ષોથી શૈક્ષણિક સંસ્થાઓમાં જે પ્રકારે ધ્યાન આપવું જોઈએ તે પ્રકારે ધ્યાન અપાતું નથી.
પત્રમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાને સંબોધીને ભરૂચના MP મનસુખ વસાવાએ લખ્યું છે કે આપ ગુજરાતના શિક્ષણમંત્રી છો અને તમામ રીતે આપ સક્ષમ છો. ઘણા વર્ષોથી ગુજરાત સરકારના અલગ – અલગ વિભાગો આપ સાંભળી ચૂક્યા છો. તો આપની પાસેથી ગુજરાતની જનતા એ જ આશા અને અપેક્ષા રાખે છે કે શિક્ષણમાં જે નાની – મોટી ક્ષતિઓ છે. તે આપ હિંમતપૂર્વક દૂર કરવાના પ્રયત્ન કરશો તો ગુજરાતના યુવાનો ઉચ્ચ પદો હાસલ કરી શકશે