Bhavnagar : મેઘરાજાના વિરામ બાદ પાણીજન્ય રોગચાળો વકર્યો, સ્વાઈન ફલૂના કેસ વધતા લોકોમાં ફફડાટ
હાલમાં ડેન્ગ્યુના (dengue) 9 અને ઝાડા ઉલટીના રોજના 5 કેસ નોંધાય છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં છેલ્લા 10 દિવસમાં સ્વાઈન ફ્લૂથી 4 લોકોના મોત થયા છે.
ભાવનગર શહેરમાં (Bhavnagar) મેઘરાજાના વિરામ બાદ સ્વાઈન ફલૂ વકર્યો છે.શહેરમાં સ્વાઈન ફલૂના (Swine Flu) વધુ બે નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. નારી ગામમાં વૃદ્ધના મોત બાદ સ્વાઈન ફલૂના બે કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. શહેરના રૂપાણી સર્કલ અને કાળીયાબીડમાંથી સ્વાઇન ફ્લૂના બે કેસ નોંધાયા છે. બીજી તરફ કોરોના પોઝિટિવના (Corona case) નવા ત્રણ કેસ નોંધાયા છે. સ્વાઈન ફલૂની સાથે પાણીજન્ય રોગચાળો પણ ફેલાયો છે. હાલમાં ડેન્ગ્યુના (dengue) 9 અને ઝાડા ઉલટીના રોજના 5 કેસ નોંધાય છે.ઉલ્લેખનીય છે કે, શહેરમાં છેલ્લા 10 દિવસમાં સ્વાઈન ફ્લૂથી 4 લોકોના મોત થયા છે.
મહાનગરો રોગચાળાના સકંજામાં !
તો અમદાવાદ (Ahmedabad) અને રાજકોટમાં (Rajkot) રોગચાળાએ ચિંતા વધારી છે. સ્વાઈન ફ્લૂ, વાઈરલ ઈન્ફેક્શન, (Viral Infection) પાણીજન્ય અને મચ્છરજન્ય તમામ પ્રકારના રોગો વધતાં શહેરીજનો હોસ્પિટલના ધક્કા ખાતા થઈ ગયા છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લૂનું સંકટ વધુને વધુ ગંભીર બની રહ્યું છે. તેમાં પણ બાળકો સ્વાઈન ફ્લૂનો વધુ શિકાર બની રહ્યા છે. અમદાવાદમાં 15 વર્ષ સુધીના સવા સો જેટલા બાળકોમાં સ્વાઈન ફ્લૂ દેખાતા વાલીઓ ચિંતામાં છે. આ સિવાય રાજકોટમાં પણ ડેન્ગ્યુ, મેલેરિયા અને ઝાડા-ઉલ્ટીના કેસોનો રાફડો ફાટ્યો છે.
અમદાવાદમાં સ્વાઇન ફ્લૂ આંકડાઓ પર નજર કરીએ તો ઓગસ્ટ મહિનાના 22 દિવસમાં જ સ્વાઈન ફ્લૂના 509 જેટલા કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. કુલ દર્દીઓમાંથી 70 ટકા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી છે તો બીજી તરફ સ્વાઈન ફ્લૂએ બાળકોને પણ ભરડામાં લેતા ચિંતા વધી છે. 0થી 5 વર્ષના 35 બાળકોને સ્વાઈન ફ્લૂ થયો છે. જ્યારે કે 5 થી 15 વર્ષના 91 બાળકો સ્વાઇન ફ્લૂથી સંક્રમિત થયા છે. 15થી 40 વર્ષના 145 લોકો, 40થી 55 વર્ષના 128 લોકો, જ્યારે કે 55થી વધુ ઉંમરના 144 લોકો સ્વાઇન ફ્લૂની ચપેટમાં આવ્યા છે.