તેણે ચોરી કરી બે મહિના સુધી દાગીના સંતાડી રાખ્યા, મામલો શાંત પડ્યો હોવાનું વિચારી વેચવા પહોંચ્યો પણ અહીં અગાઉથીજ કોઈ જોઈ રહ્યું હતું તેની રાહ
ચોરીમાં સંડોવાયેલ ઈસમ બંબાખાના સર્કલ પરથી ચાલતો ચાલતો પસાર થઈ રહેલ તે વેળાએ તેને અટકાવી તલાશી લેવામાં આવતા ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો.
ચોરીનો મુદ્દામાલ વેચવાની પેરવીમાં ફરતા તસ્કરને ભરૂચ(Bharuch) શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી ચોરીના ગુનાના ભેદ ઉકેલવા સાથે પોણા બે લાખ રૂપિયા આસપાસનો મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા હાંસલ કરી છે. ભરૂચ શહેરમાં આવેલ નિઝામવાડી ખાતે થયેલી ચોરીના બનાવમાં ચોરી થયેલ રૂપિયા 1.48 લાખના મુદ્દામાલને રિકવર કરી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નખાયો છે. આરોપીની ધરપકડ કરી પોલીસે તેનો ગુનાહિત ભૂતકાળ અને અન્ય ડીટેક્ટ ગુનાઓની માહિતી મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે . જૂન મહિનામાં ચોરીના ગુનાને અંજામ આપી મામલો શાંત પડી ગયો હોવાના અનુમાન સાથે બે મહિના બાદ મુદ્દામાલ વેચલ નીકળેલા ચોરને પોલીસે ઝડપી પાડ્યો હતો.
ગત તારીખ 9 જૂન 2022ના રોજ ભરૂચ શહેરમાં આવેલ નિઝામવાડી ખાતે રાત્રીના સમયે કોઈ અજાણ્યો ઈસમ બંધ મકાનના દરવાજાનું તાળું તોડી દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કરી એક લોખડની તિજોરીના લોક તોડી તિજોરીમાં રાખેલ સોનાના દાગીના તથા રોકડા રૂપિયાની મત્તા મળી કુલ રૂપિયા 1.48 લાખની ચોરી કરી પલાયન થઇ ગયો હતો. બનાવ સંદર્ભે ભરૂચ શહેર બી ડીવીઝન પો.સ્ટે.માં ગુ.ર.ન પાર્ટ ” એ ” ૦૫૧૩/૨૦૨૨ હેઠળ ઈ.પી.કો. કલમ ૩૮૦,૪૫૪,૪૫૭ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. બી ડિવિઝનના પોલીસ ઇન્સપેક્ટર એ.બી.ચૌધરી દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલી કાઢવા સ્ટાફને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ ગુનાના આરોપીને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન બાતમીદાર તરફથી બાતમી મળી હતી કે નિઝામવાડી ખાતે બંધ મકાનમાં સોનાના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરીના ગુનામાં સંડોવાયેલ ઈસમ મુદ્દામાલ વેચવાની પેરવીમાં છે અને તે હાલ બંબાખાના સર્કલ થઈ પાંચબત્તિ તરફ ચોરીના દાગીના વેચવા નીકળ્યો છે ” . બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફે વોચ ગોઠવી હતી.
ચોરીમાં સંડોવાયેલ ઈસમ બંબાખાના સર્કલ પરથી ચાલતો ચાલતો પસાર થઈ રહેલ તે વેળાએ તેને અટકાવી તલાશી લેવામાં આવતા ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. પૂછપરછમાં આ વ્યક્તિએ પોતાનું નામ કાર્તિકભાઈ વિનોદભાઈ મિસ્ત્રી ઉ.વ .૨૩ રહેવાસી વેજલપુર નિઝામવાડી, બંબાખાના ભરૂચ હોવાનું જણાવ્યું હતું. આરોપી પાસેથી સૌનાનું પેન્ડલ , સોનાની બુટ્ટી , સોનાનું લોકેટ મળી કુલ 25 ગ્રામ સોનુ , રોકડા રૂપિયા 38000 મળી કુલ 1.68 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસ ઇન્સપેક્ટર એ.બી.ચૌધરી સાથે ધર્મેન્દ્રકુમાર બાબુલાલ , રાયાભાઈ દેરાજભાઈ , નરેશભાઈ નટવરભાઈ , તનવિર મહમદફારૂક , કિરોઝભાઈ કૃતુભાઈ તથા જોધુભાઈ લક્ષમણભાઈ એ જહેમત ઉઠાવી હતી