સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ટૂંક સમયમાં રાજકારણમાં સક્રિય ભૂમિકામાં દેખાઈ શકે છે, તક મળે તો ચૂંટણી લડવા પણ તૈયાર
તેમણે રાજકીય પક્ષમાં સીધા જોડાતા પહેલા પોતાના માટે સારો સમય , અવસર અને સ્થળ શોધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. પિતા અહેમદ પટેલે પાછળ છોડેલા પરોપકારી વારસાને તે પ્રથમ પ્રાથમિકતા આપવા માંગે છે.
કોંગ્રેસના દિવંગત વરિષ્ઠ નેતા સ્વ. અહેમદ પટેલ(Ahemad Patel)ની દીકરી મુમતાઝ પટેલે(Mumtaz Patel) સક્રિય રાજનીતિમાં પ્રવેશવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે. રાજકારણમાં પ્રવેશનો માર્ગ કોંગ્રેસનો રહેશે કે નહિ તે અંગે તેમણે સ્પષ્ટતા કરી નથી. સ્વ. અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલે આજે બુધવારે ભરૂચમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સવસરે રાજનીતિમાં જોડાવા અંગે મીડિયાએ પૂછેલા સવાલમાં તેમણે જણાવ્યું હતું કે તે ભરૂચમાં હમેશા સક્રિય રહેશે. સારા કામ માટે પોલિટિક્સમાં પણ પ્રવેશ લેવાની તૈયારી બતાવી હતી. પિતા અહેમદભાઈના પોલિટિકલ વારસદાર નહિ પણ રાજકારણમાં સારો મોકો મળ્યો તો જરૂર ભરૂચથી સક્રિય થવાનું મુમતાઝે જણાવ્યું હતું. કોંગ્રેસને અલવિદા કહી નેતાઓ દ્વારા કેસરિયા ધારણ કરવાના સિલસિલાને તેમણે મોટી સમસ્યા ગણાવી આ સિલસીલાને અટકાવવો પડશે તેમ મુમતાઝ ઉમેર્યું હતું.
અગાઉ મુમતાઝ પટેલ કહી ચુક્યા છે કે તેઓ સમુદાય અને રાષ્ટ્રીય નિર્માણનો ભાગ બનવા ઈચ્છે છે. તેમને લાગે છે કે તેમનો જન્મ તેના માટે થયો છે. તેઓ સક્રિય રાજકારણમાં જોડાવા માટે યોગ્ય સમય અને પ્લેટફોર્મની રાહ જોઈ રહ્યા છે.
જોકે તેમણે રાજકીય પક્ષમાં સીધા જોડાતા પહેલા પોતાના માટે સારો સમય , અવસર અને સ્થળ શોધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. પિતા અહેમદ પટેલે પાછળ છોડેલા પરોપકારી વારસાને તે પ્રથમ પ્રાથમિકતા આપવા માંગે છે. હવે મુમતાઝ પટેલની સક્રિય રાજકારણમાં પ્રવેશવાની ગતિવિધિઓ વધુ તેજ બનતી હોવાના સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે.
તિસ્તા સેતલવાડ કેસમાં અહેમદ પટેલ તરફ આંગળી ચિંધાઈ હતી
ગુજરાતના(Gujarat) વર્ષ 2002ના ગોધરા રમખાણ(Godhra Riots) કેસમાં સરકારે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. જેમાં સરકારે તિસ્તા સેતલવાડે(Teesta Setalvad) ગુજરાતને બદનામ કરવા કાવતરૂ રચ્યાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં કોંગ્રેસ પાર્ટીના અઘ્યક્ષ સોનિયા ગાંધીના પૂર્વ સલાહકાર સ્વર્ગસ્થ. અહેમદ પટેલ(Ahmed Patel) દ્વારા રકમ અપાઈ હોવાનો સોગંદનામામાં ઉલ્લેખ કરવામા આવ્યો છે. જેમાં પહેલા 5 લાખ અને પછી 20 લાખ રૂપિયા તિસ્તાને અપાયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ તિસ્તા સેતલવાડે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરવા કાવતરૂરચ્યુ હતું. આ રકમ વાપરીને તત્કાલીન મુખ્યપ્રધાન અને ગુજરાતને બદનામ કર્યાનો આરોપ કરવામાં આવ્યો છે. તેમજ તિસ્તાએ જુદી જુદી રીતે આ રકમ વાપરી અને છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો.