જે કામ સરકારે 25 વર્ષમાં ન કર્યું, એ કામ ખેડૂતોએ એકઠા થઇને કરી દીધું: જાણો મેથળા બંધારો બાંધ્યાની આ વાત
Bhavnagar: મેથળા વિકાસ સમિતિ દ્વારા આજુબાજુના ગ્રામજનો, ખેડૂતોની મદદથી જે કામ સરકાર 25 વર્ષમાં ન કરી શકી તે કરવામાં આવ્યું હતું. ખેડૂતોએ ભેગા થઈને મેથળા બંધારો બાંધ્યો હતો.
Bhavnagar: જિલ્લામાં દરિયા કિનારાનું એક ગામ છે મેથાળા. આ ગામમાં આવેલા બંધારામાં તાજેતરમાં મોટું ગાબડું પડી ગયું છે. બંધારા પર બનાવેલો આરસીસીનો પાળ તૂટી જતા ઘણું નુકસાન થવું પડશે. આ બંધારો પીવાલાયક અને મીઠા પાણીને દરિયામાં જતું અટકાવે છે. બંધારાને નુકસાન થતા પાણી દરિયામાં ભળવાની ચિંતા વધી છે. પરંતુ અહીંયાના ખેડૂતોએ જાતે જ સમારકામ હાથમાં લીધું હતું.
તમને જણાવી દઈએ કે આ બંધારાનો ઈતિહાસ ખુબ રસપ્રદ છે. એ પહેલા એ જાણો કે આ બંધારામાં જ્યારે પાણીની આવક થાય છે. ત્યારે આજુબાજુના ખેડૂતો માટે જીવાદોરી સમાન બની જાય છે. જોકે આ વર્ષે વધુ વરસાદમાં પાણી વધતા બંધારાને નુકસાન થયું. આ બંધારો ત્રણ વર્ષ પહેલા ખેડૂતોએ ભેગા થઈને બનાવ્યો હતો.
અહીંયા બગડ નદીનું પાણી દરિયામાં વહી જતું અટકાવવા 2018 માં બંધારો બનાવવામાં આવ્યો હતો. વર્ષો સુધી સરકારને રજૂઆત કરવા છતાં સરકારે કોઈ સહાય કરી નહીં. 25 વર્ષ સુધી અરજીઓ કર્યા બાદ કંઈ મદદ ન મળતા અહીંયાના ખેડૂતોએ જાત મહેનતે બંધારો બનાવ્યો હતો. મુશ્કેલી એ હતી કે ભરતી સમયે દરિયાનું ખારું પાણી આ નદીમાં પરત ફરતું હતું. જેના કરાને નદી ખારી થઇ જતી હતી અને જમીન બિનઉપજાવ બની ગઈ હતી.
જેથી આ વિસ્તારના ખેડૂતોએ જાતે જ ફાળો ઉઘરાવીને 2018 માં 86 લાખ ભેગા કર્યા. અને આટલા ખર્ચે જાત મહેનતે મેથળા બંધારો બાંધ્યો હતો. આ બંધારો બાંધવા 13 થી વધુ ગામોના ખેડૂતોએ લોકફાળો ઉઘરાવ્યો હતો.
ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકામાં આ મેથળા ગામ આવેલું છે. ત્યાં નજીક મેથળા વિકાસ સમિતિ દ્વારા આજુબાજુના ગ્રામજનો, ખેડૂતોની મદદથી જે કામ સરકાર 25 વર્ષમાં ન કરી શકી તે કામ કરી બાતાવ્યું હતું. જાત મહેનતે જ પોતે જ પોતાના તારણહાર બનીને મેથળા બંધારાનું નિર્માણ કર્યુ હતું. તો હવે ફરી જ્યારે બંધારાને નુકસાન થયું છે ત્યારે પણ ખેડૂતો આગળ આવ્યા છે.
આ પણ વાંચો: લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો રાજ્ય સરકાર કરશે પ્રારંભ, અત્યારસુધી 2 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી
આ પણ વાંચો: પોલીસ ગ્રેડ પે મામલે કથિત વોટ્સએપ ગ્રુપની ચેટ વાયરલ, ‘ખોટી દવા પીવાનું નાટક’ જેવા ચોંકાવનારા મેસેજ