Banaskantha : ભગવાન જગન્નાથની 51મી રથયાત્રાની તૈયારીઓ આખરી તબક્કામાં, સુરક્ષામાં 1000 પોલીસકર્મીઓ તૈનાત
બનાસકાંઠાના પાલનપુરમાં ભગવાન જગન્નાથનું ધામધૂમથી મોસાળું થયા બાદ અષાઢી બીજના દિવસે શહેરના રાજમાર્ગો પરથી રથયાત્રા નીકળશે. શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા નીકળશે. આ રથયાત્રાને લઈ પોલીસ દ્વારા શહેરમાં ફૂટ માર્ચ યોજાઈ હતી
ગુજરાતના બનાસકાંઠાના(Banaskantha) પાલનપુરમાં ભગવાન જગન્નાથની 51મી રથયાત્રાની(Rathyatra 2022) તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જેમાં 51 વર્ષ બાદ પાલનપુરમાં પ્રથમવાર ભગવાન જગન્નાથનું મોસાળુ થયું હતું. જેમાં રામજી મંદિરથી ભવ્ય શોભા યાત્રા બાદ ભગવાન જગન્નાથને પાલનપુર હનુમાન ટેકરી ખાતે મોસાળે લઈ જવાયા હતા. જ્યાં શહેરની ધર્મપ્રેમી જનતા ભગવાન જગન્નાથના દર્શન કરી શકશે. ભગવાન જગન્નાથનું ધામધૂમથી મોસાળું થયા બાદ અષાઢી બીજના દિવસે શહેરના રાજમાર્ગો પરથી રથયાત્રા નીકળશે. શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા નીકળશે. આ રથયાત્રાને લઈ પોલીસ દ્વારા શહેરમાં ફૂટ માર્ચ યોજાઈ હતી. જેમાં રથયાત્રાના દિવસે SP,ASP,DySP,PI,PSI,કોન્સ્ટેબલ સહિત 1 હજાર જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં રહેશે.
શાંતિ સમિતિની બેઠક મળી
જો કે આ પૂર્વે બનાસકાંઠામાં પાલનપુરમાં રથયાત્રાને લઈ શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં હિન્દૂ મુસ્લિમ સહિત દરેક સમાજના આગેવાનોની હાજરીમાં બેઠક યોજાઇ હતી. જેમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સહયોગની અપીલ કરી છે.
ગુજરાતમાં 1 જુલાઇના રોજ યોજાનારી અમદાવાદમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા ઉપરાંત રાજયના અનેક મહાનગરો અને શહેરોમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાજ્યભરમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા બાબત તમામ પોલીસ અધિક્ષકો અને પોલીસ કમિશનર સાથે ગૃહમંત્રીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ, એ. ટી.એસ. આઇ.બી. સહિત તમામ એજન્સીના અધિકારીઓ હાજર રહ્યા હતા.
અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તિ ભાવ સાથે નીકળશે. આ પ્રસંગે ગુજરાતના અનેક શહેરોમાં રથયાત્રા નીકળવાની હોય, તમામ વ્યવસ્થાઓ અને સુરક્ષા સંબંધી આયોજનની સમીક્ષા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી.ધાર્મિક આસ્થા અને કોમી એકતાના ઉદાહરણ સ્વરૂપ આ રથયાત્રામાં કોઈ અનિચ્છનિય ઘટના બનવા ન પામે અને મોટી સંખ્યામાં ભાવિકો નિશ્ચિંત થઈ, ભગવાનને વિહાર કરતા નિહાળી શકે તે માટે ગૃરાજ્યમંત્રી સતત સંકલન કરી રહ્યા છે. રાજ્યભરની વ્યવસ્થા અને સુરક્ષા બાબત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા યોજાનાર બેઠક અગાઉ ગૃહમંત્રીએ સમીક્ષા કરી સમગ્ર આયોજનની જાણકારી મેળવી હતી.