Ganesh Visarjan 2022 : ભક્તોએ દુંદાળા દેવને વિદાય આપી, પર્યાવરણના જતન માટે કૃત્રિમ કુંડમાં પ્રતિમાનોનું વિસર્જન કરાયું
આ વખતે તંત્ર દ્વારા પીઓપીની મૂર્તિઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવ્યા હતા. કૃત્રિમ તળાવમાં પ્રતિમાઓના વિસર્જનના કારણે નદીમાં પ્રદુષણ થતું નથી.
ગણેશ ચતુર્થી(Ganesh Chaturthi)ના દિવસથી ભગવાન ગણેશ તેમના ભક્તોના ઘરો અને પંડાલોમાં બિરાજમાન થયા હતા. 10 દિવસ સુધી ગણેશજીના જન્મદિવસની ઉજવણી કર્યા પછી અનંત ચતુર્દશીના રોજ ગણપતિ બાપ્પાને વિદાય અપાઈ હતી. શ્રદ્ધાળુઓ દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ અને નવ દિવસ ગણેશજીની સ્થાપના કરે છે અને પછી તેમને શુભ મુહૂર્તમાં વિદાય આપે છે. જે લોકો નવ દિવસ સુધી બાપ્પાને પોતાના ઘરમાં રાખે છે તેઓ ચતુર્દશીના 10મા દિવસે ખૂબ જ ઉત્સાહથી વિદાય આપે છે જેથી તેઓ આવતા વર્ષે ફરી પધારે. દક્ષિણ ગુજરાતમાં દુંદાળા દેવને ભક્તો દ્વારા પ્રતિમાઓના વિસર્જન સાથે વિદાય આપવામાં આવી હતી.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરાયું વિસર્જન
ભરૂચ અને અંકલેશ્વર શહેર અને જિલ્લામાં શુક્રવારે વિઘ્નહર્તાની વિસર્જન યાત્રા નિર્વિઘ્ને પાર પડે તે માટે જિલ્લા પોલીસ તંત્ર પોલીસ વડાની આગેવાનીમાં કટિબદ્ધ બન્યું હતું. ભરૂચમાં 1398 પોલીસકર્મીઓએ કાયદો અને વ્યવસ્થાની જાળવણીની જવાબદારી સ્વીકારી હતી. ભરૂચમાં 4 એ.એસ.પી. અને ડીવાયએસપી, 27 પી.આઈ., 38 પોસઇ, 978 પોલીસ જવાનો, 1128 હોમગાર્ડ, 750 જીઆરડી અને બે એસ.આર.પી. નો બંદોબસ્ત ફળવાયો હતો.
ચાર ટન પૂજાપો એકત્ર કરાયો
ભરૂચ અને અંકલેશ્વરમાં શાંતિપુર્ણ માહોલમાં ગણેશ વિસર્જન સંપન્ન થયું હતું. નર્મદા નદીમાં પ્રતિમાઓના વિસર્જન ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવતા કૃત્રિમ કુંડમાં વિસર્જન માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. ભરૂચમાં 4 કુંડ બનાવવામાં આવ્યા હતા જ્યાં શ્રધ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો હતો. ભરૂચ – અંકલેશ્વરમાં કુત્રિમ કુંડ ખાતે આશરે 4 ટન જેટલો પુજાપો એકત્ર કરવામાં આવ્યો હતો.ભરૂચમાંથી પસાર થતી નર્મદા નદીને સ્વચ્છ રાખવા માટે સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ભાડભૂત નજીક નર્મદા કિનારે મૂર્તિઓ તણાઈ આવી
નર્મદા નદીમાં ગણેશ પ્રતિમાઓના વિસર્જન ઉપર પ્રતિબંધ વચ્ચે અનંત ચૌદશના બીજા દિવસે કિનારે તણાઇ આવેલી મોટી સંખ્યામાં મૂર્તિઓ નજરે પડી હતી. ભાડભૂત નજીક નર્મદા કિનારે મૂર્તિઓ જોવા મળી હતી. ભાડભૂત નજીક મોટા કાળની જે પ્રતિમાઓ કુંડમાં વિસર્જિત થઇ શકે તેમ ન હતી તેનું વિસર્જન કરાયું હતું.
ડાંગ અને નવસારીમાં પ્રતિમાઓનું વિસર્જન કરાયું
આ વખતે તંત્ર દ્વારા પીઓપીની મૂર્તિઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવ્યા હતા. કૃત્રિમ તળાવમાં પ્રતિમાઓના વિસર્જનના કારણે નદીમાં પ્રદુષણ થતું નથી. આ ઉપરાંત પ્રતિમા બનાવવા વપરાતા POP અને કેમિકલના કારણે જળચરોને હાનિનો ભય નહિવત બને છે. મોટી સંખ્યામાં ગણેભક્તોએ ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ અને કુંડમાં વિસર્જનને પ્રાધાન્ય આપ્યું હતું.