ભરૂચ : આખરે ટ્રાફિક અને અકસ્માતનું કારણ બની રહેલા રખડતા પશુઓ મુખ્યમાર્ગો ઉપરથી હટાવવા એજન્સી નિમાઈ
રખડતા પશુઓએ રસ્તા ઉપરથી દૂર કરવાની કામગીરી કરનાર ગૌ રક્ષા સમિતિના સભ્ય અનિલ મેહતાએ જણાવ્યું હતું કે આજથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે. પશુઓને પાંજરાપોળમાં રાખવામાં આવશે અને તેના રખરખાવ અને ખોરાક પાછળનો ખર્ચ પશુઓને પરત લેવા આવનાર પશુપાલક પાસેથી વસુલવામાં આવશે
ભરૂચ પાલિકા દ્વારા આખરે રસ્તાઓ ઉપર રખડતા પશુઓને ઢોર ડબ્બાના વાહનમાં પકડી પાંજરાપોળમાં મોકલવાની કામગીરી શરૂ કરાઈ છે.ચોમાસા સાથે જ ભરૂચ શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં રખડતા પશુઓના કારણે રાહદારીઓ અને વાહનચાલકોની પરેશાનીઓ વધી ગઈ હતી.
શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગો પર અડિંગો જમાવતા હરાયા ઢોરના કારણે ટ્રાફિકમાં અડચણ સાથે અકસ્માતનું જોખમ પણ શહેરીજનો પર વર્તાઈ રહ્યું હતું. આખલાઓ બાખડવાના વિવિધ વિસ્તારોમાં અનેક બનાવોને લઈ માર્ગો અને વિસ્તારોમાંથી રખડતા પશુઓને પકડી દૂર કરવા રજૂઆતો ઉઠી હતી. જેને લઈ પાલિકા દ્વારા બુધવારથી હરાયા ઢોરને પકડવાની ટીમ ઢોર ડબ્બા વાહન લઈ શહેરમાં ઉતરી હતી. વિવિધ સ્થળેથી રખડતા પશુઓને ઢોર ડબ્બાના વાહનમાં પુરી પાંજરાપોળમાં મોકલવામાં આવી રહ્યાં છે. જેને લઈ રાહદારીઓ અને વાહનચાલકો હાલ રાહત અનુભવી રહ્યાં છે.
રખડતા પશુઓએ રસ્તા ઉપરથી દૂર કરવાની કામગીરી કરનાર ગૌ રક્ષા સમિતિના સભ્ય અનિલ મેહતાએ જણાવ્યું હતું કે આજથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે. પશુઓને પાંજરાપોળમાં રાખવામાં આવશે અને તેના રખરખાવ અને ખોરાક પાછળનો ખર્ચ પશુઓને પરત લેવા આવનાર પશુપાલક પાસેથી વસુલવામાં આવશે
ભરૂચના માત્ર કલેકટર કચેરી નજીકના વિસ્તાર નહિ પરંતુ રેલવે સ્ટેશન, પાંચબત્તી અને કસક ગરનાળા સહિતના વિસ્તારોમાં મુખ્ય માર્ગ ઉપર ચકકજામનું કારણ બની બેઠેલા પશુઓ નજરે પડવા સામાન્ય બાબત બની ગઈ છે. સવારે અને સાંજના સમયે ટ્રાફિક વધુ હોય ત્યારે પશુઓ રોડ ઉપર બેસી રહેવાથી વાહનચાળાઓનો સમય અને ઇંધણ બન્ને વેડફાય છે.
ભરૂચમાં સમયાંતરે રખડતા આખલાઓ દ્વારા હુમલા અને બાખડતાં આંખલાઓ દ્વારા વાહનોને નુકશાન પહોંચાડવાના બનાવ બને છે. આવા અનેક આખલાઓ ભરૂચના રસ્તાઓ ઉપર રખડે છે અને લોકો માટે જીવનું જોખમ ઉભું કરે છે. ભૂતકાળમાં એક મહિલાને આખલાએ હવામાં ફંગોળી ગંભીરરીતે ઈજાગ્રસ્ત કરી હતી.
ભરૂચમાં રખડતા પશુઓના ત્રાસથી સ્થાનિકો કંટાળ્યા હતા. કલેકટર કચેરીની સામે મુખ્ય માર્ગની વચ્ચે અડિંગો જમાવી બેઠેલા પશુઓના કારણે વાહનોની કતાર પડવાની અને અકસ્માતનો ભય સર્જાવાની સમસ્યા થઇ રહી છે. વાહનચાલક ધર્મેશભાઈએ જણાવ્યું હતું કે રોડની વચ્ચે પશુઓની બાજુમાંથી પસાર થતી વખતે અચાનક પશુ ઇજા પહોંચાડે તેવો ભય લાગે છે. આ ડરમાં ઉતાવળે પસાર થવાના પ્રયાસમાં અકસ્માત સર્જાઈ શકે છે
આ પણ વાંચો :
આ પણ વાંચો :