Corona: પુંસરી ગામે વિકાસ બાદ હવે મદદની રાહ ચિંધી, ઓક્સિજનથી લઈને બેડ સુધીની સુવિધા મેળવી આપે છે
સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં કોરોનાનું પ્રમાણ વધતુ જઈ રહ્યુ છે, પ્રતિદિન જીલ્લામાં 100 ઉપર નવા કેસો આવી રહ્યા છે તો અરવલ્લી (Aravalli) જીલ્લામાં પણ આવી જ વિકટ પરિસ્થિતી છે.
સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં કોરોનાનું પ્રમાણ વધતુ જઈ રહ્યુ છે, પ્રતિદિન જીલ્લામાં 100 ઉપર નવા કેસો આવી રહ્યા છે તો અરવલ્લી (Aravalli) જીલ્લામાં પણ આવી જ વિકટ પરિસ્થિતી છે. આ દરમ્યાન કોરોનાકાળમાં કોઈ વ્યક્તિ જો કોરોના પોઝિટીવ હોવાની જાણકારી મળે તો લોકો તરત જ તેનાથી દુર ભાગતા હોય છે. લોકોને કોરોના થઈ જવાનો અને તેના પાછળ રહેવાનો પણ ડર સતાવતો હોય છે.
આવી સ્થિતીમાં મદદે આવનાર ભગવાનથી સહેજે ઓછો નથી લાગતો હોતો. સાબરકાંઠાના પુંસરી (Punsari) ગામે આવો જ મદદનો હાથ લંબાવ્યો છે. પુંસરી ગામ એટલે આમ તો ગામની સ્વચ્છતા અને ગામની સુખ સુવિધાઓને લઈને દેશ અને વિદેશમાં પ્રસિદ્ધ બન્યુ છે. પરંતુ હવે કોરોના જેવી મહામારીમાં પણ પુંસરી ગામે લોકોને કેવી રીતે મદદ કરી શકાય તે માટે આગળ આવીને અનોખુ ઉદાહરણ પુરુ પાડ્યુ છે.
ગામના યુવાનો પૂર્વ સરપંચ સાથે મળીને સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં કોરોનાગ્રસ્તોની મદદ કરી રહ્યા છે. ગામના પૂર્વ સરપંચ હિમાંશુ નરેન્દ્રભાઈ પટેલે પોતાનો નંબર જારી કર્યો હતો. જે નંબર એટલે એક કંટ્રોલ રુમ સમાન. જે નંબર પર ફોન કરવાથી હોસ્પિટલના ઓક્સિજન બેડથી લઈને વેન્ટીલેટર અને રેમડિસિવિર જેવા ઈન્જેક્શન અને અન્ય દવાઓ પણ પુરી પાડવા માટે 24 કલાક હાજર રહે છે. આર્થિક નબળા લોકોને પણ તેમની જરુરીયાત મુજબ સારવાર સાથેની સગવડો પણ આ નંબર મારફતે પુરી પાડવાની શરુઆત કરી છે.
પુંસરી ગામના પૂર્વ સંરપંચ હિમાંશુ પટેલ કહે છે કે, હાલની સ્થિતીને લઈને અમે આ આયોજન શરુ કરેલ છે, અમે યુવાનોને પણ આમાં જોડ્યા છે. લોકો અમને સતત ફોન કરે છે અમે ખાલી બેડની જાણકારીથી લઈને ઓક્સિજન અને સારવાર જેવી જરુરિયાતો માટેની મદદ કરીએ છીએ. ઓક્સિજનના યુઝ એન્ડ થ્રો બોટલ પણ મોટી સંખ્યામાં પુરા પાડ્યા છે.
હિંમાંશુ પટેલની સાથે ગામના અન્ય યુવાનો પણ જોડાયા છે. તેઓ ઓક્સિજન સેન્ટર અને મેડિકલ સ્ટોર્સથી લઈને હોસ્પિટલો વચ્ચે ફરતા રહેતા હોય છે અને હિમાંશુભાઈના ફોન મુજબ તેઓ દવા અને ઈન્જેક્શન સહિતની સેવાઓ પહોંચાડી દે છે. હિમાંશુભાઈને આ દરમ્યાન કેટલાક દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવા દરમ્યાન ઓક્સિજનની કમી વર્તાતી જણાઈ હતી અને જેને લઈને હવે તેઓએ ઓક્સિજનને યુઝ એન્ડ થ્રો બોટલોની પણ મોટી સંખ્યામાં સગવડ કરી છે.
જે ખૂબ જ ઉપયોગી નિવડ્યા છે. ટુંકમાં એમ કહી શકાય કે કપરા સમયમાં એક સ્વજન જ નહીં પણ એક પરિવાર જેવુ માળખુ ઉભુ હિમાંશુભાઈએ ઉભુ કર્યુ છે. જે સોશિયલ મીડિયા મારફતે અને ફોનથી જ વાતચીત કરીને ખાલી બેડની જાણકારીથી લઈને એડમીટ કરવા સુધીની જવાબદારી પોતાના ખભે નિભાવી રહ્યા છે. આવો અનુભવ કરનારા પરિવારજનો પણ તેમની સગવડથી રાહત અનુભવી રહ્યા છે.
કપરાકાળમાં આમ તો લોકોને મદદ કરવા આગળ આવવુએ પણ મોટી વાત છે. જે વાતને પુંસરી ગામે અનોખી રીતે ઉદાહરણ આપીને પુરી પાડી છે. પુંસરી ગામને માત્ર સુખ સુવિધાની દિશા ચિંધવા માટે જ નહીં પણ કપરી સ્થિતીમાં મદદની રાહ ચિંધવા માટે પણ જરુર યાદ કરવુ પડશે.
આ પણ વાંચો: 85 ટકા દર્દીઓને રેમડેસિવિર ઈન્જેક્શન અને સ્ટેરોયડની જરુર નથી પડતી: ડૉ રણદીપ ગુલેરિયા