ભરૂચના કારેલી ગામે પહોંચેલી દાંડીયાત્રાનું ભરૂચવાસીઓએ ભવ્ય સ્વાગત કર્યું
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તા.૧૨ મી માર્ચના રોજ અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડીયાત્રાનું આજે તા.૨૦ મી ના રોજ નવમા દિવસે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કંકાપુરા ખાતેથી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કારેલી ગામે આગમન થયું હતું.
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તા.૧૨ મી માર્ચના રોજ અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડીયાત્રાનું આજે તા.૨૦ મી ના રોજ નવમા દિવસે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કંકાપુરા ખાતેથી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કારેલી ગામે આગમન થયું હતું. કારેલી ગામે પ્રવેશેલી દાંડીયાત્રાનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભવ્ય સ્વાગત કરવામા આવ્યું હતું.
જિલ્લા કલેક્ટર શ્રી ડો. એમ.ડી. મોડિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરવિંદ વિજયન, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અલ્પાબેન પટેલ, જિલ્લા આગેવાનશ્રી મારૂતિસિંહ અટોદરીયા સહિત અધિકારીઓ અને અગ્રણીઓએ યાત્રીઓનું સૂતરની આંટી પહેરાવી ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
વર્ષ ૧૯૩૦ માં દાંડીકૂચ યોજી આઝાદીનો માર્ગ પ્રશસ્ત કરનાર મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં દાંડી પદયાત્રિકોનું ૨૦ મી માર્ચ, ૧૯૩૦ ના રોજ જંબુસર તાલુકાના કારેલી ગામમાં આગમન થયું હતું. એ દિવસે ગાંધીજી સાથે ૭૯ યાત્રિકોએ હોડીમાં સવાર થઈને બોરસદ તાલુકાના કંકાપુરા ગામથી કારેલી ગામ વચ્ચે આવેલી મહીસાગર નદીને પાર કરી કરી હતી. આ ઐતિહાસિક ક્ષણે ગ્રામજનોએ ગાંધીજી અને પદયાત્રીઓનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. કઈંક આવો જ માહોલ આજે કારેલી ગામમાં જોવા મળ્યો હતો.
યાત્રીઓ મહીસાગર નદી પાર કરીને કારેલી ગામના પાદરમાં આવી પહોંચ્યા ત્યારે જિલ્લા વહીવટી તંત્ર સાથે ગામલોકોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ગામની બાળાઓએ ફૂલ પાંદડીઓ વડે તમામ યાત્રિઓને વધાવ્યા હતા. ગાંધીજીના પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ ની સુરાવલિથી માહોલ સામાજિક ચેતના અને દેશભક્તિમય બન્યો હતો.