બનાસકાંઠામાં જ્યાં જુઓ ત્યાં મસમોટા ખાડા, બિસ્માર રસ્તાઓથી જનતા ત્રાહિમામ છતા તંત્ર ઘોર નિદ્રામાં
Banaskatha: શહેરમાં વરસાદ બાદ ઠેર ઠેર પડેલા મસમોટા ખાડાથી રસ્તાઓ બિસ્માર બન્યા છે. જેમા સૂઈગામ તાલુકાને જોતા રોડની હાલત ઘણી દયનિય બની છે, જેમા સૌથી વધુ મરો વાહનચાલકોનો થઈ રહ્યો છે.
બનાસકાંઠા (Banaskatha)માં વરસાદ બાદ ઠેર ઠેર મસમોટા ખાડા પડ્યા છે. અનેક રસ્તાઓ ખસ્તાહાલ (Bad Roads) બન્યા છે. જેના કારણે વાહનચાલકોની સ્થિતિ ઘણી કફોડી બનીછે. ખાડાગ્રસ્ત રસ્તા પર વાહનચાલકોને વાહન લઈને નીકળવુ એ કોઈ પરાક્રમથી ઓછુ નથી. રોડ પર જ્યા જુઓ ત્યા ખાડા(Potholes) જોવા મળે છે આથી એ નક્કી કરવુ મુશ્કેલ બની જાય છે કે રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ છે. જેમા ખાસ કરીને સૂઈગામથી વાવ અને થરાદને જોડતો હાઈવે હોય કે પછી સૂઈગામથી કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો હાઈવે હોય. તમામ રોડ ખાડાઓને કારણે સંપૂર્ણપણે બિસ્માર બની ચુક્યા છે. સૂઈગામથી વાવ અને થરાદ થઈને રાજસ્થાન, હરિયાણા અને પંજાબ તરફ જતા હાઈવે પર ઠેરઠેર ખાડાઓને કારણે વાહનોને મોટા પાયે નુકસાન થઈ રહ્યુ છે.
એક વર્ષ પહેલા જ બનેલો રોડ બન્યો બિસ્માર
સ્થાનિકોનુ કહેવુ છે કે હજુ એક વર્ષ પહેલા જ રોડ બનાવવામાં આવ્યો છે અને સામાન્ય વરસાદમાં જ સંપૂર્ણ રોડ ધોવાઈ ગયો છે. રોડના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. આ તરફ સૂઈગામ તાલુકામાંથી પસાર થતા અન્ય રાજ્યના મોટા વાહનચાલકો પણ બિસ્માર રોડને પારાવાર મુશ્કેલી પડી રહી છે. વાહનચાલકોનું કહેવુ છે કે ખરાબ રોડને કારણે વાહનોને પણ નુકસાન થઈ રહ્યુ છે ઉપરાંત વાહન ધીમે ચલાવવાના કારણે ડીઝલનો ખર્ચ પણ વધી રહ્યો છે.
પ્રવાસન સ્થળ નડાબેટ તરફથી આવતા લોકો અને નાના વાહનચાલકોને પણ હાઈવે પર ખાડાઓને કારણે મુશ્કેલી વેઠવી પડે છે. સૂઈગામથી નડાબેટ સુધી આવવામાં તો વાહનચાલકોને નાકે દમ આવી જાય છે. નડાબેટ પહોંચતા તો વાહચાલકો ત્રાહિમામ પોકારી જાય છે
ખાડાથી જનતા બેહાલ પરંતુ તંત્રની નથી ખૂલતી આંખ
ખાડાઓને કારણે લોકોને પારવાર હાલાકી વેઠવી પડે છે, અકસ્માતોનુ પ્રમાણ પણ વધ્યુ છે. તંત્ર તાત્કાલિક હાઈવે પરના ખાડાઓનું સમારકામ કરે તેવી વારંવાર માગ ઉઠી રહી છે પરંતુ કુંભકર્ણ નીંદ્રામાં પોઢેલા તંત્રની આંખ ખૂલતી નથી, વાહનચાલકોની સમસ્યાની તંત્રને જાણે કંઈ પડી ન હોય તેમ તેમના બહેરા કાને આ રજૂઆતોની કોઈ અસર થતી નથી. એક વર્ષ પહેલા બનેલો રોડ સંપૂર્ણપણે ધોવાઈ ગયો જે રોડની કામગીરીમાં થયેલા ભ્રષ્ટાચારની સાબિતી આપે છે, પરંતુુ તંત્રની આ ભ્રષ્ટ નીતિના પાપે મરો જનતાનો થઈ રહ્યો છે.