આલીયાબેટના 200 મતદારોને આઝાદીના 74 વર્ષે ઘર આંગણે મતાધિકારનો હક પ્રાપ્ત થયો
ખંભાતના અખાતના નર્મદાના સંગમસ્થાને આવેલા વિશાળ અવાવરું બેટ ઉપર આઝાદીના ૭૪ વર્ષ પછી પહેલીવાર ૨૦૦ મતદારો માટે મતદાન મથક ઉભું કરાયું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમ્યાન અહીંના મતદારોએ પહેલીવાર બેટ ઉપર મત આપ્યો હતો જેઓએ અગાઉ બોટમાં વગર જવું પડતું હતું
જાણો આધુનિક જમાનામાં પણ પાયાની સુવિધાઓથી વંચિત બેટના લોકોનું કેવું છે જીવન
ખંભાતના અખાતના નર્મદાના સંગમસ્થાને આવેલા વિશાળ અવાવરું બેટ ઉપર આઝાદીના ૭૪ વર્ષ પછી પહેલીવાર ૨૦૦ મતદારો માટે મતદાન મથક ઉભું કરાયું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમ્યાન અહીંના મતદારોએ પહેલીવાર બેટ ઉપર મત આપ્યો હતો જેઓએ અગાઉ બોટમાં વગર જવું પડતું હતું. અહીં રહેતા જત કોમના ૬૦૦ લોકો આઝાદીના આટલા વર્ષે પણ પાયાની સુવિધાઓથી વંચિત છે.
સૈકા પૂર્વે કચ્છથી પાણી અને ઘાસચારાની શોધમાં હિજરત કરી ગયેલા જત કોમના લોકો અવાવરું આલિયા બેટ ઉપર આલ નામના ઘાસના કારણે પોતાના પશુઓ માટે અનુકૂળ જગ્યા હોવાથી વસ્યા હતા જેમની વસ્તી આજે ૬૦૦ થી વધુ છે અને તેમની પાસે ૫૦૦ થી વધુ દુધાળા પશુ અને ઊંટ છે. ભરૂચના ગામડાઓમાં દૂધનું વેચાણ એ આ લોકોની મુખ્ય આજીવિકા છે. સ્થાનિકો ૯ મહિના ખુબજ મુશ્કેલ ગણાતા રસ્તા સ્વરા હાંસોટ સાથે જોડાય છે જયારે ચોમાસામાં ૩ થી ૪ મહિના ભરૂચના ભાડભૂત સાથે જળમાર્ગ એકમાત્ર રસ્તો રહે છે.
અહીંના લોકો પાયાની કહી શકાય તેવી તમામ સુવિધાઓથી વંચિત છે. સ્થાનિકો પાસે સંપર્ક માટે રસ્તા નથી, ગામમાં વીજળી સોલાર પેનલથી ગામલોકો દ્વારા જાતે મેળવાય છે. મોબાઈલ નેટવર્ક જૂજ વિસ્તારમાં મળે છે. સ્થાનિકો જે વાસણોમાં દૂધ વેચવા જાય છે તેમાં વળતા પાણી ભરી લાવે છે અને તેનો ઉપયોગ પીવા માટે કરે છે. નદી કિનારે વસ્યા હોવા છતાં નર્મદા ડેમના નિર્માણ બાદ ડાઉન સ્ટ્રિમમાં પાણી ઓછું વહેવાથી પાણી ખરા થયા છે.
સ્થાનિક અગ્રણી મહમદ જતે જણાવ્યું હતું કે સ્થાનિકો બદતર જીવન જીવી રહ્યા છે. પાણી , રસ્તા અને વીજળી સહિતના મોરચે સ્થાનિકો તંત્રની મદદના ઈન્તેજારમાં છે. ગામમાં એક શાળા છે જ્યાં અંકલેશ્વરના યુવાન વિનોદ પટેલ પોતાનું ઘર અને પરિવાર છોડી બાળકોના ભવિષ્ય માટે આલીયાબેટમાં સ્થાયી થતા 50 જેટલા બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે. વિનોદ પટેલે જણાવ્યું હતું કે બહારની દુનિયાની અજાણ બાળકો પ્રારંભે તેમને જોઈ ડરતા હતા તેમેં આજે બાળકોનો વિશ્વાસ જીતી અભ્યાસ આપવાનું શરૂ કર્યું છે.
અત્યારસુધી તમામ ચૂંટણીઓમાં અહીંના લોકો મતદાન માટે વગર બોટમાં જતા હતા પરંતુ ગઈકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અહીંના લોકો માટે મતદાન મથક ઉભું કરાયું હતું. ૨૦૦ મતદારો માટે મતદાન મથક બનાવતા સ્થાનિકોએ બેટ ઉપરજ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.