Bhavnagar: કોંગ્રેસે મનપાના સત્તાધીશો પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ, જોગર્સ પાર્ક બનાવનારા કોન્ટ્રાકટર્સને છાવરવાનો આક્ષેપ
કોંગ્રેસના (Congress) કોર્પોરેટર જયદીપસિંહ ગોહિલનો આક્ષેપ છે કે શાસકો જે કોન્ટ્રાક્ટરોને કામ આપે છે તે મોટાભાગના ભાજપના (BJP) હોદ્દેદારો અને કાર્યકરો છે.
ભાવનગર (Bhavnagar) મહાનગરપાલિકાના (Corporation) સત્તાધીશો પર ફરી ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. આ વખતે જોગર્સ પાર્કના કામમાં ભ્રષ્ટાચાર (Corruption) આચરવામાં આવ્યો હોવાનો કોંગ્રેસે (Congress) આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના કોર્પોરેટર જયદીપસિંહ ગોહિલનો આક્ષેપ છે કે શાસકો જે કોન્ટ્રાક્ટરોને કામ આપે છે તે મોટાભાગના ભાજપના (BJP) હોદ્દેદારો અને કાર્યકરો છે. તેમને કમાણી કરાવવા માટે જ શાસકો પ્રજાના પૈસાનો બેફામ પણે વેડફાટ કરે છે.
કોન્ટ્રાક્ટર્સને દંડ કરવાના સ્થાને છાવરવામાં આવતા હોવાનો આરોપ
કોંગ્રેસના કોર્પોરેટરની વાત માનીએ તો, તખ્તેશ્વર રેલવે સટેશનથી ડોન સુધી રેલવેની જગ્યામાં જોગર્સ પાર્ક બનાવવાનું કામ 1.90 કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટરને અપાયું હતું. આ કામ સમયમર્યાદામાં પૂરું ન થતાં કોન્ટ્રાક્ટરને પેનલ્ટી ફટકારવાના બદલે કામની મુદતમાં 8 માસનો વધારો કરી આપવામાં આવ્યો છે અને મૂળ ટેન્ડર કરતા 45 લાખ વધુ ચૂકવવાનું નક્કી કરાયું છે. ત્યારે કૉંગ્રેસનો આક્ષેપ છે કે ભ્રષ્ટાચાર આચરવા માટે જ સમય મર્યાદા વધારી આપવામાં આવે છે.
લોકોના પૈસા વેડફાતા હોવાનો આક્ષેપ
ભાવનગર મનપા દ્વારા એક વર્ષનીસમય મર્યાદામાં કામ આપીને પહેલા કોન્ટ્રાકટરને ઓછા ભાવે કામ આપ્યું અને બાદમાં પૈસા વધારી દેવામાં આવતા આ કામમાં ભ્રસ્ટાચાર થયો હોવાની શંકા વિપક્ષે વ્યક્ત કરી છે. વિપક્ષે આરોપ લગાવ્યો કે કોન્ટ્રાકટરને આમ તો કામ મોડું કરવા બદલ પેનલ્ટી આપવી જોઈએ, તેના બદલે મૂળ ટેન્ડરમાં 45 લાખનો વધારો શાસકોએ કરી આપ્યો છે. આમ તો છેલ્લા ઘણા સમયથી મનપામાં આ એક પ્રકારે કૌભાંડ ચાલી રહ્યુ હોવાનો કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યુ છે. વિપક્ષનો આક્ષેપ છે કે પહેલા નીચા ભાવે કામ આપવાનું અને બાદમાં તેમાં સમય મર્યાદા અને પૈસા પણ વધારી આપવા જેના કારણે લોકોના પૈસાનો વ્યય થઈ રહ્યો છે. ભાવનગર મહાનગરપાલિકામાં શાસકો વિકાસના નામે લોકોના પૈસા વેડફી રહ્યાં છે. તેનું ઉદાહરણ માત્ર આ જોગર્સપાર્ક નહીં અગાઉ પણ અનેક કામો વગોવાયા છે તેમ છતાં શાશકો ની આંખ ખુલતી નથી.
આરોપો સામે સત્તાધીશોનો બચાવ
એકતરફ જોગર્સ પાર્કના કામની સમયમર્યાદા અને ચૂકવણાની રકમ વધારતા શાસકો પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. તો બીજીતરફ સત્તાધીશો બચાવની મુદ્રામાં આવી ગયા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે, જવાહરનગર બાજુની દિવાલ પહેલા ડિઝાઈનમાં નહોતી. પરંતુ બાદમાં સ્થળ નિરીક્ષણ દરમિયાન વાત ધ્યાને આવતાં દિવાલ બનાવવામાં આવી છે. જેના કામ અને ખર્ચ માટે સમયમર્યાદા તેમજ ટેન્ડરની રકમમાં વધારો કરાયો છે.
(વીથ ઇનપુટ-અજિત ગઢવી, ભાવનગર)