Arvalli: મોડાસામાં મુખ્યપ્રધાને લહેરાવ્યો ત્રિરંગો, સ્વતંત્રતા પર્વ પર ગુજરાતને આપી અનેક ભેટ
અરવલ્લીના (Aravalli) મોડાસામાં સ્વતંત્રતા પર્વના કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) જણાવ્યુ હતુ કે, આજે વીર શહીદોને યાદ કરવાનો દિવસ છે. સ્વતંત્રતાના સંગ્રામના અનેક લડવૈયાઓ નીકળ્યા હતા. ગાંધીજી અને સરદાર પટેલે આ આઝાદીની લડાઈનું નેતૃત્વ લીધું હતું.
રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની (Independence Day) મોડાસામાં ઉજવણી કરવામાં આવી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) મોડાસામાં ત્રિરંગો ફરકાવ્યો હતો અને ધ્વજવંદન (flag hoisting) કર્યુ હતુ. મુખ્યપ્રધાને સ્વતંત્રતાના પ્રસંગે ગુજરાતવાસીઓને અનેક ભેટ આપી છે. મુખ્યપ્રધાને 250 તાલુકાના 71 લાખ NFSA કાર્ડ ધારકોને રાહત દરે પ્રતિ માસ કાર્ડ દીઠ એક કિલો ચણા આપવાની જાહેરાત કરી છે. પરિવહન સુવિધા માટે આગામી સમયમાં રૂ. 367કરોડના ખર્ચે નવી 1200 BS-6 બસ સેવા આપવાની જાહેરાત કરી છે.
રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી સાથે જ મોડાસાની સાથે સમગ્ર ગુજરાત પણ દેશભક્તિના રંગે રંગાયો છે. ધ્વજવંદન બાદ પોલીસકર્મીઓ સાહસ અને શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યુ.ઉપરાંત રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા રંગારંગ કાર્યક્રમ પણ યોજાયો.સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ પણ રાજ્યપાલની હાજરીમાં અહીં એટ હોમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પણ મુખ્યપ્રધાનની સાથે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લાની સમર્થ ભૂમી પરથી 76માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણીની શરુઆત કરાવી. તેમણે તિરંગો લહેરાવી તેને સલામી આપવાની સાથે ગુજરાતના સર્વાંગી વિકાસની ગાથા આલેખી હતી. વિશ્વની પ્રાચીનતમ ગીરીમાળા એવી અરવલ્લીના ખોળે વસેલા મોડાસાના આંગણેથી રાજ્યના સૌ નાગરિકોને 76માં સ્વાતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ભારત દેશને વિદેશી શાસનમાંથી મુક્ત કરાવી આઝાદ લોકતાંત્રિક ભારતની સ્થાપના કરનાર વીર શહીદોને યાદ કરવાનો આજે દિવસ છે.
તો અરવલ્લીના મોડાસામાં સ્વતંત્રતા પર્વના કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે, રાજ્યના ખેડૂતોને પાણી સાથે વીજળી પણ પૂરતી મળે તે માટે ઊર્જા ક્ષેત્રે ક્રાંતિકારી કદમ ઉઠાવ્યા છે. મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની ચારેય વીજ વિતરણ કંપનીઓને વીજ વ્યવસ્થાપન માટે એ ગ્રેડ મળ્યો છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે. એટલું જ નહી પરંતુ રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત અગ્રેસર છે. સૌર ઊર્જા નીતિ બનાવનાર ગુજરાત દેશનુ પ્રથમ રાજ્ય છે. સોલાર રૂફટોપના સ્થાપનમાં પણ ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. તેવી જ રીતે સોલાર રૂફટોપ થકી વીજ ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. ભારતની કુલ રીન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતામાં ગુજરાત ૧૩ ટકા હિસ્સો ધરાવે છે. ભારત રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે વિશ્વમાં ચોથા સ્થાને છે. ગુજરાતમાં છેલ્લા ૬ વર્ષમાં રીન્યુએબલ એનર્જી ઊર્જા ઉત્પાદન ક્ષમતા ૧૬ ગણી વધી છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 76માં સ્વાતંત્ર્ય પર્વ અવસરે કેરેલી મહત્વ પૂર્ણ જાહેરાતો
- રાજ્યના 250 તાલુકાના 71 લાખ NFSA કાર્ડ ધારકોને રાહત દરે પ્રતિ માસ કાર્ડ દીઠ એક કિલો ચણા આપવામાં આવશે. અત્યારે માત્ર 50 તાલુકાને આ લાભ મળે છે, તેનો વ્યાપ વધશે
- રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવવા માટેના હાલના પાત્રતાના ધોરણોમાં હાલની આવક મર્યાદા રૂ.10 હજાર પ્રતિ માસમાં વધારો કરીને રૂ. 15 હજાર કરવામાં આવશે.
- રાજ્યમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા ઝીરો એર પોલ્યુશન ધરાવતી ઇલેક્ટ્રીક બસ દ્વારકા, અંબાજી, સ્ટેચ્યુ ઓફ યુનિટિ જેવા આઇકોનિક રૂટ પર સંચાલનમાં મુકાશે.
- રાજ્યના નાગરિકોની પરિવહન સુવિધા માટે આગામી સમયમાં રૂ. 367 કરોડના ખર્ચે નવી 1200 BS-6 બસ સેવામાં મુકવામાં આવશે.
- રાજ્યના 50 બસ મથકોએ નાગરિક સુવિધા માટે ATM મુકવામાં આવશે.
- વર્લ્ડ બેંકની સહાયતાથી એનકોર પ્રોજેક્ટ અન્વયે ખંભાતના અખાતને મળતી નદીઓના એસ્ચ્યુરિઝના પાણીની ગુણવત્તા ચકાસણી, રિઅલ ટાઇમ કોસ્ટલ વોટર મોનિટરીંગ સિસ્ટમ જેવા આધુનિક સાધનોથી કરવામાં આવશે.
- એકતાનગર-કેવડીયા કોલોનીમાં ટ્રોમા સેન્ટરની સુવિધા સાથે 50 બેડની જિલ્લા કક્ષાની નવી આધુનિક હોસ્પિટલ માટે ૩ કરોડ રૂપિયા ફાળવ્યા છે