Bhavnagar : જિલ્લામાં વરસાદ ખેંચાતા જગતનો તાત પાકને લઈને ચિંતામાં ગરકાવ
ભાવનગર જિલ્લામાં જુલાઈમાં મોટાભાગનાં દિવસો કોરા ધાકોડ રહેવાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.
ભાવનગર જિલ્લામાં આ વર્ષે અપૂરતા વરસાદથી ખેડૂત વર્ગમાં ચિંતા પ્રસરી છે. જિલ્લાના એક પણ તાલુકામાં ચોમસાની (Monsoon) મોસમનો સરેરાશ 50 ટકા વરસાદ નોંધાયો નથી. સિહોર તાલુકામાં અત્યાર સુધીમાં વરસાદની માત્રાને ધ્યાને લઈએ તો, સતત બીજા વર્ષે, પ્રમાણમાં નબળો વરસાદ નોંધાયો છે. અપૂરતા વરસાદને કારણે વાવેતર કરી ચૂકેલા ખેડૂતોમાં તેમના પાકને લઈને ભારે ચિંતા કરી રહ્યાં છે.
અત્યાર સુધીમાં સિહોરમાં 20% પણ વરસાદ નોંધાયો નથી, ભાવનગર જિલ્લામાં શરૂઆતના દોરમાં વરસાદ ની એન્ટ્રી સારી હતી પણ ત્યારબાદ સતત વરસાદ ખેંચાવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી જવા પામેલ છે. અને ખેતીને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ચોમાસાની સિઝનના 56 દિવસ થવા છતાં મોઘેરા મેઘરાજા મનમુકીને વરસવાનું નામ લઇ રહ્યા નથી.
જુલાઈમાં મોટાભાગનાં દિવસો કોરા ધાકોડ રહેવાના કારણે આજે સુધી જિલ્લામાં સીઝનનો માત્ર 31.14 ટકા જ વરસાદ પડ્યો છે. ચોમાસાના પ્રારંભ અને દોઢ માસથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે તોપણ જિલ્લાના 10 તાલુકા માંથી એક પણ તાલુકામાં 50 ટકા વરસાદ નોંધાયો નથી.
આ વર્ષે 28 મી જુલાઇ સુધીમાં ભાવનગર મહુવા ઉમરાળા તાલુકામાં 50 ટકાથી વધુ વરસાદ ખાબક્યો હતો, ત્યારે ચાર તાલુકામાં 40 થી 50 ટકા નીચે, એક તાલુકામાં 30 ટકાથી વધુ, એક તાલુકામાં 30 ટકાથી નીચે એક માત્ર શિહોર તાલુકામાં 15.39 ટકા વરસાદ વરસ્યો છે.
જ્યારે આ વર્ષે 20 ટકાથી ઓછો વરસાદ થયો હોય તેમાં સિહોર અને જેસર તાલુકા નો સમાવેશ થાય છે. ત્યારે બાકીના તાલુકામાં 30 ટકાથી વધુ વરસાદ અને 50 ટકાથી ઓછો વરસાદ વરસ્યો છે. આ વર્ષે ગારિયાધારમાં સૌથી વધુ 49.71 ટકા તેમ જ જેસર માં 17.52 ટકા વરસાદ નોંધાયો છે. શિહોર પંથક માટે સતત બીજુ ચોમાસું નબળું રહ્યું છે. હજુ સુધી માત્ર 19.31 ટકા જ વરસાદ થયો છે. આ વર્ષે જુલાઈ માસના ત્રણ સપ્તાહ નબળા રહ્યા હોય ગોહિલવાડના ખેડૂતો મેઘરાજાની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.
ગયા વર્ષની જો વાત કરવામાં આવે તો ગયા વર્ષ ચોમાસાની સિઝનમાં ઉમરાળા, ગારીયાધાર, જેસર પાલીતાણા, ભાવનગર, મહુવા અને વલભીપુર સહિત સાત તાલુકામાં 100 થી 150 ટકાથી વધુ વરસાદ ખાબકયો હતો.જયારે ઘોઘા તળાજા અને શિહોરમાં 90 ટકાથી વધુ વરસાદ ચોમાસાની સમગ્ર સિઝનમાં વરસ્યો હતો.
હાલમાં વરસાદ ખેંચાતા ભાવનગર જિલ્લાના ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે કારણ કે શરૂઆતના દિવસોમાં સારો વરસાદ ત્યારબાદ આટલા બધા દિવસો વરસાદ વગર ખેંચાતા આ વિસ્તારના ખેડૂતોમાં ચિંતાનું પ્રમાણ વધ્યું છે.
આ પણ વાંચો : Ahmedabad : રાજ્યમાં હોસ્ટેલ શરૂ કરવા સરકારે મંજૂરી આપી, એક રૂમમાં 2થી વધારે વિદ્યાર્થીઓ નહીં રહી શકે
આ પણ વાંચો : Gandhinagar : 31 જુલાઈ શનિવારે ગૌણ સેવા પંસદગી મંડળની પરીક્ષા યોજાશે