Bharuch: દહેજમાં દેશના પ્રથમ ઔદ્યોગિક હેતુના ડિસેલીનેશન પ્લાન્ટનું લોકાર્પણ, દરિયાના પાણીને શુદ્ધ કરી ઉદ્યોગોના વપરાશમાં લઈ શકાશે
ગુજરાત(Gujarat) ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ-2 ઔદ્યોગિક વસાહત ખાતે ઔદ્યોગિક હેતુ માટે નવનિર્મિત દેશના સૌપ્રથમ 100 એમ.એલ.ડી. ડિસેલિનેશન પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે.
ભરૂચના(Bharuch) દહેજમાં (Dahej) ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)દેશના પ્રથમ ઔદ્યોગિક હેતુના 100 MLD ડિસેલીનેશન પ્લાન્ટનું(Desalination plant)લોકાર્પણ કર્યું હતું. આ પ્લાન્ટ દરિયાના ખારા પાણીને શુદ્ધ કરી ઉધોગોના વપરાશમાં લઈ શકનાર આ પ્લાન્ટ દરિયાનું 30,000 ટીડીએસનું પાણી શુદ્ધિકરણ કરી 200 ટીડીએસ એટલે પીવા યોગ્ય પણ બનાવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાતને દેશના વિકાસનું ગ્રોથ એન્જીન બનાવવામાં રાજ્યના ઉદ્યોગોનો સિંહફાળો છે. ઉદ્યોગો રાજ્યની કરોડરજ્જુ સમાન છે, ત્યારે ઉદ્યોગકારોની સમસ્યાઓ-રજૂઆતોના નિરાકરણ માટે રાજ્ય સરકાર હરહંમેશ તત્પર છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ-2 ઔદ્યોગિક વસાહત ખાતે ઔદ્યોગિક હેતુ માટે નવનિર્મિત દેશના સૌપ્રથમ 100 એમ.એલ.ડી. ડિસેલિનેશન પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે.
ભરૂચને શ્રેષ્ઠ અને રહેવાલાયક બનાવવાના નવતર અભિયાન ‘માય લિવેબલ ભરૂચ’ અભિયાનનો પ્રારંભ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે અંકલેશ્વર વસાહત ખાતે રૂપિયા 5.44 કરોડના ખર્ચે નવનિર્મિત GIDCના અદ્યતન વહીવટી સંકુલનું લોકાર્પણ તેમજ નવી ઔદ્યોગિક નીતિ હેઠળ 93 MSME એકમોને ₹11 કરોડની સહાયના ચેકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ કલેક્ટર તુષાર સુમેરાના વિઝન હેઠળ ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચને શ્રેષ્ઠ અને રહેવાલાયક બનાવવાના નવતર અભિયાન ‘માય લિવેબલ ભરૂચ’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો, જેના લોગોનું તેમણે ઈ-અનાવરણ કર્યું હતું.
છેલ્લા 2 દશકામાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, લોકહિત માટે શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. રોડ, રેલ અને એર કનેક્ટિવિટીમાં ગુજરાત અગ્રેસર છે, છેલ્લા 2 દશકામાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે, જેના પાયામાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હકારાત્મક ઔદ્યોગિક નીતિઓ છે, રાજ્ય સરકાર વિવિધ સ્ટાર્ટ અપ પોલિસી, ઇન્ડસ્ટ્રીઅલ પોલિસી, ઇલેક્ટ્રોનિક અને એરોસ્પેસ પોલિસી, સોલાર પોલિસી, ગારમેન્ટ-એપેરલ, ડિફેન્સ અને આઈ.ટી. પોલિસી ઘડીને તેના અસરકારક અમલીકરણ થકી વિકાસની યાત્રાને વધુ વેગવાન બનાવી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત રોકાણ અને રોજગારી મામલે દેશનું નંબર 1 રાજ્ય
જાણો શુ કહી રહ્યા છે ઉદ્યોગ પ્રધાન જગદીશ વિશ્વકર્મા
#gujrat #development #industries #economy
Posted by TV9 Gujarati on Thursday, June 16, 2022
આ કાર્યક્રમમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અરૂણસિંહ રાણા, એલ.એન્ડ ટી.ના વાઈસ પ્રેસિડેન્ટ એસ.ગિરીધરન, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, જિલ્લા અગ્રણી મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ સહિત ઉદ્યોગકારો, GIDC અને જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.