Anand: આકાશમાંથી ધાતુના ગોળા જેવી વસ્તુ પડવા મામલે કલેકટરની લોકોને અફવા ન ફેલાવવા અપીલ, અવકાશી પદાર્થ અંગે આ નિવેદન આપ્યુ
આ મામલે હવે આણંદ (Anand) જિલ્લા કલેક્ટર મનોજ દક્ષિણીનું (Collector)નિવેદન સામે આવ્યુ છે. કલેક્ટરે આકાશમાંથી પડેલો ગોળા જેવો આ પદાર્થ નુકસાનકારક ન હોવાનું જણાવ્યુ.
આણંદના (Anand) ભાલેજ પાસેના ગ્રામ્ય વિસ્તારમાં આકાશમાંથી રહસ્યમય ધાતુનો ગોળો પડવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી હતી. ત્યારે આ અંગે જિલ્લા કલેક્ટરે (Collector) આ ધાતુનો ગોળો નુકસાનકારક ન હોવાનું નિવેદન આપ્યુ છે. કલેક્ટરે અપીલ કરતા જણાવ્યુ છે કે આકાશમાંથી પડેલા આ ધાતુના ગોળાને લઇને લોકોએ ગભરાવવાની જરૂર નથી. આ અવકાશી પદાર્થ હકીકતમાં શું છે એ વિશે તપાસ ચાલુ છે. ધાતુના ગોળા જેવા આ પદાર્થની PRL અને ઈસરોમાં (ISRO) પણ ચકાસણી કરવામાં આવશે.
આણંદ જિલ્લામાં ગુરુવારે સાંજે આકાશમાંથી ‘ગોળા’ જેવી કોઈ અજાણી વસ્તુ પડવાની ઘટના બની હતી. જેને લઇને લોકોમાં કુતુહલ જાગ્યુ હતુ. આણંદ જિલ્લાના જીતપુરા, દાગજીપૂરા અને ખાનકુવા ગામે આ ઘટના બની હોવાની માહિતી છે. આકાશમાંથી ગોળ આકારનો પદાર્થ પડવાથી લોકોમાં તે શું હોઇ શકે છે તેના અંગે ચર્ચા જોવા મળી રહી છે. ત્યારે આ મામલે હવે આણંદ જિલ્લા કલેક્ટર મનોજ દક્ષિણીનું નિવેદન સામે આવ્યુ છે. કલેક્ટરે આકાશમાંથી પડેલો ગોળા જેવો આ પદાર્થ નુકસાનકારક ન હોવાનું જણાવ્યુ. સાથે જ તેમણે જણાવ્યુ કે લોખંડનો ગોળો અવકાશી સેટેલાઈટનો ભાગ હોવાનું મનાઈ રહ્યું છે. આ ઘટના અંગે લોકોએ ખોટી અફવા ના ફેલાવવા પણ કલેકટરે અપીલ કરી છે.
ગુરુવારે સાંજે આકાશમાંથી ‘ગોળા’ જેવી વસ્તુ પડવાની ઘટના બાદ કેટલાક વ્યક્તિ તેને એલિયન ગોળો જણાવી રહ્યા હતા. તો કેટલાક લોકો તેના પર કોઇ આકાશી પદાર્થ હોવાની પણ ચર્ચા જાગી હતી. જો કે આ ચર્ચાઓ વચ્ચે ભાલેજ પોલીસે સ્થળ પર પહોંચીને આ પદાર્થને FSLને સુપ્રત કર્યો હતો. જે પછી આણંદ જિલ્લા વહીવટીતંત્રએ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતોએ આ પદાર્થ અંગેની તપાસ સોંપી હતી.
મીડિયા રિપોર્ટસ અનુસાર આણંદના ત્રણ ગામમમાં સેટેલાઇટના કોઇ ભાગમાંથી આ ગોળ આકારની ધાતુની વસ્તુ પડ્યા હોવાનું મનાઇ રહ્યુ હતુ. જો કે આ અંગે હાલ તપાસ ચાલી રહી છે. આ ત્રણેય ગામ એકબીજાથી 10થી 15 કિમી દુર આવેલા હોવાની માહિતી છે. આકાશમાંથી આ વસ્તુ પડવાને કારણે આખા પંથકમાં ભયનો માહોલ છવાયો છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે, આકાશમાંથી પડેલી આ વસ્તુના કારણે કોઇ નુકસાન થયુ નથી. મીડિયા રિપોર્ટસ અનુસાર આ ગોળા જેવા પદાર્થનું વજન 5 કિલોની આસપાસનું હોવાનું મનાઇ રહ્યુ છે.
મળતી માહિતી પ્રમાણે ગુરુવારે સાંજે લગભગ 4.45 વાગ્યે આ ગોળ આકારનો ધાતુ જેવો પદાર્થ આકાશમાંથી ધરતી પર પડ્યો હતો. એક પછી એક આણંદ જિલ્લાના ત્રણ ગામમાં આવા પદાર્થો પડવાની ઘટના સામે આવી હતી. જો કે સદનસીબે 5 કિલો જેટલુ વજન ધરાવતા આ પદાર્થથી કોઇ વ્યક્તિ તે સામાનને નુકસાન પહોંચ્યુ નથી. જો કે સમગ્ર મામલે FSLની ટીમને તપાસ સોંપવામાં આવી હતી. આ પદાર્થની PRL અને ઈસરોમાં પણ ચકાસણી કરવામાં આવશે.
મહત્વનું છે કે 2 એપ્રિલ, 2022ની સાંજે મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં આકાશમાંથી અગનગોળા પડ્યા હતા. ત્યારબાદ અનુમાન લગાવવામાં આવ્યું કે તેઓ કોઈ રોકેટનો ભાગ હોઈ શકે છે. આવી ઘટનાઓને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ દાવા કરવામાં આવ્યા હતા.