Aravalli : મેઘરજ, માલપુર અને મોડાસાના 45 ગામના તળાવોને વાત્રકના પાણીથી ભરાશે, ખેડૂતોને બારેમાસ સિચાઈનું પાણી અપાશે
Aravalli : મેઘરજના 19, માલપુરના 36 અને મોડાસાના 5 તળાવ મળી કુલ 48 ગામોના 60 તળાવો વાત્રક જળાશયના પાણીને લિફ્ટ ઈરીગેશન કરીને ભરવામાં આવશે.
Aravalli : ગુજરાત સરકારે, વાત્રક જળાશય આધારીત રૂ.117 કરોડની સિંચાઇ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે, અરવલ્લી જિલ્લાના ત્રણ તાલુકા મેઘરજ, માલપુર અને મોડાસાના કુલ 45 ગામના 60 તળાવોને વાત્રક જળાશયના પાણીથી ભરવામાં આવશે. સાથોસાથ સિંચાઈથી વંચિત રહેલ અરવલ્લી જિલ્લાના 4695 એકર વિસ્તારને બારેય મહિના સિંચાઇનુ પાણી મળી રહેશે.
અરવલ્લી જિલ્લામાં આવેલા વાત્રક જળાશયમાં પાણી ભરેલુ હોવા છતા, ભૌગોલિક દ્રષ્ટીએ સિંચાઇ માટેપાણી આપી શકાતું ન હતું. અરવલ્લીના વાત્રક જળાશયની આજુબાજુનો મોટાભાગનો વિસ્તાર ડુંગરાળ હોવાથી વરસાદી પાણી નદીમાં વહી જાય છે અને સિંચાઇ કે પીવાના પાણીની સમસ્યા કાયમી રહે છે. જો કે ગુજરાત સરકારે વાત્રક જળાશય આધારિત સિચાઈ યોજનાને આપેલી મંજૂરીથી, મેઘરજ માલપુર અને મોડાસા તાલુકાના કુલ મળીને 48 ગામોને લિફ્ટ ઇરીગેશનથી સિંચાઇ અને પીવા માટે પાણી મળશે. જ્યારે આ ત્રણ તાલુકાના ખેડૂતો કપાસ, તુવેર, ઘઉ, મકાઈ જેવા પાક માટે સિચાઈનુ પૂરતું પાણી મેળવીને વધુ ઉપજથી વધુ આવક કમાઈ શકશે. સાથોસાથ ઉનાળુ પાક લેવાની પણ સવલત ખેડૂતો માટે ઉપલબ્ધ થશે.
નવી જળાશયની યોજના અંતર્ગત મેઘરજના 19, માલપુરના 36 અને મોડાસાના 5 તળાવ મળી કુલ 48 ગામોના 60 તળાવો વાત્રક જળાશયના પાણીને લિફ્ટ ઈરીગેશન કરીને ભરવામાં આવશે.
ગુજરાતમાં આદીજાતીની મોટી વસ્તી ધરાવતા 14 જિલ્લાઓ છે. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર, સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના 54 તાલુકાઓમાં આદિજાતિ વિસ્તારો મોટાભાગે ઉંચાઇવાળા વિસ્તાર કે ડુંગરાળ વિસ્તારમાં આવેલા છે. જેના કારણે, આવા વિસ્તારોમાં સિંચાઇ અને પીવાના પાણીની કામયી સમસ્યા રહેતી હોય છે. જો કે આ સમસ્યાને ભૂતકાળ બનાવવા માટે રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.
2016થી 2020 સુધીના ચાર વર્ષમાં, આદીજાતિ વિસ્તારમાં પીવા અને સિંચાઇના પાણી માટે, 6642 કરોડના ખર્ચે નાની મોટી 1644 યોજનાઓ મારફત કુલ 5,43067 એકર જમીનમાં સિંચાઇની સવલત પૂરી પાડવાનો નિર્ધાર છે. જેમાં મુખ્યત્વે, નાની સિંચાઇ યોજનાઓ, હાઇ લેવલ કેનાલ, નાનામોટા ચેકડેમો, લીફ્ટ ઇરીગેશન યોજના અમલમાં મૂકી છે.