BJP ને ભિલોડામાં કેવલ જોષીયારાના ચહેરામાં આશા દેખાઈ રહી છે! 1995નુ પુનરાવર્તન કરી દેખાડશે એન્જિનિયર?
ડો. અનિલ જોષીયારાનો ભિલોડા વિધાનસભા (Bhiloda Assembly Seat) બેઠક પર દબદબો રહ્યો હતો. IPS થી લઈ અભિનેતા પણ હાર્યા, હવે BJP અઢી દાયકા બાદ ફરી કેસરીયો લહેરાવવાના સોગઠાં ગોઠવ્યા. કોંગ્રેસે નવો ચહેરો શોધવો પડશે.
ભિલોડા વિધાનસભા બેઠક (Bhiloda Assembly Seat) પર હવે ભાજપ (Bharatiya Janata Party) ને ઉમેદવારોની રેસમાં હવે એક નવો યુવા ચહેરો મળ્યો છે. આ બેઠક પર છેલ્લા વીસ વર્ષથી ભાજપનો કેસરીયો લહેરાવવા માટે થઈને પક્ષ તનતોડ મહેનત કરી રહ્યુ હતુ. પરંતુ ડો અનિલ જોષીયારાના નામ સામે ક્યારેય જીત નહોતી મળી શકી છે. ક્યારેક તો હાર જીતનુ માર્જીન પણ એટલુ બધુ મોટુ બની જતુ કે હરીફ ઉમેદવારને હારના કારણો શોધવાની કવાયત કરવા કરતા જીતના મહત્વના પાયાનો અભ્યાસ કરવો વધુ યોગ્ય લાગી ગયો હશે. જોકે હવે ભાજપને એક વાતે આ બેઠક પર રાહત થઈ છે કે, જોષીયારા પરિવાર હવે પોતાની સાથે છે. સ્વર્ગસ્થ ધારાસભ્ય ડો અનિલ જોષીયારાના પુત્રએ હવે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. તેના આવવાથી હવે બે દાયકાના ચુંટણીના સમીકરણોમાં મોટા ફેરફાર સર્જાઈ જશે.
કેવલ જોષીયારાએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે ભગવો ખેસ ધારણ કર્યો છે. ભાજપે કેવલ જોષીયારાના ભાજપ પ્રત્યે જોડાવવાની તૈયારીને સહર્ષ સ્વિકારી લીધી હતી. એન્જિનીયરનો અભ્યાસ કરેલા કેવલ જોષીયારાને હવે ભાજપ તેના આ બેઠકના રાજકીય એન્જીનીયરીંગના કાર્યમાં ઉપયોગ કરશે. ભાજપને હવે એ આશા જાગી છે કે 1995 માં જે કામ કેવલના પિતાએ ભાજપનો ઝંડો ફરકાવવાનુ આ બેઠક પર કર્યુ હતુ, એ હવે કેવલના ચહેરમાં દેખાઈ રહ્યુ છે.
કેવલ જોષીયારાએ ભાજપમાં જોડાયા બાદ TV9 Gujarati સાથે વાતચીત દરમિયાન કહ્યુ હતુ કે, તેનુ આ જોડાણ બીનશરતી છે. તે કાર્યકર તરીકે વિસ્તારમાં કામ કરશે અને ભાજપના દરેક કાર્યકર સાથે ખભે ખભો મિલાવીને કામ કરશે. તેણે એ પણ કહ્યુ કે, સ્વર્ગસ્થ પિતાએ આ વિસ્તારમાં અઢી દાયકા સેવા કરી છે. પુત્ર તરીકે આ સેવા કાર્યને તે આગળ વધારશે. વિસ્તારના વિકાસ કાર્યોને પણ તે આગળ ધપાવવા માટે પ્રયાસ કરશે. વિસ્તારના કાર્યોને માટે થઈને રાજ્ય સરકારની મદદથી પ્રયાસ કરીશ. આ વિસ્તારમાં મેડીકલ કોલેજ સ્થપાય તેવી પણ મારી ઈચ્છા છે.
કેવુ છે બેઠકનુ સમિકરણ
જ્ઞાતિ પ્રમાણે જોવામાં આવે તો આ બેઠક પર આદિવાસી અને ઓબીસી વસ્તી ધરાવે છે. ભિલોડા અને મેઘરજ તાલુકો આદિવાસી અને ઓબીસી સમાજનો દબદબો ધરાવે છે. જોકે અહીં આદિવાસી મતદારો નું પ્રભુત્વ વધુ છે.
વર્ષ 2012માં વિધાનસભાની ચૂંટણીમાં ભિલોડા બેઠક પર ડો અનિલ જોષીયારા બહુમતી થી વિજયી બન્યા હતા તેઓએ ભાજપ ના મહિલા આદિવાસી નેતા નિલાબેન મડીયા સામે જીત મેળવી હતી. જોષીયારાએ 31,543 મતે નિલા મડિયાને હાર આપી હતી. જ્યારે વર્ષ 2017માં જોષીયારાએ 12,417 મતે જીત મેળવી હતી. 2017માં ભિલોડા બેઠક પર ભાજપે આઈપીએસ અધિકારી પીસી બરંડાને મેદાને ઉતાર્યા હતા. જેઓ ફરજમાંથી રાજીનામુ ધરી દઈને રાજકારણમાં પ્રવેશ્યા હતા.
ઉપેન્દ્ર ત્રિવેદી પણ ભિલોડા બેઠક પર દબદબો ધરાવતા
ફિલ્મ અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી પણ આ બેઠક પર ચૂંટણી લડી ચૂક્યા છે અને તેઓ ધારાસભ્ય પદથી વિધાનસભાના ઉપાધ્યક્ષના સ્થાન સુધી પહોંચ્યા હતા. કોંગ્રેસના ગઢમાં ઉપેન્દ્ર ત્રિવેદી 1985 માં પ્રથમવાર જીત્યા હતા. બાદમાં તેઓ ફરીથી 1990 અને 1998 માં જીત્યા હતા. 1995 અને 2002માં તે જોષીયાર સામે હાર્યા હતા. જોષીયારએ ભાજપને પ્રથમ વાર આ બેઠક પર જીત અપાવી હતી. ત્યાર બાદ ભાજપ આ બેઠક પર ફરીથી જીત મેળવવી મુશ્કેલ બની ગઈ છે. હવે ફરીથી જોષીયારા પરિવાર ભાજપને માટે આશા બાંધી રહ્યુ છે. તો બીજી તરફ કોંગ્રેસને પોતાના હાથમાંથી મજબૂત ચહેરો સરકી ગયો છે. પરંતુ હવે કોંગ્રેસ પણ નવા ચહેરાને શોધવા માટે કમરકસવી પડશે.