BANASKANTHA : રજા પર પોતાના વતન ગયેલા પોલીસકર્મી પર અસામાજીક તત્વોનો હુમલો, ચારની ધરપકડ
પોલીસનું કહેવું છે કે જે ચાર લોકોના નામ ફરિયાદમાં છે તે પૈકીનું એકપણ વ્યક્તિ લિસ્ટેડ બુટલેગર નથી.
BANASKANTHA : અમીરગઢ તાલુકાના ગામમાં પોલીસકર્મી પર ચાર લોકોએ હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા પોલીસકર્મીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસકર્મી (policeman)નું કહેવું છે કે તેના પર બુટલેગર હુમલો કર્યો હતો. જ્યારે પોલીસ આ હુમલો સામાજિક અદાવતના કારણે થયા હોવાની વાત કરી રહી છે. અમીરગઢ પોલીસ મથકે આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે. અમીરગઢ તાલુકાના આવલ ગામે પોલીસકર્મી ગોવિંદસિંહ ડાભી પર હુમલો કરવામાં આવ્યો. હુમલામાં પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસકર્મીના માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસકર્મીનું કહેવું છે કે અસામાજિક તત્વો કે જે બુટલેગરો છે અને દારૂનો ધંધો કરે છે. તેમને તેમની પર હુમલો કર્યો હતો. પોલીસ તરીકેની ઓળખ આપ્યા બાદ પણ તેમણે તેમને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. જે મામલે અમીરગઢ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસકર્મી પર હુમલાની ઘટના બનતા જ પોલીસે મામલાને ગંભીરતાથી લીધો. સમગ્ર ઘટના મામલે પોલીસનું કહેવું છે કે પોલીસકર્મી ગોવિંદસિંહ ડાભી ડીસા ટ્રાફિક પોલીસમાં ફરજ નિભાવે છે. તેઓ રજા પર પોતાના વતન ગયેલા હતા. તે દરમિયાન તેમની સામાજીક અંગત અદાવતના કારણે તેમની પર હુમલો કરવામાં આવ્યો છે.
જે ચાર લોકોના નામ ફરિયાદમાં છે તે પૈકીનું એકપણ વ્યક્તિ લિસ્ટેડ બુટલેગર નથી. ફરીયાદ ના આધારે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસકર્મી પર હુમલાની ઘટનાને લઇને સમગ્ર જિલ્લામાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે. પોલીસે અત્યારે તો આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે આગળ પોલીસ શું કાર્યવાહી કરે છે.
આ પણ વાંચો : New Fungus in Gujarat : વિવિઘ રંગોની ફૂગ બાદ ગુજરાતમાં સામે આવ્યો નવો રોગ, જાણો શું છે કારણ