Anand: ફરી આકાશમાંથી ‘ગોળા’ જેવો પદાર્થ પડવાની બની ઘટના, લોકોમાં કુતુહલ વધ્યું
મીડિયા રિપોર્ટસ અનુસાર આણંદના (Anand) ગામોમાં સેટેલાઇટના કોઇ ભાગમાંથી આ ગોળ આકારની ધાતુની વસ્તુ પડ્યા હોવાનું મનાઇ રહ્યુ છે. જો કે આ અંગે હાલ તપાસ ચાલી રહી છે.
આણંદ (Anand) જિલ્લામાં ફરી એકવાર અવકાશમાંથી લોખંડનો ગોળો પડવાની ઘટના બની છે. આણંદ જિલ્લાના ઉમરેઠ, દાગજીપુરા બાદ ચકલાસી નજીક ભુમેલ ગામમાં અવકાશમાંથી ‘ગોળો’ પડ્યો છે. ભુમેલ ગામના (Bhumel Village) પૉલ્ટ્રી ફાર્મમાં અવકાશમાંથી ગોળો પડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને લઇને પૉલ્ટ્રી ફાર્મના (Poultry farm) માલિકે સરપંચને જાણ કરી હતી. બાદમાં સરપંચે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર મામલે FSLની ટીમને પણ જાણ કરવામાં આવી છે.
સતત બીજી વાર આકાશમાંથી ગોળા જેવી વસ્તુ પડવાની ઘટના
આ પહેલા પણ આણંદમાં ગુરુવારે સાંજે આકાશમાંથી ‘ગોળા’ જેવી કોઈ અજાણી વસ્તુ પડવાની ઘટના બની હતી. જેને લઇને લોકોમાં કુતુહલ જાગ્યુ હતુ. આણંદ જિલ્લાના જીતપુરા, દાગજીપૂરા અને ખાનકુવા ગામે આ ઘટના બની હતી. ત્યારે સતત બે વાર આકાશમાંથી ગોળ આકારનો પદાર્થ પડવાથી લોકોમાં તે શું હોઇ શકે છે તેના અંગે ચર્ચા જોવા મળી રહી છે.
ગુરુવારે સાંજે આકાશમાંથી ‘ગોળા’ જેવી વસ્તુ પડવાની ઘટના બાદ કેટલાક વ્યક્તિ તેને એલિયન ગોળો જણાવી રહ્યા હતા. તો કેટલાક લોકો તેના પર કોઇ આકાશી પદાર્થ હોવાની પણ ચર્ચા જાગી હતી. જો કે આ ચર્ચાઓ વચ્ચે ભાલેજ પોલીસે સ્થળ પર પહોંચીને આ પદાર્થને FSLને સુપ્રત કર્યો હતો. જે પછી આણંદ જિલ્લા વહીવટીતંત્રએ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતોએ આ પદાર્થ અંગેની તપાસ સોંપી હતી.
મીડિયા રિપોર્ટસ અનુસાર આણંદના ગામોમાં સેટેલાઇટના કોઇ ભાગમાંથી આ ગોળ આકારની ધાતુની વસ્તુ પડ્યા હોવાનું મનાઇ રહ્યુ છે. જો કે આ અંગે હાલ તપાસ ચાલી રહી છે. આ તમામ ગામ એકબીજાથી 10થી 15 કિમી દુર આવેલા હોવાની માહિતી છે. આકાશમાંથી આ વસ્તુ પડવાને કારણે આખા પંથકમાં ભયનો માહોલ છવાયો છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે, આકાશમાંથી પડેલી આ વસ્તુના કારણે કોઇ નુકસાન થયુ નથી. મીડિયા રિપોર્ટસ અનુસાર આ ગોળા જેવા પદાર્થનું વજન 5 કિલોની આસપાસનું હોવાનું મનાઇ રહ્યુ છે.
ગુરુવારે સાંજે લગભગ 4.45 વાગ્યે આ ગોળ આકારનો ધાતુ જેવો પદાર્થ આકાશમાંથી ધરતી પર પડ્યો હતો. એક પછી એક આણંદ જિલ્લાના ત્રણ ગામમાં આવા પદાર્થો પડવાની ઘટના સામે આવી હતી. જે પછી આજે ફરી આકાશમાંથી ફરી તેવો જ પદાર્થ પડ્યો છે. જો કે સદનસીબે 5 કિલો જેટલુ વજન ધરાવતા આ પદાર્થથી કોઇ વ્યક્તિ તે સામાનને નુકસાન પહોંચ્યુ નથી. જો કે સમગ્ર મામલે FSLની ટીમને તપાસ સોંપવામાં આવી હતી. આ પદાર્થની PRL અને ઈસરોમાં પણ ચકાસણી કરવામાં આવશે.
મહત્વનું છે કે 2 એપ્રિલ, 2022ની સાંજે મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં આકાશમાંથી અગનગોળા પડ્યા હતા. ત્યારબાદ અનુમાન લગાવવામાં આવ્યું કે તેઓ કોઈ રોકેટનો ભાગ હોઈ શકે છે. આવી ઘટનાઓને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ દાવા કરવામાં આવ્યા હતા.