BHAVNAGAR : શાળાઓ શરુ કરો, ખાનગી શાળા સંચાલકોની જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત
ગુજરાતના અન્ય શહેરોની જેમ ભાવનગરમાં પણ ખાનગી શાળાના સંચાલકો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન આપી રજૂઆત કરી હતી કે તાત્કાલિક સરકાર શાળાઓ શરૂ કરવાની મંજૂરી આપે.
BHAVNAGAR :સમગ્ર ગુજરાતમાં હાલમાં કોરોના ધીરે ધીરે કાબુમાં થતો દેખાઈ રહ્યો છે. સરકાર દ્વારા અનેક વ્યવસાયો ને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરી ધંધા રોજગાર શરૂ કરવા મંજૂરીઓ આપી છે. ત્યારે આજે સમગ્ર ગુજરાતના અન્ય શહેરોની જેમ ભાવનગરમાં પણ ખાનગી શાળાના સંચાલકો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન આપી રજૂઆત કરી હતી કે તાત્કાલિક સરકાર શાળાઓ શરૂ કરવાની મંજૂરી આપે.
ભાવનગર શહેરમાં આવેલ કુલ 225 ખાનગી શાળાના સંચાલકો દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફીસે પહોંચી આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી, સરકાર દ્વારા ટ્યુશન ક્લાસીસ, સરકારી સ્કૂલો દ્વારા શેરી શાળાઓ, ધાર્મિક સ્થળો, સ્વિમિંગ પૂલ સાહિતના વાણિજ્ય વ્યવસાયોને કોવિડી ગાઈડલાઈન અનુસાર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ ખાનગી શાળાઓના શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ, સંચાલકો ઘણા લાંબા સમયથી શાળાઓ શરૂ કરવા માટે માંગ કરી રહ્યા છે.
પરંતુ, હજી સુધી કોઈ કારણોસર રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો નથી, ગુજરાતમાં કોરોના હવે કાબુમાં આવ્યો છે. ત્યારે ખાનગી શાળાના સંચાલકોની માંગ ઉઠી છે કે જે રીતે કોરોનાની બીજી લહેર પહેલા શાળાઓને તબક્કાવાર ખોલવાની મંજૂરી અપાઈ હતી. તેવી રીતે સરકાર 9 થી 12 ની ખાનગી શાળાઓને શરૂ કરવાની મંજૂરી આપે તેવી ઉગ્ર માંગ સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
વધુમાં શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના તમામ શાળા સંચાલકો, સ્ટાફ અને શિક્ષકોને વેક્સિનના બન્ને ડોઝ અપાઈ ગયા છે. જેથી વિદ્યાર્થીઓ માટે શાળાઓ અને શિક્ષકો સુરક્ષિત છે, જેથી સરકારે તાત્કાલિકના ધોરણે ખાનગી શાળાઓને મંજૂરી આપી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી,
ભાવનગર શહેરની વાત કરીએ તો કુલ 225 ખાનગી શાળાઓ આવેલ છે. જેમાં કુલ 25 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, આગામી સમયમાં શાળા શરૂ કરવા માટે મંજૂરી આપવામાં નહીં આવે તો શાળા સંચાલકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી.