‘PMએ વિકાસની રાજનીતિનો પાયો નાખ્યો, ગુજરાત ગ્રોથ એન્જીન બની આગળ ધપાવી રહ્યું છે’ વીજ સબસ્ટેશનના લોકાર્પણ પ્રસંગે CM ભુપેન્દ્ર પટેલનું નિવેદન
સાંસદ મનસુખ વસાવાએ (Mansukh Vasava) આ પ્રસંગે આમ આદમી પાર્ટી (AAP) પર આડકતરી રીતે પ્રહાર કરતા કહ્યુ કે, વર્તમાન સમયમાં લોકોને ભરમાવવા જુઠઠા લોકો નીકળ્યા છે. જે વીજળી, પાણી બધું જ મફત આપવાની વાત કરે છે. પણ ભાઈ દેશના અર્થ તંત્રને ચલાવવા કરવેરા રૂપી આવકની જરૂર હોય છે. કરવેરા નહિ ભરીએ તો દેશનું અર્થતંત્ર કઈ રીતે ચાલશે.
ભરૂચના ઝઘડિયા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) આજે એટલે કે રવિવારે અમદાવાદ (Ahmedabad) , ભરૂચ (Bharuch) અને સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં બનેલા 66 કે.વી. ક્ષમતાના 5 વીજ સબસ્ટેશનના એક સાથે લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યા હતા. આ સબસ્ટેશન કુલ રૂપિયા 41 કરોડના ખર્ચે નિર્માણ પામ્યા છે. જે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ, ભરૂચના ઝઘડીયા, વાલિયા તથા સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના 45 ગામોના કુલ 24 હજાર વીજ ગ્રાહકોને ગુણવત્તા યુક્ત વીજળી પૂરી પાડશે.
ઝઘડિયામાં 5 સબસ્ટેશનના લોકાર્પણ અને ભૂમિપૂજન પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાહેર મંચથી પ્રજા જોગ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં વિકાસની રાજનીતિનો પાયો નાખ્યો અને જેને ગુજરાત સરકાર ભારતનું ગ્રોથ એન્જીન બની આગળ વધારી રહી છે. આજે ગુજરાત વીજળી, પાણી, ખેતી, ઉધોગ તમામ ક્ષેત્રે દેશમાં અગ્રેસર છે.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિનો પાયો નાખ્યો. જેનો લાભ છેવાડાના માનવી સુધી રાજ્ય સરકાર પહોંચાડી રહી છે. વિકાસમાં અવરોધ રૂપી આવતા રોડા તે માટે પણ આપણને ઉર્જાની જરૂર પડે છે અને આ ઉર્જા નિર્વિઘ્ને રાજ્યની તમામ પ્રજા તેમજ તમામ ક્ષેત્રોને મળી રહે તેના પ્રયાસ ગુજરાત સરકાર કરી રહી છે.
આદિવાસી વિસ્તારમાં 500 મોબાઈલ ટાવર ઉભા થઇ રહ્યા છે: CM
વધુમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આપણે કેટલું આગળ વધ્યા તેના માટે પાછળ વળીને પણ જોવું પડે. આજથી 20 વર્ષ પહેલાં 2002 માં રિન્યુબલ ઉર્જા 99 મેગાવોટ હતી. જે આજે 6588 મેગાવોટ ઉત્પન્ન થઇ રહી છે. રાજ્યનું વીજ ઉત્પાદન 8750 મેગાવોટ હતું જે આજે 40138 મેગાવોટ છે.આદિવાસી વિસ્તારમાં પેહલા 3 સબસ્ટેશન આજે 277 છે. જ્યારે દરિયા કાંઠે 255 સબ સ્ટેશન ઉભા કરાયા છે. આજે આદિવાસી વિસ્તારમાં 500 મોબાઈલ ટાવર ઉભા કરાઈ રહ્યાં છે.
સોલાર રૂફટોપમાં ગુજરાત દેશમાં નંબર વન: કનુ દેસાઈ
રાજ્ય ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, દેશનો પ્રત્યેક નાગરિક 1100 યુનિટ જ્યારે 2200 યુનિટ માત્ર ગુજરાતી જ એક વ્યક્તિ દીઠ વીજ વપરાશ કરે છે. વર્ષ 2002 માં 7 લાખ કૃષિ જોડાણ હતા આજે 14 લાખ છે. સોલાર રૂફટોપમાં ગુજરાત દેશમાં નંબર વન છે. વધુમાં કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આવનાર વિધાનસભાની ચૂંટણીઓમાં ઝઘડિયા વિસ્તારમાં જે વિકાસનો પાયો નખાયો છે, તે જોતાં એમ લાગે છે કે ઝઘડિયા વિધાનસભા બેઠક પણ ભાજપ સર કરશે.
આમ આદમી પાર્ટી પર મનસુખ વસાવાનો આડકતરી રીતે પ્રહાર
સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું, કે હું સાચી વાત કહું છું, જે લોકોને ગમતું નથી. વીજ ચોરી ન કરવી જોઈએ. વર્તમાનમાં લોકોને ભરમાવવા જુઠઠા લોકો નીકળ્યા છે. જે વીજળી, પાણી બધું જ મફત આપવાની વાત કરે છે. પણ ભાઈ દેશના અર્થ તંત્રને ચલાવવા કરવેરા રૂપી આવકની જરૂર હોય છે. કરવેરા નહિ ભરીએ તો દેશનું અર્થતંત્ર કઈ રીતે ચાલશે.
લોકાર્પણ કાર્યક્રમમાં વિધાનસભા દંડક દુષ્યંત પટેલ, ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ભારતસિંહ પરમાર, જેટકો એમ.ડી. ઉપેન્દ્ર પાંડે, સ્નેહલ ભાસ્કર, કલેકટર તુષાર સુમેરા, તા.પંચાયત પ્રમુખ સેવંતુભાઈ વસાવા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, ડીડીઓ યોગેશ ચૌધરી, ધર્મેન્દ્રસિંહ પરમાર, ગુમાનદેવ મંદિરના મહંત મનમોહન દાસજી સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.