Anand: તળાવમાંથી મળેવા શિવલિંગ જેવા સ્તંભમાં લોકોની વધી આસ્થા, લોકો કરી રહ્યા છે પૂજા-અર્ચના
શનિવારના રોજ આણંદ (Anand) ના બોરસદ તાલુકામાં અભેટાપુરાના તળાવમાં ખોદકામ દરમિયાન શિવલિંગ જેવી પ્રતિકૃતિ મળી આવી હતી.
આણંદના (Anand) બોરસદ તાલુકામાં (Borsad) અભેટાપુરા ગામની સીમના તળાવમાંથી શનિવારે એક શિવલીંગના આકાર જેવો સ્તંભ મળ્યો હતો. ત્યારે હવે અહીંના સ્થાનિક લોકો આ સ્તંભને શિવલિંગ માનીને મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. આ સ્તંભની પ્રતિકૃતિ શિવલિંગ જેવી હોવાથી લોકોની તેમાં આસ્થા જોવા મળી રહી છે. જો કે આ સ્તંભ શું છે તેની તપાસ માટે ભૂસ્તર શાસ્ત્રી સ્થળની મુલાકાતે આવવાના છે.
મળેલો સ્તંભ શિવલિંગ જેવી કૃતિ
શનિવારના રોજ આણંદના બોરસદ તાલુકામાં અભેટાપુરાના તળાવમાં ખોદકામ દરમિયાન શિવલિંગ જેવી પ્રતિકૃતિ મળી આવી હતી. ગામમાં રેલવે કોરીડોર માટે કામગીરી કરવામાં આવી રહી હતી. તે માટે અભેટાપુરાના તળાવમાં આશરે 20 થી 25 ફૂટ ઊંડું ખોદકામ કરવામાં આવ્યું હતુ. ખોદકામ દરમિયાન એક બાજુ વૃક્ષના થડીયા જેવો આકાર જોવા મળ્યો હતો. લોકોએ પહેલા તેને વૃક્ષનુ મોટુ થડ સમજી લીધુ હતું. ત્યારબાદ બે દિવસ દરમિયાન વરસાદી ઝાપટા પડતા સ્થંભ જેવી દેખાઈ રહેલી કૃતિ પરથી પાણી વહેતા શિવલિંગ જેવી કૃતિ જેવો આકાર જોવા મળ્યો હતો.
મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટ્યા
શિવલિંગ જેવો સ્તંભ નીકળવાની વાતની જાણ આજુબાજુના ગામોમાં વાયુવેગે ફરી વળતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં અને સ્તંભ આકારના પથ્થરને શિવલિંગ માની દર્શન કરી રહ્યાં છે. લોકો શિવલિંગ પર ફુલનો હાર ચઢાવી રહ્યા છે. અગરબત્તી ચઢાવીને પૂજા અર્ચના પણ કરી રહ્યા છે. હાલ તો આજુબાજુ ગામના લોકો પણ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટી રહ્યાં છે. ત્યારે હવે ભૂસ્તર શાસ્ત્રીઓ ઘટના સ્થળની મુલાકાત લેશે અને આ સ્થંભ છે કે અન્ય કંઇ તે અંગે તપાસ કરી રિપોર્ટ આપશે. રિપોર્ટ આવશે ત્યારબાદ જ નક્કર વિગતો બહાર આવશે.
ભૂસ્તર શાસ્ત્રીઓ બનાવશે તપાસ રિપોર્ટ
હાલ તો મોટી સંખ્યામાં લોકો અહી દર્શન કરવા આવી રહ્યાં છે. લોકો આ સ્તંભને આસ્થા સાથે સરકાવી રહ્યાં છે. જોકે, આ બાબત ભૂસ્તર શાસ્ત્રીઓની હોવાથી તે અંગે વિભાગ દ્વારા રિપોર્ટ બનાવવામાં આવશે. પછી જ આ રહસ્ય પરથી પડદો ઉકલાશે કે આ ખરેખર શું છે.