Anand: અમૂલની વધુ એક નવી પહેલ, ઓર્ગેનિક ઘઉંના લોટનું ઉત્પાદન શરૂ કર્યું
અમૂલ એ વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતું ડેરી સંગઠન છે અને હવે તે ઓર્ગેનિક-પ્રાકૃતિક ફૂડ ઉદ્યોગમાં પણ પ્રવેશ કરી રહ્યું છે. અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં લોન્ચ થઈ રહેલી સૌપ્રથમ પ્રોડક્ટ અમૂલ ઓર્ગેનિક ઘઉંનો લોટ છે.
ભારતના સૌથી મોટા ફૂડ પ્રોડક્શન ઓર્ગેનાઈઝેશન ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF)એ “અમૂલ ઓર્ગેનિક આટા” (Amul Organic Flour) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ભારતની આઝાદી પહેલાં વર્ષ 1946માં ખેડૂતોની (Farmers) સહકારીતા ચળવળનો પ્રારંભ થયો હતો અને અમૂલ તે ચળવળની શક્તિનું જ્વલંત ઉદાહરણ છે. અમૂલ હવે ઘરેઘરે જાણીતું નામ છે અને તમામ ભારતીયોએ પોતાના જીવનમાં જુદા જુદા તબક્કે અમૂલના ઉત્પાદનોનો સ્વાદ ચાખ્યો છે.
ઓર્ગેનિક અનાજ પણ લોન્ચ કરશે
અમૂલે વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતું ડેરી સંગઠન છે અને હવે તે ઓર્ગેનિક-પ્રાકૃતિક ફૂડ ઉદ્યોગમાં પણ પ્રવેશ કરી રહ્યું છે. અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં લોન્ચ થઈ રહેલી સૌપ્રથમ પ્રોડક્ટ અમૂલ ઓર્ગેનિક ઘઉંનો લોટ છે. આ ઉપરાંત અમૂલ બ્રાન્ડ હેઠળ ઓર્ગેનિક મગદાળ, ઓર્ગેનિક તુવેરદાળ, ઓર્ગેનિક ચણાદાળ અને ઓર્ગેનિક બાસમતી ચોખા પણ લોન્ચ કરશે.
ખેડા દૂધ સંઘના ચેરમેનનું નિવેદન
અમૂલ ઓર્ગેનિક લોટનું ઉત્પાદન શરૂ કરવાના પ્રસંગે ખેડા દૂધ સંઘના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને પ્રથમ સહકારીતા પ્રધાન અમિત શાહે અમૂલને ઓર્ગેનિક-પ્રાકૃતિક ફૂડ ઉદ્યોગના વિકાસ માટે કામ કરવા અને બેકવર્ડ તથા ફોરવર્ડ લિન્કેજ વિકસાવવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું કે ફર્ટિલાઈઝરનો વધતો ઉપયોગ જે સ્વાસ્થ્ય માટે હાનિકારક તો છે જ પરંતુ તે દર વર્ષે રૂપિયા બે લાખ કરોડ રૂપિયાની ફર્ટિલાઈઝર સબસિડીનો બોજ સરકાર ઉપર નાખે છે, તે પણ ચિંતાનો વિષય છે.
અમૂલ ઓર્ગેનિક લોટનું ઉત્પાદન ત્રિભુવનદાસ પટેલ મોગર ફૂડ કોમ્પ્લેક્સના અત્યાધુનિક પ્લાન્ટ ખાતે કરવામાં આવી રહ્યું છે. આ પ્લાન્ટમાં અમૂલ ચોકલેટ, અમૂલ કુકીઝ વગેરે બનાવવામાં આવે છે અને આ પ્લાન્ટ પ્રોસેસિંગ માટે સંપૂર્ણ ઓટોમેટેડ અને અત્યાધુનિક મશીનરીથી સજ્જ છે.
જંતુનાશક દવાઓથી મુક્ત લોટ
અમૂલ ઓર્ગેનિક આટા 100% સર્ટિફાઈડ ઓર્ગેનિક ઘઉંમાંથી બને છે, જે સંપૂર્ણપણે જંતુનાશક દવાઓથી મુક્ત હોય છે. આ પ્રોડક્ટ ભારત સરકારે નક્કી કરેલા ઓર્ગેનિક માપદંડોમાં પાર ઉતરે તેની ખાતરી કરવા માટે તેને અનેક વખત લેબટેસ્ટિંગની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. અમૂલ ઓર્ગેનિક આટાને APEDA દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રતિષ્ઠિત સર્ટિફાઈંગ એજન્સી દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે. આ સમગ્ર ચેઈન ખેડૂતના ખેતરથી લઈને પ્રોસેસિંગ ફેસિલિટી અને ટ્રેડિંગ ઓર્ગેનાઈઝેશન સુધી ઓર્ગેનિક સર્ટિફાઈડ છે.
ઓર્ગેનિક-પ્રાકૃતિક ફૂડ ઉદ્યોગનો વિકાસ થશે: ડો. આર. એસ. સોઢી
અમૂલ ફેડરેશનના એમડી ડો. આર. એસ. સોઢીએ જણાવ્યું કે સોર્સિંગ માટે અમૂલ ઓર્ગેનિક-પ્રાકૃતિક ખેડૂતોનું એક જૂથ તૈયાર કરશે અને ઓર્ગેનિક સોર્સિંગમાં પણ અત્યારના મિલ્ક મોડેલનું અનુકરણ કરવામાં આવશે. તેનાથી ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોની આવક વધે અને એકંદરે ઓર્ગેનિક-પ્રાકૃતિક ફૂડ ઉદ્યોગનો વિકાસ થશે. હાલમાં ઓર્ગેનિક પ્રોડક્ટ્સ માટે માર્કેટ લિંકેજનો અભાવ અને ઓર્ગેનિક ટેસ્ટિંગ સુવિધાઓનો ઉંચો ખર્ચ એ ખેડૂતોને સતાવતી સૌથી મુખ્ય સમસ્યા છે.
તેથી ઓર્ગેનિક ખેતી કરતાં ખેડૂતો માટે માર્કેટ લિંકેજ રચવાની સાથે સાથે અમૂલ ભારતભરમાં 5 સ્થળો પર ઓર્ગેનિક ટેસ્ટિંગ લેબોરેટરી વિકસાવવા પર કામ કરી રહ્યું છે, જે અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ હશે. જેથી ટેસ્ટિંગનો ખર્ચ ઘટાડી શકાય. તે મુજબ અમદાવાદમાં અમૂલ ફેડ ડેરી ખાતે પ્રથમ લેબ તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારબાદ સમગ્ર ભારતમાં જુદા જુદા સ્થળે 5 લેબ સ્થાપવામાં આવશે. અમૂલ ઓર્ગેનિક આટા રજુ કરવાનો મુખ્ય હેતુ અમારા ગ્રાહકોને વધુ ટકાઉ અને તંદુરસ્ત જીવનશૈલી તરફ વાળવાનો છે. ઓર્ગેનિક ફૂડ પ્રોડક્ટ્સથી આપણા શરીરમાં રસાયણોનો પ્રવેશ અટકશે એટલું જ નહીં, આપણને તંદુરસ્ત ભવિષ્ય તરફ લઈ જશે.