Ambaji માં ત્રિરંગા યાત્રાનું આયોજન, ઘેર ઘેર ત્રિરંગો લગાવવા અનુરોધ કરાયો
ગુજરાતમાં હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના ઘરોમાં કુલ 1 કરોડ ત્રિરંગા ફરકાવવામાં આવશે. તે સિવાય દરેક સરકારી કચેરીઓમાં પણ ત્રિરંગો લહેરાવવામાં આવશે.
15 મી ઓગસ્ટએ(Independence Day)ભારત દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે જેના ઉપલક્ષ માં ભારત સરકાર સમગ્ર દેશ ભરમાં આઝાદી કે અમૃત મહોત્સવ(Azadi Ka Amrit Mahotsav) ઉજવી રહી છે જેના અંતર્ગત આજ તારીખ 13 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર ત્રિરંગાનો કાર્યક્રમ પણ જાહેર કરાયો છે જેના ઉપલક્ષમાં અંબાજી (Ambaji) શ્રી શકિત સેવા કેન્દ્ર દ્વારા વિવિધક્ષણિક સંસ્થાઓના હજારો વિદ્યાર્થીઓ સાથે અંબાજી શહેરમાં ઝરમર વરસાદમાં પણ ભવ્ય ત્રિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બેન્ડ અને ડીજે ના તાલે આ રંગા યાત્રા સમગ્ર અંબાજી શહેર માં પરિભ્રમણ કરી ભારતદેશની આઝાદીના નારાનો જયધોષ કર્યો હતો.
આની સાથે ઘેર ઘેર ત્રિરંગો લગાવવા માટે પણ અનુરોધ કરાયો હતો. હર ઘર ત્રિરંગાના ત્રિદિવસીય કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનો સહીત શાળાઓમાં ભણતા બાળકો માં પણ દેશપ્રેમની ભાવના જાગે તથા ભારતદેશની આઝાદી માં વીર શહીદોના બલિદાનનું સ્મરણ તાજા થાય તેવા શુભ આશય થી ઐતિહાસિક રેલીનું આયોજન હાથ ધરાતા સમગ્ર અંબાજી પંથક તિરંગામય બન્યું હતું. તેમજ અંબાજી ગબ્બરના 51 શક્તિપીઠ મંદિરોમાં પણ મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રિરંગા લગાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે
જો કે હર ઘર ત્રિરંગા અભિયાન માટે અંબાજી ભાજપ મંડળ દ્વારા 2000 જેટલા ત્રિરંગા નું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું જયારે દાંતાના સરપંચ દ્વારા 1000 ત્રિરંગા લોકોને નિઃશુલ્ક વિતરણ કર્યું હતું.
7 ઐતિહાસિક સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
ગુજરાતમાં આ વર્ષે 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા પર્વની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક થવા જઈ રહી છે. આ વર્ષે દેશના નાગરિકો રાષ્ટ્રપ્રેમના રંગે રંગાય અને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરે તે હેતુથી કેન્દ્ર સરકારે હર ઘર ત્રિરંગા અભિયાન જાહેર કર્યું છે. અત્યારે ગુજરાતમાં સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકાઓના સાક્ષી રહેલા 7 ઐતિહાસિક સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વતંત્રતા પર્વની ઉજવણી એટલે કે હર ઘર ત્રિરંગા અભિયાન માટે એવા 7 સ્થળોને પસંદ કરવામાં આવ્યા છે કે જે સ્વાતંત્ર્ય સંગ્રામના સાક્ષી બન્યા હોય અને જે સ્થળો સાથે આઝાદીની લડત માટેની કોઇને કોઈ કહાની જોડાયેલી હોય.
7 જિલ્લામાં 7 ઐતિહાસિક સ્થળોએ કાર્યક્રમ
1. ઠક્કર બાપા, ભાવનગર: ઠક્કરબાપા ગાંધીજીના ચુસ્ત અનુયાયી હતા અને આદિજાતિ શિક્ષણ માટે બહોળા પ્રમાણમાં શાળાઓ સ્થાપિત કરી હતી. તેઓ એક જાણીતા સમાજસેવક રહ્યા હતા.
2. ડૉ. ઉષા મહેતા, સુરત: તેઓ ગાંધીવાદી હતાં અને સવિનય કાનૂન ભંગ ચળવળ અને ભારત છોડો આંદોલનમાં સહભાગી રહ્યા હતાં. સ્વતંત્રતા માટે ઘણી વખત તેઓ જેલમાં પણ રહ્યા હતાં.
3. ઐતિહાસિક સ્થળો, અમદાવાદ: અમદાવાદમાં સ્વતંત્રતા સંગ્રામ સાથે સંકળાયેલા જાણીતા સ્થળો પૈકી નિર્ધારિત થયેલા સ્થળોએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.
4. કિર્તી મંદિર, પોરબંદર: ગાંધીજીનું આ પૈતૃક ઘર છે જ્યાં તેમનો જન્મ થયો હતો. અહીં ગાંધીજીના જીવન અંગે જણાવવા માટે સ્મારકનું નિર્માણ કરવામા આવ્યું છે.
5. સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા (રાજપીપળા): ભારતીય રાજનીતિજ્ઞ અને સ્વતંત્રતા સંગ્રામના સક્રિય સહભાગી શ્રી વલ્લભભાઈ પટેલ, સરદાર પટેલ તરીકે લોકપ્રિય છે.
6. દાંડી યાત્રાના પદયાત્રીઓનું સ્મારક, નવસારી: દાંડી સ્થિત રાષ્ટ્રીય મીઠા સ્મારક એ મહાત્મા ગાંધીને સમર્પિત સ્મારકો પૈકીનું એક વિશિષ્ટ સ્મારક છે.
7. શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક, કચ્છ: શ્યામજી કૃષ્ણ વર્મા એ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં મોખરાના સેનાનીઓ પૈકી એક છે.
1 કરોડ ત્રિરંગા લહેરાવવામાં આવશે
ગુજરાતમાં હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના ઘરોમાં કુલ 1 કરોડ ત્રિરંગા ફરકાવવામાં આવશે. તે સિવાય દરેક સરકારી કચેરીઓમાં પણ ત્રિરંગો લહેરાવવામાં આવશે. આ અભિયાન ઓગષ્ટ 13થી 15 સુધી ચાલશે, જેમાં સમગ્ર દેશમાં અલગ અલગ સ્થળોએ ઉજવણી કરવામાં આવશે.
(With Input, Chirag Agrwal, Ambaji)