ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પૈતૃક વતન થરાદની મુલાકાતે, પરિવાર સાથે કુળદેવી માતાના કર્યા દર્શન
Gautam Adani visited Tharad : ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, કોંગ્રેસના આગેવાન ડી.ડી. રાજપૂત અને સ્થાનિક આગેવાનોએ તેમને આવકારી કોરોના મહામારી સમયે તેમને આપેલા ઓક્સિજન પ્લાન્ટની ભેટ બદલ તેમનું સન્માન કર્યું હતું.
BANASKANTHA : માણસ ગમે તેટલા ઉંચાઈ પર પહોંચી જાય, પરંતુ એના વતન સાથે તેનો નાતો અતૂટ હોય છે. દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani)ભલે વેપાર-ધંધામાં દેશમાં અવ્વલ સ્થાન ધરાવતા હોય. પરંતુ આજે પણ તેમના પૈતૃક વતન સાથે તેમની લાગણીઓ જોડાયેલી છે. નવા વર્ષની શરૂઆત થતાં આજે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પોતાના પરિવાર સાથે થરાદ(Tharad)માં કુળદેવી કુવારકા માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પોતાના પરિવાર સાથે આજે થરાદની મુલાકાતે હતા. જ્યાં પોતાના પૈતૃક નિવાસસ્થાનથી તેમના કુળદેવી કુવારકા માતાજીના દર્શન કર્યા હતા. જે બાદ જૈન મુનિઓના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. થરાદના જેઠીબા ભવનમાં તેમણે સામાન્ય વ્યક્તિની જેમ સ્થાનિક લોકો સાથે બેસી ભોજન લીધુ હતું. ત્યારબાદ થરાદના આગેવાનો સાથે શુભેચ્છા બેઠક પણ કરી હતી.
કોરોના મહામારી દરમિયાન ગૌતમ અદાણી દ્વારા થરાદની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો હતો. કટોકટીના સમયે ગૌતમ અદાણી પોતાના પૈતૃક વતનના લોકોની સહાયમાં આગળ આવ્યા હતા. જે બાબતને લઈને આજે જ્યારે ગૌતમ અદાણી થરાદ પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં થરાદ અને તેની આસપાસના લોકો તેમને આવકારવા પહોંચ્યા હતા.
ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, કોંગ્રેસના આગેવાન ડી.ડી. રાજપૂત અને સ્થાનિક આગેવાનોએ તેમને આવકારી કોરોના મહામારી સમયે તેમને આપેલા ઓક્સિજન પ્લાન્ટની ભેટ બદલ તેમનું સન્માન કર્યું હતું. જ્યાં સ્થાનિક આગેવાનો દ્વારા સરહદી વિસ્તારમાં એક મોટી હોસ્પિટલ બનાવવા માટેની રજુઆત કરવામાં આવી હતી. જે મામલે ગૌતમ અદાણીએ આગેવાનોને આશ્વાસન આપ્યું હતું કે આગેવાનો મળી હોસ્પિટલ માટે સારી જગ્યા નક્કી કરો. હું તમારી સાથે રહીશ.
આ પણ વાંચો : સી.આર. પાટીલ અંગે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
આ પણ વાંચો : અમદાવાદમાં આકાર પામશે વિશ્વનું સૌથી ઉંચુ 504 ફૂટ મા ઉમિયાનું મંદિર, સોમવારથી થશે નિર્માણ કાર્યનો શુભારંભ