Bhavnagar: પ્રજાના પરસેવાના પૈસાની કમાણી ધૂળમાં સમાણી, પાલિકાએ ધૂળ સાફ કરવા ખરીદેલા સાધનો જ ખાઈ રહ્યા છે ધૂળ
હકીકત એવી છે કે ભાવનગર (Bhavnagar) પાલિકાએ ધૂળ સાફ કરવા લાખોના મશીન વસાવ્યા હવે એ જ ધૂળ ખાઈ રહ્યા છે. ત્યારે પ્રજાએ મહેનતથી કમાયેલા પૈસાના સાધનો પર પાલિકા હાલ માત્ર ધૂળ જમાવી રહી છે.
ભાવનગર (Bhavnagar) મહાનગરપાલિકાના (Corporation) શાસકો શહેરના વિકાસના કામોની વાતો કરે છે, પરંતુ પ્રજાએ પરસેવો પાડીને ચૂકવેલા ટેક્સના (tax) પૈસા કઈ રીતે ઉડાવવા એ જાણવું હોય તો ભાવનગર મહાનગરપાલિકા પાસેથી શીખવા મળે. જોકે એ શિખવા જેવી વાત નથી. પણ હકીકત એવી છે કે પાલિકાએ ધૂળ સાફ કરવા લાખોના મશીન વસાવ્યા હવે એ જ ધૂળ ખાઈ રહ્યા છે. ત્યારે પ્રજાએ મહેનતથી કમાયેલા પૈસાના સાધનો પર પાલિકા હાલ માત્ર ધૂળ જમાવી રહી છે.
ભાવનગર મહાનગરપાલિકાએ વસાવેલા ધૂળ સાફ કરવાના મશીનો જ હાલમાં ધૂળ ખાઇ રહ્યા છે. 2 વર્ષ પહેલા પાલિકાએ સ્વીપર મશીન વસાવ્યું હતું, જે રસ્તાના ડીવાઈડરની અંદરની તરફની ધૂળ દૂર કરવા માટે ઉપયોગમાં લેવાનું હતું, પરંતુ આજે આ મશીન ધૂળ સાફ કરવાના બદલે પોતે જ ધૂળ ખાઈ રહ્યું છે. ભાવનગર મનપા દ્વારા સ્વચ્છતા અભિયાનમાં નંબર મેળવવા અનેક પગલાંઓ ભરવામાં આવ્યા અને તેમાં ખાસ કરીને સ્વચ્છતા માટે કેટલાક મશીનો પણ વસાવવામાં આવ્યા. જે થોડા દિવસ તો રોડ ઉપર દેખાયા પરંતુ આજે ભંગાર ખાનામાં જોવા મળે છે.
બીજી તરફ વિપક્ષ પ્રકાશ વાઘાણીનો આક્ષેપ છે કે સત્તાધીશો પ્રજાના પૈસાનું પાણી કરી રહ્યા છે અને કોન્ટ્રાક્ટ કંપનીઓને માલામાલ કરી વચેટિયાઓ કમાણી કરી રહ્યા છે. ભાવનગર મનપાએ અગાઉ સ્વચ્છતા અભિયાન માટે રીક્ષાઓ પણ ખરીદી હતી. જે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જઈને અસ્વછતા ફેલાવનારાને દંડ કરતી હતી, તેનું પણ બાળમરણ થઇ જતા એ પણ ભંગાર હાલતમાં જતી રહી છે. શહેર સ્વચ્છ બનાવવા માટે જે સાધનો વસાવવામાં આવે તે સારી વાત છે પરંતુ બાદમાં તેનો યથા યોગ્ય ઉપયોગ થાય છે કે કેમ તે જોવાની પણ તંત્રની જવાબદારી છે. પરંતુ તેની કોઈ દરકાર નહીં હોવાથી આ મશીનો આજે ધૂળ ખાઈ રહ્યા છે. જોકે પાલિકા પાસે તેના માટે કંઈક આવો જવાબ છે.
સ્ટેન્ડિંગ ચેરમેનની વાત માની લઈએ તો પણ ધૂળ જામી ગયા પછી કામગીરી કરવાનો શું અર્થ એ સવાલ છે. કેમકે જ્યારે આ મશીન લાવવામાં આવ્યું ત્યારે તે દરરોજ 40 કિલોમીટર ફરશે અને રસ્તાઓ ઉપરથી ધૂળ દૂર કરશે તેમ જણાવાયું હતું. આ માટે એજન્સીને કામ પણ આપવામાં આવ્યું હતું. પરંતુ આજે આ મશીન બંધ હાલતમાં છે એ હકીકત છે.
લોકોનો એવો પણ આક્ષેપ છે કે અહીં વિપક્ષ પણ રજૂઆતના મામલે સુષુપ્ત અવસ્થામાં છે જેને કારણે તેમની વાતની શાસક પક્ષ ઉપર કોઈ અસર ઉપજાવી શકતી નથી. આમ પ્રજા તો બેઉ તરફથી મુશ્કેલીમાં જ છે. ત્યારે હવે જોઈએ કે પાલિકા હવે પછી પ્રજાના પૈસાનો વેડફાટ કરતી અટકે.