BHAVNAGAR : મહાનગરપાલિકાની મંજુરી વગર સરકારી જમીન પર સરકારી બિલ્ડીંગો બની ગયાના આક્ષેપ
એક તરફ મહાનગરપાલિકા તંત્ર સામાન્ય પ્રજાજનો કે બિલ્ડરોના બાંધકામમાં નજીવો ફેરફાર હોય તો પણ ચલાવી લેતું નથી અને દંડ કરતું જોવા મળે છે.
સરકારી તંત્રે છડેચોક નિયમોનો ભંગ કર્યો છે ત્યારે તેની સામે પગલાં લેવામાં આવતા નથી, તેવો પ્રશ્ન પણ લોકોમાં પૂછાઈ રહ્યો છે.
BHAVNAGAR : ભાવનગરના વિદ્યાનગર વિસ્તારમાં સરકારી કચેરીઓએ રસ્તાનો કબજો લઇ તેના પર મિલકત ચણી નાંખી હોવાનો ચોંકાવનારો આક્ષેપ થયો છે. એક તરફ મહાનગરપાલિકા તંત્ર સામાન્ય પ્રજાજનો કે બિલ્ડરોના બાંધકામમાં નજીવો ફેરફાર હોય તો પણ ચલાવી લેતું નથી અને દંડ કરતું જોવા મળે છે. ત્યારે સરકારી મિલકતો રસ્તા પર દબાણ કરી કેવી રીતે ઉભી થઈ ગઈ તે પ્રશ્ન ઉઠવા પામ્યો છે.
મળતી માહિતી અનુસાર કલેકટર કચેરી સહિત અન્ય વિભાગોની મિલકતો ચણવામાં મહાનગરપાલિકાની કોઈપણ પ્રકારની મંજૂરી લેતા નથી, મંજુરી વગર જ ચણી નાંખે છે. આ ઘટના માત્ર ભાવનગર નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આ જ રીતે ગેરકાયદે મંજૂરી વગર સરકારી ઓફિસો અને મિલકતો ચણી નાખવાની માહિતીઓ પણ મળી રહી છે. ભાવનગર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ હોસ્ટેલ અને ગ્રામ્ય મામલતદારની કચેરી સહિતના અનેક સરકારી બિલ્ડિંગો ડ્રેનેજ લાઈન ઉપર બની ગયા છે, એટલું જ નહીં આ બિલ્ડિંગ ઉભી કરવા માટે રસ્તા પર પણ દબાણ કરવામાં આવ્યું છે.
શહેરના બાંધકામના નિયમોનું ચુસ્ત પાલન કરવા માટે તંત્ર કટિબદ્ધ છે. ત્યારે સરકારી તંત્રે છડેચોક નિયમોનો ભંગ કર્યો છે ત્યારે તેની સામે પગલાં લેવામાં આવતા નથી, તેવો પ્રશ્ન પણ લોકોમાં પૂછાઈ રહ્યો છે. નિયમોનું પાલન કરાવનાર સરકારી તંત્ર દ્વારા જ જો નિયમોનો ભંગ કરવામાં આવે તો કાયદાનું પાલન લોકો પાસે કેવી રીતે કરાવી શકીએ એવો બળાપો કેટલાય મહાનગરપાલિકાના અધિકારીઓના મુખેથી સાંભળવા મળ્યું હતું.
ભાવનગર મહાનગરપાલિકા બાંધકામના નિયમોનું પાલન કરાવવા માટે સામાન્ય જનતા સામે એકદમ જડ બની જાય છે અને નિયમોનું કડક પાલન કરાવે છે. બીજી બાજુ સરકારી કચેરીઓ છડેચોક દબાણો કરી રસ્તા પર બની જાય છે તો પણ પગલાં લેવાતા નથી. ભાવનગર બિલ્ડર્સ એસોસિએશન દ્વારા પણ અગાઉ આ પ્રશ્ને મહાનગરપાલિકા કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જો કે તેમ છતાં કોઈ પગલાં હજુ સુધી લેવાયા નથી.
અમુક જગ્યાએ ડ્રેનેજ લાઇન પસાર થઇ રહી છે તે રસ્તા પર આડેધડ સરકારી બિલ્ડીંગ બનાવી નાખતા ડ્રેનેજ લાઈન ભરાઈ જાય છે, ત્યારે આજુ બાજુ ના લોકો પણ ભારે મુસીબત અનુભવી રહ્યા છે. આ માત્ર બેદરકારી નહીં પણ ગુનાહિત બેદરકારી છે જે અંગે જવાબદારો સામે પગલા લેવા જોઈએ, આ અંગે વિપક્ષ પણ આકરા પાણીએ થયા છે અને મનપાની આ નીતિ સામે વિરોધ નોંધાવ્યો છે.
આ પણ વાંચો : અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા રાહત આપવાના મોટા નિર્ણય લેવામાં આવ્યા, જાણો કોને કેટલી સહાય મળશે