Aravalli: સાંસદની ઉપસ્થિતીમાં મોડાસા ખાતે વિકાસ કાર્યોની સમિક્ષા કરવા બેઠક યોજાઈ, કામોને ગતિ આપવા અપાઈ કડક સૂચના
સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ ફંડની ફાળવણી કરવામાં આવે છે, પરંતુ ગોકળગતિએ ચાલતા કાર્યોને લઈ સાંસદ અને કલેકટરે અધિકારીઓને ઝડપ લાવવા માટે આકરી સૂચના આપી.
અરવલ્લી (Aravalli) જિલ્લાના મોડાસા ખાતેના જિલ્લા સેવાસદન ખાતે ડ્રિસ્ટ્રિકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ સમિતિ (દિશા) ની બેઠક યોજાઈ હતી. સાબરકાંઠા અને અરવલ્લીના સાંસદ દિપસિંહ રાઠોડ (MP Dipsinh Rathod) ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર (Collector Aravalli) સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિકાસ લક્ષી કાર્યો અને યોજનાઓના કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા માટે બેઠકમાં સમીક્ષા કરીને સંબંધીત અધિકારીઓ અને પદાધીકારીઓને પણ સૂચના આપવામાં આવી હતી. વિકાસના કાર્યોને ગતિ આપવા માટે થઈને ચર્ચાઓ કરાઈ હતી.
સાસંદ સભ્ય દિપસિંહ રાઠોડે અધિકારીઓને અને પદાધિકારીઓની સાથે ચર્ચાઓ કરતા કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી અને ઉપયોગી યોજનાઓનો વ્યાપ વધારવો જોઈએ. આ યોજનાઓને છેવાડાના લોકો સુધી પહોંચે એ માટેની ચિંતા કરીને તે માટેનુ આયોજન કરવુ જરુરી છે. લોકોને પ્રાથમિક જરુરિયાત સરળતાથી મળી રહે એ માટે જરુરી પ્રયત્નો કરતા રહેવુ આવશ્યક છે.
સાંસદે સરકાર દ્વારા વિકાસ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટના ઉપયોગને લઈને પણ સુચનાઓ કરી હતી. તેઓએ સંબંધિત હેતુ માટે સમય મર્યાદામાં ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવે એમ જણાવ્યુ હતુ. સાથે જ આ અંગેના બાકી રહી ગયેલા તમામ કામોને ઝડપથી પૂર્ણ કરી દેવા માટે પણ ધ્યાન દોર્યુ હતુ. કામોની સ્થિતી વિશે તેઓએ અમલીકરણ અધિકારીઓ પાસેથી વિગતો પણ મેળવી હતી. આમ હવે સાંસદ અને કલેકટર કક્ષાએથી પણ વિકાસના કાર્યો પર બાજ નજર રાખવામાં આવશે. સાથે જ સરકાર દ્વારા ફાળવાયેલ ગ્રાન્ટના કાર્યોની પણ બારીકાઈથી નજર રાખવામાં આવશે.
કલેકટરે કાર્યોમાં ઝડપ લાવવા આપી સૂચના
દિશા બેઠકમાં આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન, જિલ્લા જળ સ્વચ્છતા એકમ, આરોગ્ય, કૃષિ, શિક્ષણ,સિંચાઇ, પશુપાલન, રોજગાર, વીજ,પુરવઠા, માર્ગમકાન, શહેરી વિકાસ સહિતના વિભાગોની યોજનાની ચર્ચા તથા લાભાર્થીઓને થયેલા લાભ અને બાકી રહેતા લોકોને ઝડપથી લાભ મળે તે દિશામાં કામગીરી કરવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો. કલેકટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાએ બાકી રહેતા તમામ કામો સત્વરે પૂર્ણ કરવા માટે અધિકરીઓને પણ સુચના આપી હતી. આ માટે સતત દેખરેખ રાખવામાં આવશે અને કામોની સમયાંતરે જાણકારી મેળવી સ્થિતી વિશે અપડેટ પણ જિલ્લા કક્ષાએથી લેવામાં આવશે.