Banaskantha : જિલ્લામાં ખાલીખમ ડેમ, વરસાદ ખેંચતા જગતના તાત માટે મુશ્કેલી સર્જાઇ
ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં પાણીની પારાયણ ચોમાસાની શરૂઆતમાં પણ યથાવત છે. જિલ્લાના ડેમ ખાલીખમ છે.
Banaskantha : ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં પાણીની પારાયણ ચોમાસાની શરૂઆતમાં પણ યથાવત છે. જિલ્લાના ડેમ ખાલીખમ છે. જ્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના ખેડૂતો વરસાદ આધારીત ખેતી કરે છે.
જ્યારે ભૂગર્ભ જળના ઉપયોગ થકી પણ ખેડૂતો ખેતી કરે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી ઓછા વરસાદના કારણે ભુગર્ભ જળ ઉંડા ગયા છે. આ તમામ સમસ્યાઓ વચ્ચે હવે વરસાદ ખેંચાતા વરસાદ આધારીત ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
જિલ્લાના ડેમમાં પાણી ખાલીખમ, આફતના એંધાણ
જિલ્લાના મુખ્ય ડેમ એવા દાંતીવાડા સીપુ અને મુક્તેશ્વર ડેમ ખાલીખમ છે. જ્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેડૂતોનું કહેવું છે કે જો આ જ પ્રકારની સ્થિતિ હજુ આગામી અઠવાડિયા સુધી રહે તો આ વિસ્તારના ખેડૂતોને મોટું નુકસાન થશે. મોંઘા ભાવના બિયારણો અને ખાતરનો ઉપયોગ કરી વરસાદ આધારીત ખેતી માટે વાવણી કરી. પરંતુ હવે વરસાદ ન થતા મુશ્કેલીનો કોઈ પાર રહ્યો નથી.
બનાસકાંઠા જિલ્લાના ડેમમાં પાણીનું જળસ્તર : સીપુ : 0 ટકા (ખાલી) દાંતીવાડા : 9 ટકા મુક્તેશ્વર : 10 ટકા
હજુ વરસાદ 10 દિવસ વરસાદ ખેંચાય તો ખેતીને નુકસાન : જીલ્લા ખેતીવાડી અધિકારી
વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. પરંતુ તંત્ર પણ હવે વરસાદને લઈને વિચારાધીન છે. જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રકાશ પટેલનું કહેવું છે કે હજુ જિલ્લામાં દસ દિવસ વરસાદ ખેંચાય તો ખેતીના પાકોને નુકસાન થઈ શકે છે. હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોવાથી પાકનો પૂરતા પ્રમાણમાં વિકાસ થઈ શકે નહીં. જે ઉપરાંત વરસાદ ન થાય તો વરસાદ આધારીત ખેતી કરતા ખેડૂતોએ ક્રોપિંગ પદ્ધતિ ચેન્જ કરવી પડે. વરસાદ ન થાય તો ખેડૂતોએ ઘાસચારા કઠોળ તેમજ દિવેલાના પાકોના વાવેતર તરફ ખેડૂતોએ વળવું પડે.
બનાસકાંઠા જિલ્લાનો વાવેતર વિસ્તાર બિન પિયત વિસ્તાર : 1.50 લાખ હેકટર પિયત વિસ્તાર : 4.50 લાખ હેકટર