બાયડ-દહેગામ સ્ટેટ હાઈવે પર વાહને વાત્રક નદીમાંથી રસ્તા પર આવેલા મગરને કચડી નાંખ્યો, વાહન સાથે ચાલક ફરાર
વિસ્તારમાં આ બીજી વાર ઘટના બની હોવાનુ સ્થાનિકો દ્વારા રજુઆત કરાઈ છે, જોકે હાલ તો વન વિભાગ (Forest Department) દ્વારા ઘટના અંગે તપાસ હાથ ધરાઈ છે.
અરવલ્લી જિલ્લામાંથી પસાર થતી વાત્રક નદી (Watrak River) માં મગરની હાજરી બાયડ તાલુકામાં જોવા મળતી હોય છે. બાયડના ડાબા ગામની નજીકમાં આવેલા ચેકડેમ વિસ્તારમાં મગર (Crocodile) નો વસવાટ જોવા મળે છે. કેટલીક વાર રાત્રીના સમયે મગર આ વિસ્તારમાં રસ્તાઓ પર આવી જતા હોય છે. જેને લઈને મગર અકસ્માતમાં મોત નિપજતા હોવાની ઘટના સામે આવતી હોય છે. આવી જ રીતે બાયડમાં દહેગામ રોડ પર રાત્રી દરમિયાન ટ્રકની હડફેટે મગરનુ મોત નિપજ્યુ હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને લઈ સ્થાનિક વન વિભાગની ટીમ (Forest Department) તપાસમાં લાગી ચુકી છે.
સામાન્ય રીતે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના જંગલ વિસ્તારને લઈને હાઈવે પર દિપડો અને અન્ય અન્ય વન્ય પ્રાણીઓ રાત્રી દરમિયાન અકસ્માતમાં મોતને ભેટ્યાની ઘટના જોવા મળી છે. વન્યજીવ પ્રેમીઓએ અને વન વિભાગ દ્વારા આવા અકસ્માતો નિવારવા માટે પણ પ્રયાસો ધર્યા હતા. પરંતુ બાયડ નજીક મગરે અકસ્માતમાં જીવ ગુમાવ્યો હોવાની બીજી ઘટના સામે આવી છે. બાયડ થી દહેગામ સ્ટેટ હાઈવે પર આંબલિયારા નજીક અજાણ્યા ટ્રક જેવા ભારે વાહનની અડફેટે મગરનુ મોત નિપજયુ હતુ.
મગરને ભારે વાહને અડફેટે લીધો: વન વિભાગ
રાત્રીના અરસા દરમિયાન મગર વાત્રક નદી વિસ્તારમાંથી લટાર મારવા માટે બહાર નિકળી પડ્યો હોય એમ સ્ટેટ હાઈવે પર પહોંચ્યો હતો. રાત્રીના અંધકારમાં મગરને અજાણ્યા ટ્રક જેવા ભારે વાહને કચડી નાંખ્યો હતો. વાહન ચાલક પણ મગરને અડફેટે લીધા બાદ ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોને આ અંગેની જાણકારી મળતા જ તુરત સ્થાનિક પોલીસ અને વન વિભાગને જાણ કરી હતી. જેને લઈ વન વિભાગની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી. ડાભા ગામની નજીકમાં મહાદેવના મંદિર નજીકના ચેકડેમ વિસ્તારમાં મગર જોવા મળતા હોય છે.
વન વિભાગે મગરના મૃતહેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી ને તપાસની કાર્યવાહી શરુ કરી છે. અકસ્માતમાં મોત થયુ હોવાને લઈ ભારે વાહન ટ્રક હોવાનુ પ્રાથમિક અનુમાન લગાવી વન વિભાગે ફરાર ટ્રકની શોધખોળ હાથ ધરી છે. જોકે હાલ તો વન વિભાગે સ્થળના પંચનામા સહિતની પ્રાથમિક તપાસની કાર્યવાહી હાથ ધરી હોવાનુ બાયડ વન વિભાગના અધિકારીએ મીડિયાને જણાવ્યુ હતુ.