Banaskantha: ચોમાસા પહેલા પાણીની સમસ્યા બની વિકટ, જળાશયોમાં પાણી તળ ખૂબ નીચા ગયા, ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં પાણીની સમસ્યા દિવસે દિવસે વિકટ બનતી જઇ રહી છે. છેલ્લા બે વર્ષથી વરસાદ (Rain) નહીંવત થતાં જિલ્લાના જળાશયો ખાલીખમ છે.
બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના છેવાડાના વિસ્તારમાં પીવાનાં પાણીની વિકટ પરિસ્થિતિ (Water crisis) ઉભી થઇ છે. વાવના રાછેણા, ચોથા નેસડા, લોદ્રાણી સહિતના ગામોમાં ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે. સમયસર પીવાનું પાણી ન મળતા લોકોની હાલત દયનિય છે. ગામમાં આવેલા પાણીના ટાંકા ઉનાળામાં શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે. સરકારના નળ જળ સે યોજનાના દાવા પણ જાણે પોકળ સાબીત થઇ રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા દિવસે દિવસે વિકટ બનતી જઇ રહી છે. છેલ્લા બે વર્ષથી વરસાદ નહીંવત થતાં જિલ્લાના જળાશયો ખાલીખમ છે. દાંતીવાડા અને સીપુ ડેમ હોવા છતાં ખેડૂતોના ખેતર વેરાન પડ્યા છે. જગતનો તાત કુદરતને ભરોસે વરસાદની રાહ જોઈ રહ્યા છે. દાંતીવાડામાં સીપુ અને દાંતીવાડા ડેમ હોવા છતાં ખેતરોમાં બોરના પાણીના તળ નીચા છે. જળાશયોના તળ 200 થી 1000 ફૂટ નીચે ગયા છે. જેને લઇ ઉનાળો બાજરીનો પાક સૂકાઇ રહ્યો છે.
પીવાના પાણી માટે મહિલાઓ કરે છે પડાપડી
પીવાનાં પાણીને લઈ વાવના રાછેણા ગામની પણ હાલત અત્યંત દયનિય સ્થિતિ છે. લોકોને આખો દિવસ પીણાના પાણીના ટેન્કરની રાહ જોઈ બેસી રહેવું પડે છે. ટેન્કર પાણી લઈ ગામમાં આવે છે અને સંપમાં ટેન્કર ખાલી કરે છે, ત્યારે ગામની મહિલાઓ પીવાનાં પાણી માટે જીવના જોખમે સંપ પર ચડી પીવાના પાણી માટે પડા પડી કરે છે.
પશુપાલન કરવુ થયુ મુશ્કેલ
ખેડૂતોનું કહેવું છે કે, પાણીના અભાવે ખેતી અને પશુપાલન કરવું મુશ્કેલી બન્યું છે. એક તરફ પાણીના તળ ઉંડા છે. તો બોર બનાવવાનો ખર્ચ પણ પાંચથી સાત લાખ રૂપિયા લાગે છે. સતત ખર્ચે કારણે ખેડૂતો દેવામાં ડૂબ્યાં છે. એટલું જ નહીં હજી જો પાણી નહીં મળે અને તળ ઉંડા જશે તો ખેડૂતોને હિજરત કરવાની નોબત આવી શકે છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે, નર્મદાનું પાણી આપવાની સરકારી યોજના માત્ર કાગળ પર છે. વર્ષોથી સરકાર મોટી મોટી વાતો કરે છે, પરંતુ હજી સુધી પાણી મળ્યું નથી. સરકારની ઇચ્છા હોય તો દાંતીવાડા અને સીપુ ડેમમાં નર્મદાનું પાણી નાખવું મુશ્કેલ નથી. પણ સરકાર ખેડૂતોની ઉપેક્ષા કરી રહી છે.
તો બીજી તરફ યુવા ભાજપ મહામંત્રીએ કહ્યું કે, બનાસકાંઠાને પાણી મળી રહે તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. નર્મદાની પાઇપ લાઇન નાંખવા માટે સરકારે સર્વે પણ કરાવ્યો છે. સાથે જ દાવો કર્યો કે છેલ્લા દોઢ મહિનાથી પાઇપ દ્વારા ડેમમાં પાણી નાંખવામાં આવી રહ્યું છે.