Bharuch: હોસ્પિટલમાં મહિલાના મોત બાદ પરિવારજનોનો હોબાળો, પોલીસને તાત્કાલિક બોલાવવાની ફરજ પડી
મૃતક મહિલાના પરિવારે હોસ્પિટલમાં હોબાળો કર્યો અને પરિવારે તબીબો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માગ કરી. હોબાળા બાદ પોલીસને (Bharuch Police) તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવી હતી.
ભરુચ (Bharuch) જિલ્લાના અંકલેશ્વરમાં (Ankleshvar) સરગમ હોસ્પિટલમાં (Sargam Hospital) એક મહિલાના મોત બાદ પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, પ્રેગનન્સી રાખવા માટેના એક ટેસ્ટ દરમિયાન હોસ્પિટલ તરફથી આપેલા એક ઇન્જેક્શન બાદ મહિલાનું મોત થયુ છે. પરિવારજનોના હોબાળા બાદ હોસ્પિટલ તંત્રએ તાત્કાલિક પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને સમગ્ર મામલો થાળે પાળવાનો પ્રયાસ કર્યો હતો અને મૃતદેહને પરિવારને સોંપવા તજવીજ હાથ ધરી છે.
ઇન્જેક્શન આપ્યા બાદ મહિલાની તબિયત લથડી
ભરુચના વાલિયા તાલુકાની એક મહિલાને ઘણા સમયથી પ્રેગનન્સી રહેતી ન હતી. જેથી મહિલાના પરિવારજનો દ્વારા અંકલેશ્વરની સરગમ ગાયનેક હોસ્પિટલમાં મહિલાની ટ્રીટમેન્ટ શરુ કરાવી હતી. આ ટ્રીટમેન્ટ અંતર્ગત એક ટેસ્ટ કરાવવા માટે હોસ્પિટલના ડો. પરીન ખોજા દ્વારા મહિલાને હોસ્પિટલ બોલાવવામાં આવી હતી. મહિલાને હોસ્પિટલમાં બોલાવ્યા બાદ એક ટેસ્ટ માટે મહિલાને એક નર્સ દ્વારા ઇન્જેક્શન આપવામાં આવ્યુ હતુ. જે પછી મહિલાને ઇનેજ્કશનનું રિએક્શન આવ્યુ હતુ અને તેની હાર્ટ ફેઇલ થવાની શરુઆત થઇ હતી. જેથી આ મહિલાને તાત્કાલિક સારવાર માટે ICUમાં વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી.
દોઢ દિવસની સારવાર બાદ મહિલાનું મોત
દોઢ દિવસ સુધી ICUમાં સારવાર હેઠળ રાખ્યા બાદ અંતે મહિલાનું મોત થયુ હતુ. જેથી પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો. મહિલાના પતિ નેતાજી વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, હોસ્પિટલની બેદરકારીના કારણે તેની પત્નીનું મોત નીપજ્યુ છે. હોસ્પિટલ દ્વારા ઇન્જેક્શન મુકવાની ભુલને કારણે મોત થયુ હોવાનો આક્ષેપ મૃતક મહિલાના પતિએ કર્યો છે. બીજી તરફ મૃતક મહિલાના પરિવારના આક્ષેપ સામે હોસ્પિટલના તબીબે જવાબ આપ્યો હતો. ડો. નિસાર અલી ખોજાએ જણાવ્યુ હતુ કે, આ ઘટના ખૂબ જ દુ:ખદ છે. હોસ્પિટલ તરફથી મહિલાને બચાવવાના ખૂબ જ પ્રયાસ કરવામાં આવ્યા હતા. જો કે મહિલાને અમે બચાવી શક્યા નથી.
મૃતક મહિલાના પરિવારે હોસ્પિટલમાં હોબાળો કર્યો અને પરિવારે તબીબો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માગ કરી. હોબાળા બાદ પોલીસને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવી હતી. પોલીસે હોસ્પિટલ પહોંચી મામલો થાળે પાડ્યો હતો અને મૃતદેહને પરિવારને સોંપવા તજવીજ હાથ ધરી હતી.