ભરૂચ જિલ્લાના 45 ગામના ખેડૂતોની સરકારને ચીમકી, વળતરની સમસ્યા હલ કરો નહીંતર આંદોલન માટે તૈયાર રહો
ખેડૂત અગ્રણી નિપુણ પટેલે જણાવ્યું હતું કે સુરત , નવસારી અને વલસાડના ખેડૂતોને જે વળતર મળ્યું તે પ્રમાણે ભરૂચના ખેડૂતોને વળતર મળે તેવી જિલ્લાના ખેડૂતોની માંગ છે. પ્રશાસન તરફથી આજ દિન સુધી આશ્વાસન સિવાય કઈ મળ્યું નથી.
ભરૂચ(Bharuch) જિલ્લાના 4 તાલુકાના કેન્દ્ર સરકાર(Central Government)થી નારાજ 200 થી વધુ ખેડૂતોએ આજે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ખેડૂતો(Farmers) સરકાર દ્વારા ત્રણ મુખ્ય વિકાસના પ્રોજકેટમાં જમીન સંપાદન(Land Acquisition)ના વળતરની રકમને લઈ નારાજ છે. ખેડૂતો અનુસાર દક્ષિણ ગુજરાતમાં અન્ય તમામ વિસ્તારોની સરખામણીએ તેમને ઓછું વળતર મળી રહ્યું છે. ૪૫ ગામના ખેડૂતોએ ભરૂચ જિલ્લા કેલક્ટરને આવેદનપત્ર પાઠવી 29 મેં સુધીમાં વળતરનો પ્રશ્ન હલ ન થાય તો જિલ્લામાં ત્રણ મુખ્ય પ્રોજકેટનું કામ ઠપ્પ કરી દેવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે રજુઆત કરવા પહોંચેલા ખેડૂતો અનુસાર કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓ વડોદરા – મુંબઈ એક્સપ્રેસ વે , બુલેટ ટ્રેન અને ભાડભુત બેરેજ યોજનામાં જમીન સંપાદન અધિનિયમ – 2013 ની કલમ 26 ( 2 ) પ્રમાણે તેઓ જમીનના યોગ્ય વળતર મેળવવા હકદાર છે પરંતુ તેમની સાથે ઓરમાયું વર્તન થઇ રહ્યું છે. જમીન સંપાદન સામે દક્ષિણ ગુજરાતના સુરત , નવસારી અને વલસાડ માં બુલેટ ટ્રેન અને વડોદરા – મુંબઈ એક્સપ્રેસ વે જમીન ગુમાવનાર ખેડૂતોને જમીન સંપાદન અધિનિયમ 2013 ની કલમ 26 ( 2 ) પ્રમાણે સંતોષકારક વળતર ચૂકવાયું છે. આ મામલે ભરૂચ જિલ્લાના ખેડૂતો નારાજ છે. ભરૂચ જીલ્લાની ત્રણેય યોજનાઓમાં ખેડૂતોએ દેશના વિકાસ માટે જમીનો આપી છે.
ખેડૂત અગ્રણી નિપુણ પટેલે જણાવ્યું હતું કે સુરત , નવસારી અને વલસાડના ખેડૂતોને જે વળતર મળ્યું તે પ્રમાણે ભરૂચના ખેડૂતોને વળતર મળે તેવી જિલ્લાના ખેડૂતોની માંગ છે. પ્રશાસન તરફથી આજ દિન સુધી આશ્વાસન સિવાય કઈ મળ્યું નથી. દિવા ગામના ખેડૂત કૈયુમન કેરાવાલાએ જણાવ્યું હતું કે નેતાઓ સમસ્યા હલ કરવા તૈયાર ચેહ પણ કેટલાક અધિકારીઓને ભરૂચના ખેડૂત આંખમાં કાણાંની જેમ ખુંચે છે જે કનડગત ઉભી કરી રહ્યા છે. જમીન પાણીના ભાવે પડાવી લેવાના કારસા ખેડૂતો સફળ થવા દેશે નહિ.
ખેડૂત પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે અન્ય જિલ્લાના ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં સંકોચ ન હતો તો ભરૂચના ખેડૂતો સાથે કેમ ઓરમાયું વર્તન કરાઈ રહ્યું છે. બોરભાઠા પટ્ટીના ખેડૂતો જમરૂખની વર્ષોની મહેનત બાદ તૈયાર કરેલી વાડીઓ સોંપી રહ્યા છે. જેમને યોગ્ય વળતર મળે તે તેમની માત્ર જરૂરિયાત નહિ પણ હક છે.
રોષે ભરાયેલા ખેડૂતોએ કલેકટર કચેરીમાં સંપાદનના દસ્તાવેજોની હોળી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોએ 29 મે સુધીમાં નિરાકરણ ન આવે તો જિલ્લામાં ત્રણેય પ્રોજેક્ટ ઠપ્પ કરી દેવાની ચીમકી ઉચ્ચારી છે.