BANASKANTHA : મોંઘા બિયારણ અને ખાતરથી પકવેલી બાજરીના ભાવ ન મળતા ખેડૂતોને ચિંતા
સરકાર 400 રૂપિયા પ્રતિ મણ બાજરી કરી દેતો ખેડૂતો દેવાના ડુંગર થી થોડી રાહત મેળવી શકે. આ વર્ષે કોરોના મહામારીના કારણે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ કફોડી છે.
BANASKANTHA : જગતના તાત ખેડૂત માટે સૌથી મોટો પ્રશ્ન ખેત પેદાશના ભાવને લઇને હોય છે. બજારમાં દરેક વસ્તુના ભાવ વર્ષ દરમિયાન વધતા રહે છે. પરંતુ ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલા પાકનો ભાવ કોઈ ફેરફાર થતો નથી. બાજરીના ભાવ ગત વર્ષની સરખામણીમાં કોઈ ભાવ ફેરફાર નોંધાયો નથી. જેના કારણે જગતનો તાત પરેશાન છે.
દેશ અને રાજ્યમાં સૌથી કફોડી પરિસ્થિતિ જગતના તાત ખેડૂતની છે. પેટ્રોલ-ડીઝલ, રાસાયણિક ખાતર, તેમજ બિયારણના ભાવ આસમાને પહોંચવા છતાં ખેતીના ખેત પેદાશના ભાવ વધ્યા નથી. જેના કારણે ખેડૂતો પરેશાન છે. બનાસકાંઠા જિલ્લો રાજયમાં સૌથી વધુ બાજરીનું ઉત્પાદન કરે છે. જીલ્લામાં ઉનાળુ બાજરીનું મબલખ વાવેતર પણ થયું હતું. પરંતુ બાજરી નીકળતાની સાથે જ ભાવને લઇને ખેડૂતો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
ગત વર્ષે જે ભાવ તા તે જ ભાવ આ વર્ષે પણ બાજરીના માર્કેટમાં મળતા ખેડૂતો પરેશાન બન્યા છે. ખેડૂતોની માંગણી છે કે માર્કેટમાં બાજરી અત્યારે 250 થી 300 રૂપિયામાં પ્રતિ મણ વેચાઈ રહી છે. ખેડૂતોનો આક્રોશ છે કે બજારમાં તમામ ચીજવસ્તુઓના ભાવ વધ્યા છે માત્ર ખેડૂતોની ઉપજના ભાવ જ વધતા નથી. સરકાર ખેડૂતોને કફોડી સ્થિતિમાંથી બહાર લાવે.
બાજરી પકવતા ખેડૂતોની સ્થિતિ આ વર્ષે પણ કફોડી છે. ખેડૂતોની માગણી છે કે સરકાર ખેડૂતો વિશે વિચારી બાજરીને ટેકાના ભાવ તરીકે ખરીદવાનું ચાલુ કરે. સરકાર 400 રૂપિયા પ્રતિ મણ બાજરી કરી દેતો ખેડૂતો દેવાના ડુંગર થી થોડી રાહત મેળવી શકે. આ વર્ષે કોરોના મહામારીના કારણે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ કફોડી છે. તે વચ્ચે મોંઘા બિયારણ અને ખાતરથી પકવેલી બાજરીના ભાવ ન મળતા ખેડૂત અત્યારે રાતા પાણીએ રોઈ રહ્યો છે.