Banaskantha: જેસોર પર્વતને લીલોછમ બનાવવા બનાસ ડેરીનું વૃક્ષારોપણ મહાઅભિયાન
બનાસકાંઠાના અરવલ્લીની ગિરિમાળામાં આવેલા જેસોર પર્વત પર આજે એક લાખથી વધુ સીડ બોલ બનાવી તેનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.
સૂકો ભઠ્ઠ બનાસકાંઠા (Banaskantha) જિલ્લો લીલોછમ બને તે માટે હવે બનાસ ડેરી (Banas Dairy)એ વૃક્ષારોપણનું મહાઅભિયાન હાથધર્યું છે. જે અંતર્ગત જિલ્લાના સૌથી ઊંચા પર્વત જેસોર પર્વત પર એક લાખથી વધુ સીડ બોલ બનાવી અલગ-અલગ ટુકડીઓ દ્વારા જંગલ વિસ્તારમાં તેનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. જેથી આગામી સમયમાં વરસાદ સમયે સીડ બોલમાંથી વૃક્ષ અંકુરણ થઈ શકે.
ખેતી અને પશુપાલન વ્યવસાય ટકાવી રાખવા વૃક્ષોનું જતન કરવું જરૂરી
ખેતી અને પશુપાલન માટે મુખ્ય સ્ત્રોત પાણી છે. પાણી વિના ખેતી અને પશુપાલન થઈ શકે તેવી કોઈ શક્યતા નથી. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ આગામી સમયમાં જિલ્લામાં પાણીની અછત ન સર્જાય અને જિલ્લો હરિયાળો બને તે માટે દર વર્ષે વૃક્ષારોપણ કરી લાખો વૃક્ષોનું વાવેતર કરે છે.
બનાસકાંઠાના અરવલ્લીની ગિરિમાળામાં આવેલા જેસોર પર્વત પર આજે એક લાખથી વધુ સીડ બોલ બનાવી તેનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું. ચેરમેન શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને જુદી જુદી ટીમો બનાવી ટીમોએ જેસોર પર્વતના અલગ-અલગ વિસ્તારમાં જઈ સીડ બોલ મૂક્યા છે. સીડ બોલમાં 10થી વધુ વૃક્ષોના બીજ તેમજ છાણ અને કાંપ વાળી માટેનું મિશ્રણ કરી બોલ બનાવવામાં આવ્યા છે. જે સીડ બોલ પર આગામી સમયમાં વરસાદ પડતાં જ નવા છોડ સજીવન થશે.
વન્ય પ્રાણીઓ માટે ભોજન અને જેસોર પર્વત લીલોછમ બને તે અમારો પ્રયાસ :- શંકર ચૌધરી
છેલ્લા કેટલાય સમયથી જંગલ વિસ્તારમાં પણ જંગલી પ્રાણીઓને ખોરાક મળી રહે તે પ્રકારના વૃક્ષોની સંખ્યા ઘટી છે. બનાસ ડેરી સાથે મળી બનાસકાંઠા વનવિભાગ દ્વારા સીડ બોલ બનાવી વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આજે બનાસ ડેરીએ જેસોર પર્વતની આજુબાજુના વિસ્તારના લોકો તેમજ દૂધ મંડળીના પશુપાલકોએ પણ જેસોર પર્વત પર વૃક્ષ વધુ વાવેતર થાય તે માટે કામે લાગી અલગ-અલગ પર્વતીય વિસ્તારમાં સીડ બોલ જઈ મુક્યા હતા.
ભવિષ્યમાં પાણી અને વરસાદનો પ્રશ્ન ન રહે તે માટે વૃક્ષારોપણ જરૂરી
બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટો પ્રશ્ન નહિવત વરસાદ અને ઉંડા જતા ભૂગર્ભજળ છે. જે વચ્ચે બનાસ ડેરીનું વૃક્ષારોપણ અભિયાન આગામી સમયમાં પાણીની તંગી તેમજ સૂકા ભઠ્ઠ વિસ્તારને લીલોછમ બનાવશે. બનાસ ડેરી છેલ્લા બે વર્ષથી જીલ્લાના તમામ સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમ કરી વૃક્ષ વાવેતરનું ભગીરથ કામ કરી રહી છે. જે જીલ્લાના શુષ્કતાનું કલંક દૂર કરશે.
આ પણ વાંચો : Valsad Rain : જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો, સૌથી વધુ પારડીમાં વરસાદ નોંધાયો
આ પણ વાંચો : Ahmedabad : શહેરમાં રોગચાળો વકર્યો, પાલિકા દ્વારા 1200 એકમોને નોટિસ