Aravalli: લીંભોઈ નજીક લાગેલી આગ કાબૂમાં, અણસોલ પાસેથી 18 લાખનો દારૂ ઝડપાયો, જાણો જિલ્લાના સમાચાર
મોડાસા રાજેન્દ્રનગર સ્ટેટ હાઈવે પર આવેલા વિજ તંત્રના ગોડાઉનમાં આગ લાગવાને લઈને આગના ગોટા દુર દુર સુધી દેખાવા લાગ્યા હતા.
UGVCLના પ્રાદેશિક સ્ટોરમાં આગ
મોડાસાના લીંભોઈ (Limbhoi) નજીક આવેલા UGVCLના પ્રાદેશિક સ્ટોરમાં આગ લાગી હતી. શુક્રવારે બપોર બાદ અચાનક જ વિકરાળ આગ ફાટી નિકળતા મોડાસા ફાયર ફાઈટરની બે ટીમો તાત્કાલીક દોડી આવી હતી. આગને કાબુમાં લેવા માટે ફાયર જવાનોએ પ્રયાસો હાથ ધર્યા હતા. આગ લાગવાને કારણે સ્ટોરમાં રાખેલા મીટરના બોક્ષ અને અન્ય વિજ વિભાગનો સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો.
મોડાસા રાજેન્દ્રનગર સ્ટેટ હાઈવે પર આવેલા વિજ તંત્રના ગોડાઉનમાં આગ લાગવાને લઈને આગના ગોટા દુર દુર સુધી દેખાવા લાગ્યા હતા. નજીકમાં જ પેટ્રોલપંપ હોય અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આસપાસના ગામના સ્થાનિક ખેડૂતો સહીતના લોકો સ્થિતી વધુ વણસે તે પહેલાને આગને કાબૂમાં લેવા મદદે લાગી ગયા હતા. આમ ફાયર વિભાગ અને સ્થાનિકોની મદદથી આગને કાબૂમાં લેવાઈ હતી. સાથે વધુ નુકસાન થતુ અટકાવી શકાયુ હતુ. નુકસાનીનો પ્રાથમિક અંદાજ અંગે વિજ વિભાગના અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી છે.
અણસોલ પાટીયા પાસેથી દારૂનો જથ્થો ઝડપાયો
અરવલ્લી જિલ્લાની રતનપુર ચેકપોસ્ટથી અવનવા પેંતરા કરીને બુટલેગરો વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવા પ્રયાસ કરતા હોય છે. આવી જ રીતે રતનપુરથી શામળાજી વચ્ચે વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ છે. શામળાજી પોલીસ (Shamlaji Police) પેટ્રોલીંગમાં હોવા દરમ્યાન શંકાસ્પદ ટ્રક જણાઈ આવતા રોકવામાં આવી હતી. અસોલ પાટીયા પાસે પોલીસે તેને રોકીને તપાસ કરતા દારૂનો મોટો જથ્થો પોલીસને હાથ લાગ્યો હતો.
940 નંગ કાર્ટૂનમાં ભરેલ 18.04 લાખના વિદેશી શરાબના જથ્થાને પોલીસે જપ્ત કર્યો હતો. શામળાજી પોલીસે હરીયાણાના ટ્રક ચાલક અને ક્લીનર બંને શખ્શોની ધરપકડ કરી હતી. પોલીસે પ્રોહિબીશન એક્ટ મુજબ બંને શખ્શો અને હરિયાણાના બુટલેગર વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
મોડાસા સબજેલના કેદીઓને કોરોના વેક્સિન અપાઈ
મોડાસા ખાતે આવેલ જીલ્લા સબજેલ ખાતે કોરોના રસીકરણ (Corona Vaccination) કેમ્પ યોજવામાં આવ્યો હતો. સબજેલ (Sub Jail)માં રહેલા કેદીઓને કોવિડ 19થી સુરક્ષિત કરવા માટે રસી આપવામાં આવી હતી. વેક્સિનેશન કેમ્પ દરમ્યાન 63 પુરષ કેદીઓને રસી અપાઈ હતી.
કુલ અત્યાર સુધીમાં 143 જેટલા કેદીઓને રસી આપવામાં આવી છે. જ્યારે 18 કેદીઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. કેદીઓને પણ કોરોનાથી સુરક્ષિત રાખવાના અભિગમ સાથે રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેલ અધિક્ષક અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વેક્સિન કેમ્પનું આયોજન સબજેલ ખાતે કરાયેલ હતુ.