Bhavnagar : રથયાત્રાની તૈયારીઓને અપાયો આખરી ઓપ, મર્યાદિત સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાશે
આવતીકાલે રાજ્ય સરકારની મંજૂરી મળતા રથયાત્રા શહેરના માર્ગો પર પસાર થવાની છે. ત્યારે રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રાને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
Bhavnagar : શહેરમાં આવતીકાલે રાજ્ય સરકારની મંજૂરી મળતા રથયાત્રા શહેરના માર્ગો પર પસાર થવાની છે. ત્યારે રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. રથયાત્રા સમિતિ દ્વારા મોટાભાગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
જ્યારે તંત્ર દ્વારા પણ રથયાત્રાની આખરી તૈયારીઓ થઈ ચૂકી છે અને ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા પણ આજે રથયાત્રા રૂટ પર ફ્લેગમાર્ચ કાઢવામાં આવી હતી. અને રથયાત્રા શાંતિપૂર્ણ યોજાઈ અને પૂર્ણ થાય તેના માટે રથયાત્રાને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
ભાવનગરમાં આ વર્ષે 36મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. ત્યારે દર વર્ષે યોજાતી રથયાત્રા અને આવતી કાલે યોજાયેલ રથયાત્રામાં બહુ મોટો ફેર છે. કારણકે કોરોનાને કારણે અનેક પ્રતિબંધો વચ્ચે રથયાત્રા યોજાવાની છે. અગાઉ રથયાત્રામાં હજારોની સંખ્યામાં માણસો ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાતા હતા, અનેક વાહનોની લાંબી કતારો લાગતી, અવનવા ફ્લોટ રજૂ થતા અનેક અખાડાઓના યુવાનો પોતાની કરતબો બતાવતા હતા.
પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને લઈને આ બધુ જ બંધ રહેશે, જોકે ગયા વર્ષે રથયાત્રા સંપૂર્ણ બંધ રાખવામાં આવી હતી, પરંતુ આ વર્ષે કોરોનાની ગાઈડ લાઈન સાથે રથયાત્રા યોજાશે.
આવતીકાલે સવારે વિધિ પૂરી થયા બાદ 7 કલાકે રથયાત્રા શહેરમાં નીકળશે, 17 કિલોમીટર 5 કલાકમાં ફરી નિજ મંદિર રથયાત્રા પરત ફરશે, માત્ર 5 વાહનો રથયાત્રામાં જોડાશે, 60 લોકોને રથયાત્રા માટે મંજૂરી અપાઈ છે. ત્યારે રથયાત્રાને લઈને રથયાત્રા સમિતિ દ્વારા આખરી કામગીરી પૂર્ણ કરાઈ રહી છે.
આવતીકાલે રથયાત્રાને લઈને કોરોનાનું સંક્રમણના વધે તે માટે સવારના 7 થી 1 શહેરના મોટાભાગના વિસ્તારોમાં કે જ્યાંથી રથયાત્રા પસાર થવાની છે. ત્યાં કરફ્યુ લાદવામાં આવ્યો છે. અને, આ કરફ્યુનું ચુસ્ત પાલન થાય અને શાંતિપૂર્ણ રથયાત્રા યોજાય તે માટે 3000થી વધારે સુરક્ષા કર્મીઓ તૈનાત રહેવાના છે.
ત્યારે આજે ભાવનગર રેન્જ આઈજી દ્વારા આજે શહેરમાં રથયાત્રાના રૂટ પર નિરીક્ષણ કરવામાં આવેલ સાથે ડી.એસ.પી સહિત અનેક પોલીસ અધિકારીઓ પણ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા.
હાલ તો રથયાત્રાને લઇને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. અને, ભક્તોમાં પણ રથયાત્રાને લઇને ઉત્સાહનો માહોલ છે. જોકે, ભક્તજનોને રથયાત્રાના દર્શન કેવી રીતે કરવા તે પ્રશ્ન પણ સતાવી રહ્યો છે.