Banaskatha: અંબાજી હાઈવે અને 20 ગામને જોડતો વગદાથી સેજલપુરા જતો માર્ગ છેલ્લા સાત વર્ષથી બિસ્માર
Banaskatha: અંબાજી હાઈવે અને 20 ગામને જોડતો વગદાથી સેજલપુરા જતો માર્ગ છેલ્લા 7 વર્ષથી બિસ્માર હાલતમાં છે છતા તંત્રના પેટનું પાણી હલતુ નથી અને તંત્રની નિષ્ક્રિયતાના પાપે વાહનચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
અંબાજી હાઈવે (Ambaji Highway) અને 20 ગામને જોડતો વગદાથી સેજલપૂરા તરફ જતો માર્ગ છેલ્લા સાત વર્ષથી બિસ્માર છે. આ માર્ગ એટલી હદે ખરાબ છે કે વરસાદ પડે તો અહીં ઘૂંટણસમા પાણી ભરાય છે. વાહનચાલકો અને યાત્રાધામ અંબાજી જતા ભક્તોને નાછૂટકે આટલા પાણીમાંથી પસાર થવું પડે છે. છેલ્લા સાત વર્ષથી વગદા સેજલપુરા રોડનું સમારકામ કરવા સ્થાનિકો અને વાહનચાલકોએ વારંવાર રજૂઆતો કરી ચુક્યા છે. છેલ્લા 7 વર્ષથી 20 ગામના લોકો હાલાકી ભોગવી રહ્યા છે, પરંતુ તંત્ર (System)ના પેટનું પાણી હલતું નથી અને તંત્રની આ નિષ્ક્રિયતાને ભોગે લોકોને પારાવાર હાલાકી વેઠવી પડે છે. ખરાબ રસ્તાને કારણે લોકોની મણકાની સમસ્યાની ફરિયાદો પણ વધી છે.
આ વિસ્તારના પ્રતિનિધિઓ અને પાલનપુર (Palanpur) તાલુકા પંચાયતના સત્તાધીશો ખુદ પણ સ્વીકારે છે કે 20 ગામને જોડતો આ રસ્તો 5 વર્ષથી બિસ્માર છે. જો કે સૌથી વધુ દયનિય સ્થિતિ તો એ છે કે પ્રતિનિધિને એ પણ ખબર નથી કે આ રોડ માર્ગ મકાન વિભાગ જિલ્લા પંચાયતમાં આવે છે કે પછી રાજ્યમાં. 5 વર્ષથી માત્ર રજૂઆતોનું નાટક જ થઈ રહ્યુ છે અને પરિણામ શૂન્ય છે.
જિલ્લા પંચાયતની કચેરીમાં બેસીને પોતાને જનતાના પ્રતિનિધિ ગણાવતા અધિકારીઓને એ પણ ખબર નથી કે આ રોડ કયા વિભાગમાં લાગે છે. જો કે જિલ્લા પંચાયતના સભ્યનું કહેવું છે કે તેમણે આ અંગે માર્ગ અને મકાન વિભાગ અને રાજ્ય સરકારને આ અંગેની જાણ કરી દીધી છે. પરંતુ બજેટને કારણે હાલ રોડનું કામ અટક્યું છે. આગામી ભાદરવી પૂનમનો મહા મેળો શરૂ થનાર છે અને લાખો પદયાત્રીકો પદયાત્રા કરીને જશે, ત્યારે વગદા સેજલપુરા માર્ગ પણ અંબાજીને જોડતો છે અને આ માર્ગ પરથી પણ હજારો પદયાત્રીકો પસાર થાય છે ત્યારે પદયાત્રીઓને પણ આ માર્ગ પરથી પદયાત્રા કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
ફક્ત પ્રજાજનો જ નહીં પણ વિપક્ષે પણ આ અંગે શાસકપક્ષને વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ તેની કોઈ અસર થતી નથી. વિપક્ષનો એવો પણ આક્ષેપ છે કે જે લોકોએ ભગવાનના નામે મત માગ્યા છે તે ભગવાનને પણ ભૂલી ગયા છે. આ અંગે જ્યારે નગરપાલિકાના પ્રમુખને પુછવામાં આવ્યું તો તેમણે વરસાદનું બહાનું કાઢ્યું.અને હા સાથે-સાથે રસ્તા અને ગંદકીની સમસ્યામાંથી લોકોને જલદીથી છૂટકારો મળી જશે તેવું વચન પણ નગરપાલિકાના મહિલા પ્રમુખે આપ્યું છે.