Amreli: પુલ પર ફસાયેલી સ્કૂલબસમાંથી માંડ માંડ નીકળ્યા વિદ્યાર્થીઓ, વારંવાર સમારકામની રજૂઆત છતાં પરિણામ શૂન્ય
તંત્ર દ્વારા ફુલઝર (phulzar village) ગામથી બળેલ પીપળીયા સુધી અનેક નાના-મોટા પુલ બનાવવામાં આવ્યા છે, પરંતુ પુલના નબળી ગુણવત્તાના બાંધકામથી અવારનવાર ભારે વાહનો પુલ પર ફસાઇ જાય છે. ત્યારે સ્થાનિકો પણ પુલનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.
અમરેલી (Amreli) જિલ્લાના બાબરા-ગોંડલ હાઈવે પર આવેલા ફુલઝર ગામમાં કપચી પાથરેલા પુલ પર સ્કૂલ બસ (School bus) ફસાઈ જતા વિદ્યાર્થીઓએ બૂમરાણ મચાવી હતી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો પુલ પાસે એકઠા થઈ ગયા હતા અને મહામુસીબતે વિદ્યાર્થીઓને બસની બહાર કાઢ્યા હતા. આ સાથે જ ત્યાંથી પસાર થતી એક ટ્રક પણ પુલ (Bridge) ની કપચીમાં ફસાઈ ગઈ હતી.
જેસીબીની (JCB) મદદથી ટ્રકને બહાર કાઢવામાં આવી હતી. તંત્ર દ્વારા ફુલઝર (phulzar village) ગામથી બળેલ પીપળીયા સુધી અનેક નાના-મોટા પુલ બનાવવામાં આવ્યા છે, પરંતુ પુલ નબળી ગુણવત્તાના બાંધકામથી અવારનવાર ભારે વાહનો પુલ પર ફસાઈ જાય છે. ત્યારે સ્થાનિકો પણ પુલનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.
તાત્કાલિક સારો રસ્તો બનાવવાની માંગણી
આ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે નબળા બાંધકામને કારણે વારંવાર વાહનો ફસાઈ જાય છે અને મોટી દુર્ઘટના સર્જાવાનો ભય રહે છે, પરંતુ તંત્રના બહેરા કાને આ રજૂઆતો પડતી નથી. નોંધનીય છે કે આ ઘટનામાં વિદ્યાર્થીઓ ડરી ગયા હતા અને સ્થાનિકોએ ભેગા થઈને તેમને બહાર કાઢ્યા હતા. ત્યારે જો કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદારી કોણ લેશે. વળી વરસાદી વાતાવરણમાં રસ્તા અને પૂલ ધોવાતા હોવાથી સ્થાનિકો અવર જવર માટે પણ ચિંતાતુર બન્યા છે. તંત્ર દ્વારા તાત્કાલિક સારો રસ્તો બનાવવામાં આવે તેવી વાહન ચાલકોની પણ માંગણી છે.
અમરેલીના રાજુલામાં ભારે વરસાદ
તો અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી શહેરમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ધારી, ચલાલા, સાવરકુંડલા , બાબરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ગામમાં પાણી વહી નીકળ્યા હતા. આજે પણ અમરેલીના ગ્રામ્ય વિસ્તારો તેમજ ધારી (Dhari) માં વરસાદ પડ્યો હતો. ધારીના રાજુલા પંથક તેમજ શહેરમાં અને હિંડોરણા, છતડીયા આસપાસના ગામડાના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. આજે કુંકાવાવમાં સતત બફારા બાદ વરસાદ વરસતા લોકોએ રાહત અનુભવી હતી. છેલ્લા કેટલાય સમયથી અમરેલીમાં સતત વરસાદ બાદ ઉઘાડ નીકળ્યો હતો.જોકે ઉઘાડ બાદ લોકો ભેજ અને બફારાથી ત્રસ્ત થઈ ગયા હતા. ત્યારે ફરી પાછા નાના મોટા વરસાદી ઝાપટા આવી જતા વાદળછાયા વાતાવરણને પગલે થોડી ઠંડક વ્યાપી હતી અને કુંકાવાવની શેરીઓમાં વરસાદી પાણી વહી ઉઠ્યા હતા.
વિન ઇનપુટ : રાજુ બસિયા, અમરેલી