Aravalli: મેઘરજના નિવૃત્ત શિક્ષક સાથે લગ્નનુ તરકટ રચી પૈસા પડાવનારી ટોળકીનો વધુ એક કિસ્સો સામે આવ્યો
માલપુર (Malpur) ના યુવકની સાથે લગ્નનુ નાટક રચીને તેની પાસેથી પૈસા પડાવી લઈને ફરાર થઈ ગઈ હતી, પોલીસના હાથે ટોળકી ઝડપાતા પિડીત યુવકે ફરીયાદ નોંધાવી
લગ્નવાંચ્છુકોને લુંટી લેવાની દુલ્હનોની કમી નથી. એક કિસ્સો માંડ ઓસરાય ત્યાં બીજો સામે આવી જ જતો હોય છે. આવી દુલ્હન સાથે એક ટોળકી પણ સક્રિય રહેતી હોય છે. જે ટોળકી લગ્નવાંચ્છુકોને શોધતી રહેતી હોચ છે અને તેઓ પોતાની જાળમાં લોકોને ફસાવીને પૈસા પડાવતા હોય છે. તો વળી છેતરપીંડી આચર્યા બાદ પૈસાની વળતી ઉઘરાણીમાં દુષ્કર્મના ગુન્હામાં ફસાવી દેવાની ધમકીઓ આપતા હોય છે. આવો જ કિસ્સો મેઘરજ (Megharaj) માં સામે આવ્યો હતો. જેમાં નિવૃત્ત શિક્ષકની પાસેથી 26.25 લાખ રુપિયા પડાવી લીધા હતા. હજુ આ ગુનાની તપાસ ચાલુ છે. ત્યા પોલીસ સામે વધુ એક કિસ્સો આવ્યો છે, જેને લઈ પોલીસે (Megharaj Police) વધુ એક ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
મેઘરજ પોલીસે ગત શુક્રવારે 22 વર્ષની અજાણી યુવતી સહિત છ જણા વિરુદ્ધ ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. જે ઘટનમાં મેઘરના સિસોદરા ગામના નિવૃત્ત શિક્ષકે 59 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા. તેઓએ નડિયાદમાં મેરેજ બ્યૂરો ચાલતુ હોવાનુ જાણીને રેખા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બાદમાં યુવતી અને તેની સાથેની ટોળકીએ તેમની સાથે છેતરપિંડી આચરી હતી. તેઓએ નગ્ન ફોટા વાયરલ કરવાની અને દુષ્કર્મ આચરવાની ફરીયાદ કરવાની ધમકીઓ આપીને પૈસા પડાવી લીધા હતા. ટ્રાન્સફર વોરન્ટ વડે મેઘરજ પોલીસે નડીયાદથી ત્રણ આરોપીઓને લાવીને તપાસ શરુ કરી હતી.
માલપુરના યુવકને શિકાર બનાવ્યો હતો
આ દરમિયાન પોલીસને વધુ એક છેતરપિંડી આચરાઈ હોવાનુ સામે આવ્યુ છે, જેમાં માલપુરના એક યુવકને લગ્ન કરવાનુ તરકટ રચીને તેની પાસેથી 6.50 લાખ રુપિયા પડાવી લીધા હતા. રેખા નામની આ મહિલાએ માલપુરના યુવક સાથે લગ્ન કર્યાનુ નાટક રચ્યુ હતુ. ત્યાર બાદ તેને પણ મુકીને તકનો લાભ લઈને છટકી ગઈ હતી. માલપુર પોલીસે પણ આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આમ હવે મેઘરજ જેલની હવા ખાઈ રહેલ ત્રણ આરોપીઓ હવે માલપુર પોલીસની મહેમાન બનશે.
અરવલ્લી પોલીસ દ્વારા પણ આ અંગે વિસ્તારમાં અપિલ કરાઈ છે, કે છેતરપિંડી આચરતી આવી ટોળકીઓના શિકાર બનતા અટકવા શુ કરી શકાય. સાથે જ જે લોકો આ કે આવી ટોળકીનો શિકાર થયા છે, તે આગળ આવીને ટોળકી સામે છેતરપિંડીનો ભોગ બન્યા હોય તો ફરિયાદ નોંધાવે જેથી કડક સજા છેતરપિંડી આચરનારાઓને કરાવી શકાય.